શિક્ષક સમાજમા આવનાર પેઢીના સંસ્કાર અને જ્ઞાનનું સર્જન કરનાર કહેવાય છે અને એમાંય પ્રાથમિક શાળાના શિક્ષકો તો નાનકડા ભૂલકાઓમાં મૂળભૂત સંસ્કાર સિંચનનું કામ કરતા હોય છે અને એમાંય કેટલાક મુઠ્ઠી ઉંચા શિક્ષક પોતાની અનોખી રીત થકી શ્રેષ્ઠ શિક્ષક બની જતાં હોય છે. આવા જ એક શિક્ષક છે ગોધરા તાલુકાના ઓરવાડા ગામની બાલુપુરા ફળિયાની શાળામાં ફરજ બજાવતા મુકેશભાઈ મહેરા જેઓ દ્વારા શાળામાં પર્યાવરણ પ્રયોગશાળા બનાવી અનોખું કામ કરી રહ્યા છે સાથે જ હાલ ના સમયે ટામેટા ના ભાવ આસમાને છે ત્યારે ઓરવાડા પ્રાથમિક શાળાના આ શિક્ષકે સ્ટેટ્સ સિમ્બોલ ગણાતા ટામેટા બાબતે વિદ્યાર્થીઓને આત્મનિર્ભર બનાવ્યાં છે .
ગોધરા તાલુકાના ઓરવાડા ગામની બાલુપુરા પ્રાથમિક શાળામાં આસિસ્ટંટ શિક્ષક તરીકે ફરજ બજાવતા મુકેશભાઈ મહેરા પોતે અગાઉ પોતાના ઉત્કૃષ્ટ શૈક્ષણિક કામો થકી ઉત્તમ શિક્ષક તરીકે સન્માન મેળવી ચુક્યા છે. તેઓએ માત્ર શાળાની નોકરીને પોતાની કર્મભુમી પૂરતી સિમિત નથી રાખી , પરંતુ સાથે-સાથે શાળામાં ભણતા બાળકોની સ્થિતિ સાથે પણ તેઓ લાગણીઓથી જોડાયેલા રહે છે અને હાલ શાકભાજીમાં જે મુખ્ય કહી શકાય એવા ટામેટા જેના ભાવ હાલ આસમાને છે, એ કદાચ ઉચ્ચ મધ્યમ વર્ગ જ ને પોષાય એમ રહ્યા છે અને ગરીબ વર્ગ માટે ટામેટા ખરીદવું એ એક સપનું બની ગયું છે. ત્યારે મુકેશભાઈએ શાળાના પ્રાંગણમાં ટામેટાના છોડ રોપીને વૈકલ્પિક વ્યવસ્થા કરવા પ્રયત્ન કર્યો.
એટલું જ નહીં મુકેશભાઈએ ટામેટાના મોટી સંખ્યામા છોડવાઓ લાવી શાળાના દરેક બાળકોને પોતાના ઘેર લઈ જઈ ઘર ની આસપાસની ખુલ્લી જગ્યામાં રોપવા જણાવ્યું અને એની માવજત કરતા તેમજ ઓર્ગેનિક ખાતર પણ આપી એ જ વાપરવા સમજાવ્યું અને બાળકો પણ હોંશે હોંશે ટામેટાના છોડવા ઓ પોતાને ઘેર લઈ ગયા અને આજે સ્થિતિ બદલાઈ ગઈ છે શાળાના કેમ્પસમાં અને બાળકોના ઘેર ટામેટા સારી રીતે ઉછરી ગયા અને હવે ટામેટા લાગવાની શરૂઆત પણ થઇ ગઈ છે હવે મુકેશભાઈ ની શાળાના મધ્યાહન ભોજન મા મોંઘા ટામેટા જોવા મળે છે અને બાળકો ની સાથે સાથે તેઓના પરીવારના સભ્યો પણ પોતાને ઘર આંગણે લાગેલા ટામેટા ખાઈ રહ્યા છે. જેના કારણે હવે હવે ગરીબ પરીવારના સભ્યો ને મોંઘા ટામેટા બજાર માંથી લાવવા નથી પડતા.
પંચમહાલના આંતરિયાળ વિસ્તારમાં અને આદિવાસી વિસ્તારમાં આવા શિક્ષકના અનોખા કામ થી ગરીબ પરીવારના બાળકો થકી પરીવાર જનો સુધી મોંઘવારીમાં ટામેટા ખાઈ શકે એવી સ્થિતિનું નિર્માણ કરી દીધું છે ત્યારે બાળકો તથા વાલીઓ પણ મુકેશભાઈના આ કામ થી ઘણા ખુશ દેખાઈ રહ્યા છે મુકેશભાઈ પોતે 31વર્ષ ઉપરાંત થી શિક્ષક તરીકે નોકરી કરે છે અને હાલ તેઓ વીર શહીદ સુનિલ પટેલ પ્રાથમિક શાળા બલુપુરામાં આસિસ્ટન્ટ આચાર્ય તરીકે નોકરી કરી રહ્યા છે અને અગાઉ પણ તેઓ શ્રેષ્ઠ શિક્ષક તરીકે એવોર્ડ લઈ ચુક્યા છે ત્યારે પર્યાવરણ પ્રેમી તરીકે મુકેશભાઈ પર્યાવરણ ની જાળવણી ની સાથે સાથે શાળા ના બાળકો ને શ્રેષ્ઠ શિક્ષણ આપી રહ્યા છે વધુ મા સોસીયલ મીડિયા મા મુકેશભાઈ એ એમના આ કામ ની પોસ્ટ મુકતા તેમના આ કામ ની સરાહના પણ થઇ રહી છે