Asia Cup 2023 હવે તેના અંતિમ તબક્કા પર છે. ટીમ ઈન્ડિયા ટૂર્નામેન્ટની ફાઈનલમાં પહોંચી ચુકી છે જ્યારે શ્રીલંકા અને પાકિસ્તાનની ટીમમાંથી કોણ ફાઈનલમાં પહોંચે છે તે આજે પ્રેમદાસા સ્ટેડિયમમાં નક્કી થઇ જશે. ટીમ ઈન્ડિયા બંને ટીમોને હરાવીને ફાઈનલમાં પહોંચી છે. જ્યારે શ્રીલંકા અને પાકિસ્તાન માટે આજની મેચ કરો યા મરો જેવી રહેશે. જે મેચ જીતશે તેને ફાઈનલની ટિકિટ મળશે. એશિયા કપની પ્રથમ ટૂર્નામેન્ટ 1984 માં રમાઈ હતી, ત્યારથી અત્યાર સુધી ભારત અને પાકિસ્તાન ક્યારે પણ ફાઈનલમાં આમને-સામને આવ્યા નથી, જો આજે પાકિસ્તાન ફાઈનલમાં પ્રવેશ કરવામાં સફળ રહે છે તો 39 વર્ષમાં પહેલીવાર બનશે.
એશિયા કપના 39 વર્ષના ઈતિહાસમાં આવું ક્યારે નથી બન્યું
એશિયા કપની 16મી આવૃત્તિ 30 સપ્ટેમ્બરે પાકિસ્તાન અને નેપાળની મેચથી શરૂ થઈ છે. આ ટૂર્નામેન્ટમાં શ્રીલંકા, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાન જેવી મજબૂત ટીમો છે પરંતુ તમામની નજર ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ પર ટકેલી છે. પરંતુ રસપ્રદ વાત એ છે કે એશિયા કપના 39 વર્ષના ઈતિહાસમાં ભારત અને પાકિસ્તાનની ટીમો આ ટૂર્નામેન્ટની ફાઇનલમાં ક્યારેય સામસામે આવી શકી નથી. ભારત 7 વખત ચેમ્પિયન બન્યું છે, જ્યારે પાકિસ્તાન બે વખત ખિતાબ જીતી ચૂક્યું છે, પરંતુ 15મી આવૃત્તિ સુધી આ બંને ટીમો ફાઇનલમાં આમને-સામને આવી શકી નથી. જો કે, રોહિત શર્માનું માનવું છે કે કદાચ અત્યાર સુધી જે નથી થયું તે આ એડિશનમાં થશે.
ભારત-પાકિસ્તાન વચ્ચે રમાઇ શકે છે ફાઈનલ : રોહિત શર્મા
ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માને જ્યારે પાકિસ્તાન સામેની મેચની પૂર્વસંધ્યાએ પ્રેસ કોન્ફરન્સમાં પૂછવામાં આવ્યું કે અત્યાર સુધી ભારત અને પાકિસ્તાન વચ્ચે એશિયા કપની ફાઈનલ કેમ ન થઈ, જ્યારે આ વિશે પૂછવામાં આવ્યું તો તેણે કહ્યું, “કદાચ આ ટૂર્નામેન્ટમાં કોઈ સંભાવના છે.” ટીમની ફિટનેસ વિશે તેણે કહ્યું, “કોઈપણ રીતે આ (એશિયા કપ 2023) ફિટનેસ ટેસ્ટ નથી. આ ટુર્નામેન્ટ એશિયાની ટોચની છ ટીમો વચ્ચે રમાય છે. આ બહુ મોટી ટુર્નામેન્ટ છે.” એશિયા કપ T20 ફોર્મેટમાં ત્રણ વખત રમાયો હતો. ભારતે 2016માં આ ખિતાબ જીત્યો હતો જ્યારે શ્રીલંકાએ બીજી વખત આ ખિતાબ જીત્યો હતો. એશિયા કપ 13 વખત ODI ફોર્મેટમાં રમાયો છે. ભારતે 6 વખત ખિતાબ જીત્યો છે, જ્યારે પાકિસ્તાન બે વખત જીત્યું છે. શ્રીલંકા પાંચ વખત ચેમ્પિયન બન્યું છે.
જો અને તો પર શ્રીલંકા-પાકિસ્તાનની મેચ
ભારતે પાકિસ્તાન અને શ્રીલંકાને હરાવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. પરંતુ આ દરમિયાન સમસ્યા એવી હતી કે ટીમ ઈન્ડિયા પાકિસ્તાન માટે ફાઈનલનો રસ્તો ખોલી શકે છે, અને એવું જ થયું. ભારતે શ્રીલંકાને હરાવીને પાકિસ્તાનની ફાઇનલમાં જવાની આશા જીવંત રાખી છે. હવે સમગ્ર જવાબદારી પાકિસ્તાનના હાથમાં છે. જો પાકિસ્તાની ટીમ શ્રીલંકાને હરાવશે તો તે સીધી ફાઈનલમાં જશે, પરંતુ જો તે હારી જશે તો ફાઈનલ શ્રીલંકા અને ભારત વચ્ચે રમાશે. એટલું જ નહીં, જો વરસાદમાં વિક્ષેપ આવે અને મેચ પૂર્ણ ન થઈ શકે તો શ્રીલંકા વધુ સારા નેટ રન રેટના આધારે ફાઈનલ માટે ક્વોલિફાય થશે. જો પાકિસ્તાની ટીમ ફાઈનલમાં પહોંચે છે તો 39 વર્ષના ઈતિહાસમાં પ્રથમ વખત ભારત અને પાકિસ્તાન વચ્ચે ટાઈટલ ટક્કર થશે.
આ પણ વાંચો – PAK vs SL : આજે ફાઇનલની એન્ટ્રી માટે શ્રીલંકા અને પાકિસ્તાન વચ્ચે ‘કરો યા મરો’ની લડાઈ
આ પણ વાંચો – શ્રીલંકા વિરુદ્ધ મેચ ન રમીને પણ Suryakumar Yadav ને મળી ગયો Award, જાણો કેવી રીતે
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે