એક કાળે ભારતીય શિક્ષણ પધ્ધતિ નાલંદા, તક્ષશિલા, વલ્લભી અને વિક્રમશિલા જેવા ગુરૂકુળોના કારણે વિશ્વવિખ્યાત રહી હતી. વિવિધ દેશના રાજકુમારો અહીં વિદ્યાઅભ્યાસ માટે કતાર લગાવતા હતા. આ દેશના ગુરૂકુલોમાં હજારો આયાર્યો લાખો વિદ્યાર્થીઓનું 16 વિદ્યા અને 64 કળાઓ થકી સર્વાંગી ઘડતર કરી રહ્યા હતા. દરેક ગામડાઓમાં રહેલી પાઠશાળાઓમાં લોકોને જીવન ઉપયોગી શિક્ષણ અપાતું હતું. હવે ફરી ગુરુકુલમના નામે નવી શિક્ષણ પ્રણાલી વિકસાવવાના પ્રયાસ શરૂ થયા છે.નવા સંદર્ભ અને નવા માહોલમાં ગુરૂકુલ પધ્ધતિની શિક્ષણ પ્રણાલીને જીવંત કરવાના શું આ પ્રયાસ સફળ થશે ??
આ પ્રયાસના નૂમાન રૂપ એવા અમદાવાદના સાબરમતી ગુરૂકુલમની પ્રવૃત્તિઓને સમજવાનો પ્રયાસ કરીએ તો આ ગુરુકુલમમાં અત્યારે 90 વિદ્યાર્થીઓને 100 શિક્ષકો વિદ્યાઅભ્યાસ કરાવે છે. 14 વિદ્યા અને 64 કલામાંથી ઘણી અહીં શીખવવામાં આવે છે. ગુરુકુલની ગૌ શાળામાં 60થી વધુ ગાયો પણ છે. ગાયોનું દૂધ બાળકોને પીવડાવવામાં આવે છે.
વલોણાનું ઘી ખવડાવવામાં આવે છે.
આયુર્વેદમાં માત્ર તલ અને સરસવના તેલને જ ખાદ્ય ગણ્યા હોઈ માત્ર અહીં તલના તેલનો જ ઉપયોગ થાય છે. રસોઈ અહીં લાકડાના ચૂલા પર બનાવવામાં આવે છે. મીઠાંનો અહીં ઉપયોગ કરવામાં આવતો નથી. રસોઈમાં વપરાતી તમામ વસ્તુઓ ઓર્ગેનીક હોઈ તેવો આગ્રહ રાખવામાં આવે છે. ગુરૂકુલમમાં 1 લાખ લિટરનો ભૂગર્ભ ટાંકો છે જેમાં માત્ર નક્ષત્રમાં વરસેલા પાણીનો જ સંગ્રહ કરવામાં આવે છે. શિક્ષણનો વ્યાપાર ન થાય તે સિધ્ઘાંત પર ચાલતાં ગુરૂકુલમમાં શિક્ષણ સાવ નિશુલ્ક છે.આ ગુરૂકુલમમાં 5થી 12 વર્ષ સુધીના બાળકોને પ્રવેશ આપવામાં આવે છે અને 12 વર્ષ સુધી વિદ્યાર્થીઓની પસંદગી પ્રમાણે વિવિધ વિષયોનું શિક્ષણ આપવામાં આવે છે.
સમાજમાં ગુરૂકુલમના મહત્વ વિશે વાત કરીએ તો આ વિશે ગુરુકુલમના સ્થાપર ઉત્તમ શાહ જણાવે છે કે, દેશ ફરીથી વિશ્વગુરૂ બને તે માટે ગુરૂકુલમ શિક્ષણ જરૂરી છે. ગુરૂકુલના શિક્ષણ થકી જ વર્તમાનમાં દેશ સામે રહેલા ગરીબી, બેકારી, બીમારી, મોંઘવારી, અનીતિ, અનાચાર, દુરાચાર, વ્યભિચાર, હિંસા, બળાત્કાર, છૂટાછેડાથી લઈને સંતાનોનું નિરંકુશ થઈ જવું, વ્યસનમાં સપડાઈ જવું જેવી ઘર ઘરમાં લાગેલી આગો.. આ તમામ પ્રશ્નોનું નિરાકરણ એકમાત્ર ગુરૂકુલ શિક્ષા પદ્ધતિથી આવી જાય એવું આ શિક્ષણ છે.
ભારતીય શિક્ષણ મંડળ ગુરૂકુળ શિક્ષણ પ્રણાલી વિશે ગમે તેવું મહત્વાકાંક્ષી આયોજન વિચારતું હોય તો પણ હજુ આ ખ્યાલ ઘણો ત્રુટીપૂર્ણ છે અને વર્તમાન શિક્ષણ પ્રણાલિનો વિકલ્પ બની શકે તેમ નથી.. ગુરુકૂળના નામથી આપણા દિમાગમાં જે પ્રાથમિક શિક્ષણ પ્રણાલિનું ચિત્ર ઉપસે છે, તે પ્રકારના ગુરુકૂળ મોડલ તૈયાર કરવાની વાત નથી. તે સ્વીકારીએ તો પણ આજે અસ્તિત્વ ધરાવતી શિક્ષણ પ્રણાલી સામે ગમે તેટલો તિરસ્કાર કે અણગમો હોવા છતા તેની અનેક સારી બાબતોને સ્વીકારવાનું અને તેને ગુરુકુળ શિક્ષણ પ્રણાલિમાં સ્વીકારવાનો અભિગમ રાખીને ચાલવું પડશે..
જુનું એટલું બધુ જ સારુ હતું તેમ માનીને ચાલી શકાશે નહીં. તમામ પ્રણાલિની વ્યવસ્થામાં સમયાંતરે વિકૃતિ આવતી જ હોય છે. વર્તમાન શિક્ષણ પ્રણાલિ પણ સતત પરિવર્તનશીલ બની છે, અને આજના સ્વરૂપને પામી છે.. આજે પણ તેમાં સુધાર થતા રહે છે.. ગુરુકુળ શિક્ષણ પદ્ધતિમાં પ્રાચિન અને અવાર્ચિનનો સમન્વય થાય તે જોવાની સાથે-સાથે તેને વિશ્વસનીય અને આજના સમયના સ્પર્ધાત્મક માહોલ સાથે સુમેળ સાધી શકે તેવી બનાવી પડશે તો જ તેની સ્વીકાર્યતા વધશે અને સફળ બનશે..