રોહિત શર્માની કેપ્ટનશીપ હેઠળ હવે ભારતીય ક્રિકેટ ટીમ દક્ષિણ આફ્રિકા સામે બે મેચોની ટેસ્ટ સિરીઝ રમશે. જો કે, પૂર્વ ભારતીય ક્રિકેટર આકાશ ચોપડાએ જણાવ્યું છે કે જો રોહિત શર્મા કેપ્ટનશીપ છોડવાનો નિર્ણય કરે તો તેની જગ્યાએ ટીમ ઇન્ડિયાનો આગામી ટેસ્ટ કેપ્ટન કોન બની શકે છે?
શુભમન ગિલ અને રિષભ પંત મજબૂત વિકલ્પ
આકાશ ચોપડા મુજબ, ટેસ્ટ ટીમના કેપ્ટનની રેસમાં શુભમન ગિલ અને રિષભ પંતનું નામ સૌથી આગળ છે. દક્ષિણ આફ્રિકાના પ્રવાસ પર ગિલ ભારતીય ટીમનો ભાગ છે જ્યારે રિષભ પંત ગત વર્ષે ડિસેમ્બરમાં થયેલા કાર અકસ્માતમાં થયેલી ગંભીર ઇજાઓમાંથી સાજો થઈ રહ્યો છે અને તેના વાપસીનો સમય હજુ સુધી નક્કી થયો નથી.આકાશ ચોપડાએ તેમના યુટ્યૂબ ચેનલ પર જણાવ્યું હતું કે, રોહિત શર્મા પછી ભારતીય ટેસ્ટ ટીમનો સુકાની કોણ બની શકે છે? તેમણે કહ્યું કે, હું હાલની નહીં પરંતુ લાંબા સમય પછીની પરિસ્થિતિઓ પર વાત કરી રહ્યો છું. હું માત્ર ભવિષ્ય અંગે વાત કરી રહ્યો છું. શુભમન ગિલ હોઈ શકે છે. રિષભ પંત પણ એક મજબૂત દાવેદાર છે. પંત ગેમ ચેંજર છે. જો એકવાર રોહિત શર્મા ટેસ્ટ કેપ્ટનશીપ છોડવાનો નિર્ણય લેશે તો આ બે વિકલ્પ પર ચર્ચા થઈ શકે છે.
‘દક્ષિણ આફ્રિકા સામેની ટેસ્ટ સિરીઝ જીતવી સરળ નથી’
જણાવી દઈએ કે, 24 વર્ષીય શુભમન ગિલે અત્યાર સુધી કોઈ પણ ફોર્મેટમાં ભારતીય ટીમની કેપ્ટનશીપ કરી નથી. જો કે, આઈપીએલની આગામી સીઝનમાં હવે તેને ગુજરાત ટાઇટન્સના કેપ્ટન તરીકે જવાબદારી સોંપવામાં આવી છે. બીજી તરફ, રિષભ પંતની વાત કરીએ તો પાંચ ટી20 ઇન્ટરનેશનલ મેચ અને આઈપીએલમાં દિલ્હી કેપિટલ્સની કેપ્તાની કરી છે. પરંતુ, ટેસ્ટ ક્રિકેટમાં પંતને કેપ્ટન્સીનો કોઈ અનુભવ નથી. આકાશ ચોપડાએ ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે થનારી આગામી ટેસ્ટ શ્રેણી અંગે પણ પોતાના વિચાર રજૂ કર્યા હતા. તેમણે કહ્યું કે, દક્ષિણ આફ્રિકા સામેની ટેસ્ટ સિરીઝને પોતાના નામે કરવી ભારતીય ટીમ માટે સરળ નહીં હોય. જણાવી દઈએ કે, ભારતે દક્ષિણ આફ્રિકામાં ક્યારે ટેસ્ટ સિરીઝ જીતી નથી.
આ પણ વાંચો – ‘મેં વિરાટને સુકાની પદેથી હટાવ્યો નહોતો…’ કિંગ કોહલી સાથેના વિવાદ પર સૌરવ ગાંગુલીનો મોટો ખુલાસો