ક્રિકેટ ફેન્સ વનડે વર્લ્ડ કપ 2023 ની આતુરતાથી રાહ જોઇ રહ્યા છે, જોકે આ મેગા ઈવેન્ટ પહેલા ટીમ ઈન્ડિયા એશિયા કપ રમવાની છે. એશિયા કપની શરૂઆત આવતીકાલે એટલે કે બુધવારથી થશે. આ ટૂર્નામેન્ટ માટે જે ભારતીય ટીમની પસંદગી કરવામાં આવી છે, લગભગ તે જ ટીમ આગામી વર્લ્ડ કપ 2023 (ODI World Cup 2023)નો પણ ભાગ બનવા જઈ રહી છે. પરંતુ તેની સત્તાવાર જાહેરાત હજુ થવાની બાકી છે. દરમિયાન, એવા અહેવાલો છે કે આ અઠવાડિયે ODI વર્લ્ડ કપ માટે ભારતીય ટીમની પસંદગી કરવામાં આવશે.
આ તારીખે થઇ શકે છે ટીમ ઈન્ડિયાની જાહેરાત
આ વર્ષે ODI World Cup ટૂર્નામેન્ટ ભારતમાં યોજાવાની છે. ત્યારે સૌ કોઇની નજર 2011 ના વર્લ્ડ કપનું પુનરાવર્તન કરવા પર છે. 2011 માં પણ ભારતમાં જ આ મેગા ટૂર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. જોકે, વનડે વર્લ્ડ કપ પહેલા ટીમ ઈન્ડિયાને એશિયા કપ 2023 માં મેગા ટૂર્નામેન્ટની તૈયારી કરાવાની તક મળવાની છે. મળી રહેલી માહિતી અનુસાર, એશિયા કપમાં ભારતીય ટીમનું પ્રદર્શન જોતા પહેલા વર્લ્ડ કપ માટે ટીમની પસંદગી કરવામાં આવશે. એશિયા કપ 2023માં ભારતે 2 સપ્ટેમ્બરે કેન્ડીમાં તેની પ્રથમ મેચ પાકિસ્તાન (IND vs PAK) સામે રમવાની છે અને જો મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો તે જ દિવસે ODI વર્લ્ડ કપ માટે ભારતીય ટીમની પસંદગી થઈ શકે છે અથવા બીજા દિવસે. એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે ICC ODI Cricket World Cup 2023 માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત 3 સપ્ટેમ્બરે કરવામાં આવશે.
5 ઓક્ટોબરથી અમદાવાદમાં શરૂ થશે વર્લ્ડ કપ 2023
વર્લ્ડ કપ ટીમની જાહેરાત કર્યા બાદ તેમાં ફેરફાર કરવાની તક મળશે. વર્લ્ડ કપ શરૂ થવાના 7 દિવસ પહેલા એટલે કે 28 સપ્ટેમ્બર સુધી ટીમમાં ફેરફાર થઈ શકે છે. ટુર્નામેન્ટની શરૂઆત ઈંગ્લેન્ડ અને ન્યુઝીલેન્ડ વચ્ચે 5 ઓક્ટોબરે અમદાવાદમાં રમાનારી મેચથી થશે. ભારતીય ટીમ તેની પ્રોવિઝનલ ટીમમાં કુલ સ્ટેન્ડબાય ખેલાડીઓનો સમાવેશ કરી શકે છે. આ કેટલાક ખેલાડીઓની ફિટનેસને ધ્યાનમાં રાખીને કરી શકાય છે, જેથી પછી જરૂર પડે તો તેમને ટીમમાં સામેલ કરી શકાય. કેએલ રાહુલ અત્યારે સંપૂર્ણ રીતે ફિટ નથી.
કેપ્ટન શર્માનો થઇ શકે છે અંતિમ વર્લ્ડ કપ
રોહિત શર્મા માટે આ વર્ષે એક એવી તક છે જે તેને ધોની સમકક્ષ કેપ્ટન બનાવી શકે છે. જે રીતે ટીમ ઈન્ડિયા 2011 નો વર્લ્ડ કપ જીતી હતી તે જ રીતે આ વર્ષે તેનું પુનરાવર્તન થશે તો રોહિત એ ત્રીજો કેપ્ટન બની જશે જેની કેપ્ટનશીપમાં ટીમ ઈન્ડિયા આ મેગા ટૂર્નામેન્ટ જીતી હોય. જોકે, હાલમાં 36 વર્ષીય ભારતીય કેપ્ટન રોહિત તેના ખભા પર એક અબજથી વધુ લોકોની અપેક્ષાઓનું ભારણ વહન કરી રહ્યો છે અને તે જાણે છે કે ODI વર્લ્ડ કપમાં શું દાવ પર છે, જે 5 ઓક્ટોબરે અમદાવાદમાં ઈંગ્લેન્ડ અને ન્યુઝીલેન્ડ વચ્ચેની અથડામણ સાથે શરૂ થશે. રોહિતે સંકેત આપ્યો છે કે ODI વર્લ્ડ કપ 2023 તેનો છેલ્લો વર્લ્ડ કપ બની શકે છે.
વર્લ્ડ કપ 2023 માટે ભારતની સંભવિત ટીમ
રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, ઈશાન કિશન (વિકેટકીપર), સૂર્યકુમાર યાદવ, કેએલ રાહુલ (વિકેટકીપર), હાર્દિક પંડ્યા (વાઈસ-કેપ્ટન), જસપ્રિત બુમરાહ, રવિન્દ્ર જાડેજા, શાર્દુલ ઠાકુર, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, મોહમ્મદ શમી અને મોહમ્મદ સિરાજ.
રિઝર્વ ખેલાડીઓ: તિલક વર્મા અને પ્રખ્યાત કૃષ્ણા.
વર્લ્ડ કપમાં આ વિચાર સાથે ઉતરશે રોહિત
બેંગલુરુમાં એશિયા કપ કેમ્પમાં જોડાતા પહેલા, રોહિતે પીટીઆઈને એક વિશિષ્ટ ઈન્ટરવ્યુમાં કહ્યું, “મારા માટે પોતાને આરામદાયક રાખી અને સકારાત્મક કે નકારાત્મક ભૂમિકા ભજવી શકે તેવા બાહ્ય પરિબળો વિશે ચિંતા ન કરવી તે મહત્વપૂર્ણ છે. હું 2019 વર્લ્ડ કપ પહેલા જે તબક્કામાં હતો તે તબક્કામાં પાછા જવા માંગુ છું.”
આ પણ વાંચો – World Athletics Championship : ગોલ્ડન બોય Neeraj Chopra એ રચ્યો ઈતિહાસ, સુવર્ણ અક્ષરે લખાયું નામ
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.