Home » વાઘોડિયા તાલુકાના શ્રીપોર ટીંબી ગામે નવી નગરીમાં મહિલાની હત્યા, પોલીસે તપાસ આદરી
વાઘોડિયા તાલુકાના શ્રીપોર ટીંબી ગામે નવી નગરીમાં મહિલાની હત્યા, પોલીસે તપાસ આદરી
Vipul Pandya
i have 22 years experince in journalism field in diffrent media instituie like etv gujarati, tv9, sandesh news and gujarat samachar and divy bhaskar news paper. crime and political news is my favoaurit subject
77
દેશ અને રાજયના લોકો નવા વર્ષની ઉજવણી કરી રહ્યા હતાં ત્યારે વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકાના શ્રીપોર ટીંબી ગામે 40 વર્ષિય મહિલાના માથામાં ગામના જ યુવાને રોડ સાફ કરવાના ઝાડૂનો દસ્તો મારી મોતને ઘાટ ઉતારી દીધી હતી. આ મહિલા હત્યારા યુવાન વિરૂધ્ધ ગનગનાટ કરતી પસાર થતી હતી ત્યારે આ હત્યારો યુવાન આ ગનગનાટ સાંભળી ગયો હતો અને યુવાન રોષે ભરાયો હતો. ક્રોધિત થયેલા યુવાને મહિલાને મોતને ઘાટ ઉતારી દીધી હતી અને ત્યાંથી ફરાર થઇ ગયો હતો.
અચાનક થયેલી હત્યાથી ગામમાં સન્નાટો
સવારે હત્યા થતા ગામમાં સન્નાટો છવાઈ ગયો હતો. એક તરફ નવા વર્ષની ઉજવણી તો બીજી તરફ મૃત્યુ. નવીનગરીમાં રહેતા લોકો નવા વર્ષની ઉજવણી માટે વહેલી સવારે ઉઠી ગયા હતા. કેટલાંક લોકો તૈયાર થઇને નવા વર્ષની શુભેચ્છા આપવા માટે નગરીમાં ફરી રહ્યા હતા. નગરીના લોકોમાં અનેરો ઉત્સાહ હતો. પરંતુ નગરીના લોકોની ખૂશી સવારે થોડીવાર માટે જ જોવા મળી. ઘડીક ક્ષણમાં જ આ ખુશી ગમગીનીમાં ફેરવાઇ ગઇ હતી. નવીનગરીમાં રહેતા 40 વર્ષિય સીતાબહેન ઉર્ફ ટીનકી રતિલાલ નાયકા હેન્ડપમ્પ ઉપર પાણી લેવા માટે નીકળ્યા હતા. ઘરેથી નીકળ્યા ત્યારે રસ્તામાં રહેતા અનિલ અરવિંદભાઇ રાઠોડીયા ( ઉ.વ. 25) વિરૂધ્ધ ગનગનાટ કરતા જઇ રહ્યા હતા.
જેથી અનીલભાઈએ રોડ સાફ કરવાના ઝાડૂનો દસતો મારી મહીલાને મોતને ઘાટ ઉતારી દીધી. ગણતરીની મિનીટોમાં જ મહિલાએ લોહીના ખાબોચીયામાં દમ તોડી દીધો હતો. સીતાબહેન ઉર્ફ ટીનકી મોતને ભેટતા હત્યારો અનિલ રાઠોડીયા ગામમાંથી ફરાર થઇ ગયો હતો. દરમિયાન નવીનગરીમાં સીતાની હત્યા થઇ હોવાની લોકોને જાણ થતાં લોકોના ટોળા એકઠાં થઇ ગયા હતા. આ બનાવે ગામમાં ચકચાર જગાવી મૂકી હતી. ગામનો નવા વર્ષની ઉજવણીનો ઉત્સાહ ગમગીનીમાં ફેરવાઇ ગયો હતો.
પોલીસે ઘટના સ્થળે પહોંચી બનાવની તપાસ આદરી
આ સમગ્ર ઘટના બનતાની સાથે જ આસપાસના રહીશો ગભરાઈ ઉઠ્યા હતા અને તેઓએ પોલીસને જાણ કરતા પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી સમગ્ર ઘટનાને થાળે પાડી. આ બનાવની જાણ વાઘોડિયા પોલીસને થતાં ઇન્ચાર્જ પી.આઇ. વી.એમ. ઝાલા પોલીસનાં જવાનોનાં સ્ટાફ સાથે બનાવના સ્થળે દોડી ગયા હતા. આ સાથે જ ડી.વાય.એસ.પી. એસ.બી. કુંપાવત, જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાંચના પી.આઇ. કૃણાલ પટેલ પણ સ્ટાફ સાથે બનાવના સ્થળે દોડી ગયા હતા. વાઘોડિયા પોલીસે લાશનો કબજો લઇ પોષ્ટમોર્ટમ માટેની કાર્યવાહી હાથ ધરી હતી. તો બીજી બાજુ પોલીસે અલગ – અલગ ટીમો બનાવી હત્યારા અનિલ રાઠોડીયાને ઝડપી પાડવા માટે રવાના કરી હતી. અત્રે વાઘોડિયા પોલીસે અનિલ રાઠોડીયા સામે હત્યાનો ગુનો દાખલ કરી આગળની કાનૂની કાર્યવાહી હાથ ધરી છે.
Vipul Pandya
i have 22 years experince in journalism field in diffrent media instituie like etv gujarati, tv9, sandesh news and gujarat samachar and divy bhaskar news paper. crime and political news is my favoaurit subject