આજકાલ મોટિવેશનલ વક્તાઓનો રાફડો ફાટ્યો છે. મનની અપાર શક્તિની વાતો કરીને અથવા લખીને ભોળા યુવાનોને છેતરવાનો વેપલો ચાલ્યો છે. વાસ્તવમાં આવા કાર્યક્રમોથી કે પુસ્તકોથી એક પણ યુવાનનું ભલું થયું હોય તેવું મારા ધ્યાનમાં નથી. અલબત્ત, આવા લેખકો અને વક્તાઓ તરી ગયા છે. મન નામના સાંઠાને માઇક નામનાં યંત્રમાં નીચોવી નીચોવીને આર્થિક રસ નીપજાવવામાં આવે છે. માટે આજના ‘મોર્નિંગ મંત્ર’માં મનની શક્તિ વિશે થોડીક મનદુરસ્ત વાત કરીએ.
મહર્ષિ પતંજલિ પૃથ્વી પરના સૌપ્રથમ માનસશાસ્ત્રી હતા. એ કહી ગયા છે કે તમારું મન જેવું વિચારશે એવા તમે બનશો. આપણાં શાસ્ત્રોમાં એવું પણ કહ્યું છે કે मनः एवं मनुष्याणां कारणं बंधमोक्षयोः આધુનિક યુગનું ભારત અને આખેઆખું પશ્ચિમ દાયકાઓથી આ સૂત્રની હાંસી ઉડાવતું આવ્યું છે. પરંતુ હાલમાં કેટલાંક વર્ષો પહેલાં પશ્ચિમમના વૈજ્ઞાનિકોએ અસંખ્ય પ્રયોગો કરીને એવું તારણ કાઢ્યું છે કે મન ઉપર શરીરનો અંકુશ નથી પરંતુ શરીર ઉપર મનનો અંકુશ રહેલો છે.
આ સિદ્ધાંતને તેઓ માઇન્ડ ઓવર બોડી એવું નામ આપે છે. જો કોઇ માણસ સતત એવા ભયથી વિચારતો રહે કે તેને હાર્ટ એટેક આવશે, તો ખરેખર તેને હાર્ટ એટેક આવી શકે છે. આવું જ ડાયાબિટીસ, કેન્સર તથા અન્ય બીમારીઓ માટે પણ સાચુ છે. માટે મનથી હંમેશાં સારું વિચારવું, શુભ વિચારવું અને અમંગળની કલ્પના ક્યારેય ન કરવી.
મનની અગાધ શક્તિથી દસ ફીટ ટેબલ પર મૂકેલા સ્ટીલના ચમચાને વાળી દેવો અથવા સત્તર અંકની સંખ્યા યાદ રાખવી એનાથી કશો લાભ થવાનો નથી. આપણું અધ્યાત્મ આપણને શીખવે છે કે મનને સદાય આનંદમાં રાખવું. મનદુરસ્તીનો સીધો વિનિયોગ તંદુરસ્તી સાથે કરવો.
અહેવાલ : કનું જાની, અમદાવાદ
આ પણ વાંચો : Asia Cup 2023 : જો આવું થશે તો India અને Pakistan વચ્ચે 3 ODI મેચ રમાશે…!