Lok Sabha Election 2024: લોકસભાની ચૂંટણી જાહેર થવાની તૈયારી છે, ત્યારે રાજકીય પાર્ટીઓ પોતાના પ્રચાર કરી રહીં છે. આ સાથે સાથે પોતાના ઉમેદવારોની નામ પણ જાહેર કરી રહીં છે. પરંતુ કોંગ્રેસમાં અત્યારે મોટા પાયે ભંગાણ જોવા મળી રહ્યું છે. કારણ કે, ઘણા લોકો કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાઈ રહ્યાં છે. કોંગ્રેસની કેન્દ્રીય ચૂંટણી સમિતિએ સોમવારે લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના ઉમેદાવરોના નામને લઈને ચર્ચાઓ કરવામાં માટે એક બેઠક યોજવામાં આવી હતીં. ઉલ્લેખનીય છે કે, CECની આ બીજી બેઠકમાં ગુજરાત (14), રાજસ્થાન (13), એમપી (16), આસામ (14) અને ઉત્તરાખંડ (5)ની લગભગ 63 બેઠકો પર ચર્ચા કરવામાં આવી હતી.
આ દિગ્ગજ નેતાઓ લોકસભાની ચૂંટણી લડશે નહીં
પાર્ટીના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધી અને સીઈસીમાં સમાવિષ્ટ અન્ય ઘણા નેતાઓ, સંબંધિત રાજ્યોના પ્રભારીઓ અને વરિષ્ઠ નેતાઓએ બેઠકમાં હાજરી આપી હતી. આ બેઠકમાં કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ હાજરી આપી ન હતી. આ બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો હતો કે મધ્યપ્રદેશમાં કમલનાથ કે દિગ્વિજય લોકસભાની ચૂંટણી લડશે નહીં. મધ્ય પ્રદેશમાં જે બેઠકો માટે સર્વસંમતિ સધાઈ છે તેમાં ભિંડથી ફુલસિંહ બરૈયા, સતનાથી સિદ્ધાર્થ કુશવાહ, રાજગઢથી પ્રિયવ્રત સિંહ અને ખંડવાથી અરુણ યાદવના નામ સામેલ છે. દમણ-દીવમાંથી કેતન પટેલના નામને મંજુરી આપવામાં આવી છે.
દિગ્ગજ નેતાઓને લઈને ચૂંટણીમાં મહત્વના નિર્ણયો
ઉલ્લેખનીય છે કે, લોકસભાની ચૂંટણીને લઈને કોંગ્રેસ અત્યારે તાબરતોડ તૈયારી કરી રહીં છે. પરંતુ કોંગ્રેસને કોઈ ગ્રહો નડતા હોય એવું લાગી રહ્યું છે. પહેલી વાત તો એ છે કે, ઘણા દિગ્ગજ નેતાઓ પાર્ટી છોડીને ભાજપમાં જઈ રહ્યાં છે તો આ બાજૂ પાર્ટી દિગ્ગજ નેતાઓને લઈને ચૂંટણીમાં મહત્વના નિર્ણયો લઈ રહીં છે. પાર્ટીના ચાર પૂર્વ મુખ્યમંત્રી અશોક ગેહલોત, કમલનાથ અને દિગ્વિજય સિંહ અને હરીશ રાવત અને ભૂતપૂર્વ ડેપ્યુટી સીએમ સચિન પાયલટના નામ 2024ની લોકસભા ચૂંટણીની યાદીમાં નથી. સૂત્રોના જણાવ્યા અનુસાર આ રાજકીય દિગ્ગજોને પોતે ચૂંટણી લડવામાં રસ નહોતો. તેના બદલે કોંગ્રેસના અન્ય નેતાઓના નામ પર વિચાર કરવામાં આવ્યો હતો.