આફ્રિકન દેશ સુદાન હાલના સમયે ભીષણ ગૃહયુદ્ધનો સામનો કરી રહ્યું છે. અહીં આર્મી અને પેરામિલિટ્રી ફોર્સ વચ્ચે સત્તા માટે જંગ છેડાયેલી છે. બંનેમાંથી કોઈ હથિયાર હેઠાં મુકવા તૈયાર નથી. આ ખતરનાક સ્થિતિ વચ્ચે 4 હજાર ભારતીય સુદાનમાં ફસાયેલા છે. ગૃહયુદ્ધથી ઝઝુમી રહેલા સુદાનમાં ફસાયેલા ભારતીયોને સકુશલ બહાર કાઢવા માટે ભારત સરકારે ‘ઓપરેશન કાવેરી’ શરૂ કર્યું છે.
વિદેશમંત્રી એસ.જયશંકરે ટ્વીટ કર્યું કે, ઓપરેશન કાવેરી સુદાનમાં ફસાયેલા આપણાં નાગરિકોને પરત લાવવા માટે ચલાવવામાં આવી રહ્યું છે. લગભગ 500 ભારતીયો સુદાન પોર્ટ પર પહોંચી ગયા છે અને અન્ય ભારતીયો રસ્તામાં છે. આપણાં શિપ અને વિમાન તેમને ઘરે પરત લાવવા માટે તૈયાર છે. ભારત સુદાનમાં આપણાં દરેક ભાઈઓની મદદ માટે પ્રતિબદ્ધ છે.
વાયુસેનાએ C-130 વિમાન અને નૌસેનના INS સુમેધા જહાજ સુડાનમાં ફસાયેલા ભારતીયોને પરત લાવવા માટે સાઉદી અરબ અને સુદાન પહોંચી ચુક્યાં છે. વાયુસેનાના જહાજ સાઉદી અરબના જેદ્દામાં તૈનાત છે. જ્યારે INS સુમેધા સુદાન પોર્ટ પહોંચી ચુક્યા છે.
WHO એ રવિવારે સુદાનના આરોગ્ય મંત્રાલયની એક પોસ્ટને રિટ્વીટ કર્યું જેમાં કહેવામાં આવ્યું છે કે, અત્યાર સુધીની લડાઈમાં ઓછામાં ઓછા 420 લોકો માર્યાં ગયા છે અને 3700 લોકો ઘાયલ થયા છે. એક અલગથી નિવેદનમાં અમેરીકન વિદેશમંત્રી એન્ટની બ્લિંકને કહ્યું કે દરેક અમેરીકન કર્મચારીઓ અને તેમના પરિવારોને સુરક્ષિત બહાર લવાયા છે અને ખાર્તૂમમાં અમેરીકન દુતાવાસને અસ્થાયીરૂપે સસ્પેન્ડ કરી દીધી છે..
સુદાનમાં શા માટે જંગ?
- સુદાનમાં સેના અને અર્ધસૈનિક દળ વચ્ચે ઘણાં દિવસોથી ભીષણ યુદ્ધ ચાલી રહ્યું છે.ય સેનાની વિરુદ્ધ જંગ છેડનારા અર્ધસૈનિક દળોને રૈપિડ સપોર્ટ ફોર્સના નામે ઓળખવામાં આવે છે. સેના અને RSF વચ્ચે છેડાયેલી જંગમાં જનતા સુડી વચ્ચે સોપારીની જેમ પિસાઈ રહ છે. સૌથી ખરાબ સ્થિતિ રાજધાની ખાર્તૂમમાં છે. અહીં એરપોર્ટ અને સ્ટેશન સહિત તમામ મહત્વના સ્થાનો પર કબ્જાને લઈને જંગ ચાલી રહી છે.
- સુદાનમાં સંઘર્ષ સેનાના કમાન્ડર જનરલ અબ્દેલ ફતહ બુરહાન અને પેરામિલિટ્રી ફોર્સના પ્રમુખ જનરલ મોહમ્મદ હમદાન ડગાલો વચ્ચે થઈ રહી છે. જનરલ બુરહાન અને જનરલ ડગાલો બંને પહેલાથી જ સાથે હતા. હાલના સંઘર્ષના મૂળો એપ્રીલ 2019 સાથે સંકળાયેલા છે ત્યારે સુદાનના તત્કાલિન રાષ્ટ્રપતિ ઉમર અલ-બશીરની વિરુદ્ધ જનતાએ વિદ્રોહ કરી દીધો હતો. બાદમાં સેનાએ અલ-બશીરની સત્તાને ઉખાડી ફેંકી. બશીરને સત્તા પરથી હટાવ્યા છતા વિદ્રોહ અટક્યો નહી. બાદમાં સેના અને પ્રદર્શનકારીઓ વચ્ચે એક સમજુતિ થઈ. સમજુતી પ્રમાણે એક સોવરેનિટી કાઉન્સિલ બની અને નક્કી થયું કે 2023ના અંત સુધીમાં ચુંટણી યોજનામાં આવશે. તે જ વર્ષે અબદલ્લા હમડોકને વડાપ્રધાન નિયુક્ત કરવામાં આવ્યા પણ તેનાથી કંઈ થયું નહી. ઓક્ટોબર 2021માં સેનાએ બળવો કરી દીધો. જનરલ બુરહાન કાઉન્સિલના અધ્યક્ષ જનરલ ડાગલો ઉપાધ્યક્ષ બની ગયા.
- મીડિયા રિપોર્ટ્સ અનુસાર જનરલ બુરહાન અને જનરલ ડગાલો એક સમયે સાથે હતા, પરંતુ હવે બંને એકબીજાની વિરુદ્ધ થઈ ગયા છે. આનું કારણ બંને વચ્ચેની અણબનાવ છે. સુદાનમાં ચૂંટણી યોજવાને લઈને બંને વચ્ચે સહમતિ બની શકી નથી. આ સિવાય એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે સેનાએ એક પ્રસ્તાવ મૂક્યો હતો, જે અંતર્ગત 10,000 RSF જવાનોને સેનામાં સામેલ કરવાની વાત થઈ હતી. પરંતુ પછી પ્રશ્ન એ ઊભો થયો કે અર્ધલશ્કરી દળનું સેના સાથે વિલીનીકરણ બાદ જે નવી દળ રચાશે તેના વડા કોણ હશે. કહેવામાં આવી રહ્યું છે કે છેલ્લા કેટલાક અઠવાડિયાથી દેશના અલગ-અલગ ભાગોમાં અર્ધલશ્કરી દળોની તૈનાતી વધી હતી, જેને સેનાએ ઉશ્કેરણી અને ધમકીના રૂપમાં જોયું હતું.
ભારતીયોને લાવવા કેમ મુશ્કેલ થઈ રહ્યાં છે?
આફ્રિકન દેશ સુદાનમાં 4 હજાર આસપાસ ભારતીયો છે. જેમાંથી મોટાભાગના ભારતીયો ચાર શહેરો ઓમડુરમૈન, કસાલા, ગેડારેફ કે અલ કાદરીફ અને વાદ મદનીમાં રહે છે. આમાંથી બે શહેરોનું અંતર રાજધાની ખાર્તમથી 400 કિમીથી પણ વધારે છે તો શહેરની નજીક 200 કિમી છે. એક શહેર તો રાજધાનીની બાજુમાં જ છે અને તેનું ખાર્તૂમથી અંતર માત્ર 25 કિમી છે. સૌથી વધારે ચિંતાજનક વાત છે કે આ ચારેય શહેરોમાં કોઈ પણ ઈન્ટરનેશનલ એરપોર્ટ નથી. સુદાનમાં બે જ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ છે. એક રાજધાની ખાર્તૂમમાં તો બીજું પોર્ટ સુદાનમાં છે. જોકે એરસ્ટ્રાઈક વચ્ચે અહીંથી લોકોને એરલિફ્ટ કરવા પણ ખુબ મુશ્કેલ છે. તે ત્યારે જ શક્ય છે જ્યારે સિઝફાયર થઈ જાય.
ફ્રાંસ ભારત સહિત 388 લોકોને બહાર લાવ્યું
કાલે મોડી રાત્રે ફ્રાંસે પોતાના અને ભારતીય નાગરિક સહિત લગભગ 28 દેશના 388 લોકોને સુદાનમાંથી બહાર કાઢ્યા છે. ફ્રાસં એમ્બેસીએ ટ્વીટરના માધ્યમથી જાણકારી આપી. ફ્રાંસે નાગરિકોને બહાર લાવવા માટે હવાઈ માર્ગનો ઉપયોગ કર્યો હતો. જોકે ફ્રાંસે ભારતના કેટલા નાગરિકોને બહાર લાવ્યા તેની જાણકારી સામે આવી નથી.
આ પણ વાંચો : ચીનના ગુપ્ત પોલીસ સ્ટેશન શું છે, તેઓ કેવી રીતે કામ કરે છે, જાણો