ઓડિશાના બાલાસોરમાં શુક્રવારે સાંજે થયેલા અકસ્માતમાં હવે PM મોદી એક્શન મોડમાં આવ્યા છે. વાત જાણે એમ છે કે, PM મોદીએ અત્યાર સુધીના બચાવ કાર્ય વિશે જાણવા માટે એક મીટિંગ બોલાવી છે. સમાચાર લખાય છે ત્યાં સુધી આ ઘટનામાં 288 લોકોના મોત થયા છે અને 900 થી વધુ લોકો ઘાયલ હોવાનું કહેવાય છે PM મોદી ઓડિશાના બાલાસોરમાં અકસ્માત સ્થળની મુલાકાત કરશે અને ઘટનાસ્થળે સ્થિતિની સમીક્ષા કરશે. આ પછી વડાપ્રધાન પીડિતોને પણ મળશે.
pm મોદીની ઉચ્ચ સ્તરીય બેઠક યોજી
pm મોદીએ ઓડિશા ટ્રેન દુર્ઘટના પર ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી. બેઠકમાં અકસ્માતની સમીક્ષા કરવામાં આવી હતી. બાલાસોર ટ્રેન દુર્ઘટના એટલી ભયાનક હતી કે ક્ષણવારમાં જ હોબાળો શરૂ થઈ ગયો હતો. કોચની અંદર બેઠેલા મુસાફરો કંઈ સમજી શક્યા નહીં. ઘણા મુસાફરોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. ત્યાં, ઘણા મુસાફરો લોહીલુહાણ થઈ ગયા. પછી સમય જતાં મૃતદેહોના ઢગલા થઈ ગયા. લોકોનો સૌથી મોટો પડકાર જીવ બચાવવાનો હતો. ઘટનાસ્થળે તરત જ બચાવ કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી. જેમાં સ્થાનિક લોકોએ પણ ભાગ લીધો હતો. ટ્રેનના ડબ્બાઓની અંદર ફસાયેલા લોકોને ગેસ કટર વડે ડબ્બાઓ કાપીને બહાર કાઢવામાં આવ્યા હતા.
બાલાસોર ટ્રેન દુર્ઘટનાને લઈ NDRF, ભારતીય સેના, ભારતીય વાયુસેના, સ્ટેટ ડિઝાસ્ટર રિલીફ ફોર્સ, આર્મી મેડિકલ કોર્પ્સ અકસ્માત સ્થળે બચાવ અને રાહત કામગીરી કરી રહ્યા છે. કેન્દ્રીય રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવ અને રાજ્યના સીએમ નવીન પટનાયકે શનિવારે (3 જૂન) સવારે ઘટનાસ્થળની મુલાકાત લીધી છે, રેલ્વે મંત્રીએ આ ઘટનાની ઉચ્ચ સ્તરીય સ્વતંત્ર તપાસના આદેશ આપ્યા છે.
રેલવે અધિકારીએ શું કહ્યું?
સમાચાર એજન્સી પીટીઆઈના જણાવ્યા અનુસાર, એક રેલવે અધિકારીએ જણાવ્યું કે હાવડા જતી 12864 બેંગલુરુ-હાવડા સુપરફાસ્ટ એક્સપ્રેસના ઘણા ડબ્બા બહાનાગા બજારમાં પાટા પરથી ઉતરી ગયા અને અન્ય ટ્રેક પર પડ્યા. આ પાટા પરથી ઉતરી ગયેલા કોચ 12841 શાલીમાર-ચેન્નઈ કોરોમંડલ એક્સપ્રેસ સાથે અથડાયા હતા અને તેના કોચ પણ પલટી ગયા હતા. અધિકારીએ જણાવ્યું હતું કે, કોરોમંડલ એક્સપ્રેસના ડબ્બા પાટા પરથી ઉતર્યા બાદ માલસામાન ટ્રેન સાથે અથડાયા હતા, જેના કારણે ગુડ્સ ટ્રેન ક્રેશ થઈ ગઈ હતી
અકસ્માત બાદ વળતરની જાહેરાત
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવથી લઈને ઓરિસ્સાના મુખ્યમંત્રી નવીન પટનાયકે આ દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો છે. આ સાથે વિપક્ષી દળોમાં કોંગ્રેસના નેતાઓએ પણ આ દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો છે. સાથે જ આ દર્દનાક અકસ્માત અંગે વળતરની પણ જાહેરાત કરવામાં આવી છે. ટ્રેન દુર્ઘટનામાં ઘાયલ થયેલા ઘણા લોકોને સોરો, ગોપાલપુર અને ખંટાપાડા આરોગ્ય કેન્દ્રોમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યારે ઘણા લોકોને બાલાસોર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
આ પણ વાંચો – કેવી રીતે સર્જાઈ 3 ટ્રેનો વચ્ચે દુર્ઘટના, શું છે કારણ? જાણો