Gujarat By-election : પેટાચૂંટણીમાં જીગ્નેશ મેવાણીએ કોંગ્રેસની હાર ભાળી કે કોઇ બીજુ રહસ્ય!
- ગુજરાતમાં કડી અને વિસાવદરમાં પેટાચૂંટણીનો જંગ જામવ્યો
- પેટાચૂંટણી જાહેર થતા ભાજપ, કોંગ્રેસ અને આપમાં માહોલ ગરમાયો
- જીજ્ઞેશ મેવાણીને કડી બેઠક પર જવાબદારી સોંપતા ના પાડી
Gujarat By-election : ગુજરાતમાં કડી અને વિસાવદરમાં પેટાચૂંટણીનો જંગ જામવ્યો છે. આમ આદમી પાર્ટીના ધારાસભ્યના રાજીનામા બાદ વીસાવદરની બેઠક ખાલી પડી હતી, જ્યારે ભાજપના વર્તમાન ધારાસભ્યનું અવસાન થતાં કડીની બેઠક ખાલી પડી હતી તેથી કડી અને વિસાવદરમાં પેટાચૂંટણી યોજાશે. તેમાં ગુજરાતનું રાજકીય એપી સેન્ટર વિસાવદર ગણાય છે. જેમાં કુલ 2 લાખ 61 હજાર 92 મતદારો છે. તથા પુરુષ મતદાતાઓની સંખ્યા 1 લાખ 35 હજાર 609 અને મહિલા મતદાતાઓની સંખ્યા 1 લાખ 25 હજાર 479 છે.
પેટાચૂંટણી જાહેર થતા ભાજપ, કોંગ્રેસ અને આપમાં માહોલ ગરમાયો
ઉલ્લેખનીય છે કે કડી અને વિસાવદર વિધાનસભા બેઠક પર પેટાચૂંટણી જાહેર થતા ભાજપ, કોંગ્રેસ અને આપમાં માહોલ ગરમાયો છે. જોકે, વિસાવદર બેઠક પર આમ આદમી પાર્ટીએ પાટીદાર ઉમેદવારને ટિકિટ આપી છે, ત્યારે હવે ભાજપ અને કોંગ્રેસ પણ પાટીદાર ઉમેદવારની શોધમાં છે. ટૂંકમાં ત્રણેય પક્ષોએ પાટીદારને ઉમેદવાર બનાવી શકે છે. વિસાવદરમાં આપ દ્વારા ગોપાલ ઈટાલિયાને ચૂંટણી મેદાને ઉતાર્યા છે ત્યારે ભાજપે પૂર્વ મંત્રી જયેશ રાદડિયાને આ બેઠકના પ્રભારી બનાવી માસ્ટર સ્ટ્રોક કર્યો છે. એવું જાણવા મળ્યું છે કે, વિસાવદરમાં કોંગ્રેસ પણ પાટીદાર ઉમેદવાર તરીકે પૂર્વ ધારાસભ્ય પરેશ ધાનાણીને ટિકિટ આપી શકે છે. એવામાં ભાજપ પણ આપમાંથી રાજીનામું આપનારાં પૂર્વ ધારાસભ્ય ભૂપત ભાયાણીને ચૂંટણી મેદાને ઉતારે તેવી શક્યતા છે.
જીગ્નેશ મેવાણીએ કોંગ્રેસની હાર ભાળી કે કોઇ બીજુ રહસ્ય!
પેટાચૂંટણીનો જંગ જામવ્યો છે ત્યારે કોંગ્રેસમાં જૂથવાદ અને રાજકીય માહોલ ગરમાયો છે. એવામાં ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીને કડી બેઠક પર પ્રભારી તરીકે જવાબદારી સોંપવામાં આવી હતી પણ તેમણે ના પાડી દીધી છે. હવે તેમની જગ્યાએ પૂર્વ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખને જવાબદારી આપવી પડી છે. પ્રદેશ નેતાગીરીથી નારાજ મેવાણીએ દિલ્હી દરબારમાં રજૂઆત કરી હોવાનું જાણવા મળ્યું છે. તેમજ રાજકીય ચર્ચામાં કહેવાઇ રહ્યું છે કે જીગ્નેશ મેવાણીએ કોંગ્રેસની હાર ભાળી કે કોઇ બીજુ રહસ્ય છે તે સમય આવે ખબર પડશે. તેમજ કડી બેઠક પર ભાજપ પૂર્વ ધારાસભ્ય હિતુ કનોડિયા પર પસંદગી ઉતારે તો પણ કોઈ નવાઈ નહીં. જ્યારે કોંગ્રેસ પણ પૂર્વ ધારાસભ્ય નૌશાદ સોલંકીને ટિકિટ આપે તેવી ચર્ચાએ વેગ પકડ્યો છે. 30 મેના દિવસે આપના ઉમેદવાર ગોપાલ ઈટાલિયા ફોર્મ ભરશે તે વખતે સમગ્ર મામલો સામે આવી જશે.
આમ, કડી-વિસાવદરની પેટાચૂંટણી જીતવા રાજકીય પક્ષો સક્રિય
આમ, કડી-વિસાવદરની પેટાચૂંટણી જીતવા રાજકીય પક્ષો સક્રિય થયાં છે. જેમાં વિસાવદરમાં કુલ 294 મતદાન મથકો પર મતદાન થશે. તથા 294 મતદાન મથકો પર 575 VVPAT મશીન તથા 1 હજાર 884 લોકોનો સ્ટાફ કાર્યરત રહેશે. વિસાવદરમાં લેઉઆ પટેલ સમાજનું પ્રભુત્વ છે. જેમાં કુલ પૈકી 50 ટકા મતદારો લેઉઆ પટેલ સમાજના છે. વિસાવદર, ભેંસાણ, જુનાગઢ તાલુકાનો સમાવેશ થાય છે. જેમાં મત વિસ્તારમાં કુલ 170થી વધુ ગામોનો સમાવેશ થાય છે.
આ પણ વાંચો: Chardham Yatra : પંચમહાલના વક્તાપુરનું શિક્ષક દંપતી ચારધામ યાત્રાએ ગયું અને થયુ સંપર્ક વિહોણું