Home » પંજાબની સરકારી ઓફિસોમાં લાગેલી ભગત સિંહની તસવીર પર વિવાદ, જાણો શું છે કારણ
પંજાબની સરકારી ઓફિસોમાં લાગેલી ભગત સિંહની તસવીર પર વિવાદ, જાણો શું છે કારણ
Vipul Pandya
i have 22 years experince in journalism field in diffrent media instituie like etv gujarati, tv9, sandesh news and gujarat samachar and divy bhaskar news paper. crime and political news is my favoaurit subject
107
આપણે ત્યાં અનેક દેશભક્તિ ગતો છે. જેમાંથી એક ગીત ‘મેરા રંગ દે બસંતી ચોલા…’. ઘણું લોક પ્રિય એવું આ ગતી સામાન્ય રીતે ભગત સિંહ સાથે જોડાયેલું છે. એવું કહેવામાં આવે છે કે ભગત સિંહને ફાંસી આપી તે પહલા તેમણે આ ગીત ગાયુ હતું. જો કે આ વાતના કોઇ પુરવા તો નથી. મૂળ તો ક્રાંતિકારી રામ પ્રસાદ બિસ્મિલે લખેલું આ ગીત બાદમાં ભગત સિંહ પર બનેલી ફિલ્મોમાં આવ્યું. ત્યારથી જ લોકોના મનમાં આ ગીત ભગત સિંહ સાથે જોડાઇ ગયું.
વસંતી રંગ એટલે કે પીળો રંગ. વસંત ઋતુના આગમન સાથે જ પ્રકૃતિ જે રંગે રંગાઇ જાય છે, તે રંગ. અત્યારે આ પીળો રંગ અને ભગત સિંહ બંને ચર્ચામાં આવ્યા છે. સામાન્ય રીતે આપણે ત્યાં કોઇ ક્રાંતિકારી, શહીદ, સ્વાતંત્ર્ય સેનાની કે મહાપુરુષ બે જ વખત ચર્ચામાં આવે છે. એક તો તેમની પુણયતિથિ હોય ત્યારે અને બીજુ ચૂંટણી હોય ત્યારે. એટલે કે ભગત સિંહ અત્યારે ચર્ચામાં છે તેનું કારણ પણ ચૂંટણી જ છે.
આમ આદમી પાર્ટી, પંજાબ ચૂંટણી અને ભગત સિંહ
પંજાબની વિધાનસભા ચૂંટણીમાં ઐતિહાસિક જીત સાથે આમ આદમી પાર્ટીએ સરકાર બનાવી છે. એક સમયે કોમેડિયન એવા ભગવંત માન પંજાબના મુખ્યમંત્રી બન્યા છે. પંજાબમાં ચૂંટણી પ્રચાર દરમિયાન આમ આદમી પાર્ટીએ અવાર નવાર ભગત સિંહના સપનાનું ભારત બનાવવાની વાત કરી હતી. સાથે જ ભગવંત માને પણ મુખ્યમંત્રી તરીકેના શપથ રાાજધાની અમૃતસર કે રાજભવનની જગ્યાએ શહીદ ભગત સિંહના પૈતૃક ગામ ખટકર કલાંમાં લીધા છે. શપથ વખતે તેમણે લોકોને અપીલ કરતા કહ્યું હતું કે તેઓ ફક્ત પીળો કે વસંતી કલર પહેરીને આવે, જેથી ભગતસિંહને સન્માન મળે.
પંજાબની સરકારી ઓફિસોમાં ભગત સિંહની તસવીર
માત્ર આટલુ જ નહીં મુખ્યમંત્રી તરીકેની શપથ લીધા ત્યારબાદ તેમણે જાહેરાત કરી હતી કે પંજાબની સરકારી ઓફિસોમાં હવે સરદાર ભગત સિંહ અને બાબા સાહેબ આંબેડકરની તસવીરો મુકવામાં આવશે. આવું કરવામાં પણ આવ્યું છે. ભગવંત માનની ઓફિસનો જે ફોટો સામે આવ્યો છે તેમાં પાછળ શહીદ ભગત સિંહ અને બાબા સાહેબની તસવીર છે. આ તસવીરની અંદર ભગત સિંહે પીળી પાઘડી પહેરેલી છે. જેને લઇને હવે વિવાદ શરુ થયો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ભગત સિંહે ક્યારેય પીળા રંગની પાઘડી પહેરી નહોતી. ઇતિહાસકારો અને શહીદ ભગત સિંહના પરિવારોનું પણ આવું જ કહેવું છે. આ સિવાય જે દસ્તાવેજો અને ભગત સિંહના ફોટો ઉપલબ્ધ છે તેમાં પણ ક્યાંય જોવા નથી મળતું કે તેમણે વસંતી રંગની પાઘડી પહેરી હોય.
ઇતિહાસકાર શું કહે છે?
શહીદ ભગત સિંહ સાથે જોડાયેલા અનેક પુસ્તકોના લેખક તથા તેમની સાથે જોડાયેલા તમામ દસ્તાવેજોનું અધ્યયન કરનારા પ્રોફેસર ચમનલાલે એક મીડિયા હાઉસ સાથે વાત કરતા તેમણે પણ આ જ વાત કહી હતી. તેમણે કહ્યું કે , દસ્તાવેજોના આધારે અમે કહી શકીએ કે ભગત સિંહનો પીળી પાઘડી સાથે કોઈ સંબંધ નથી, જે પણ દાવા કરવામાં આવે છે તે સંપૂર્ણપણે ખોટા છે. ભગત સિંહની માત્ર ચાર તસવીરો ઉપલબ્ધ છે, જેમાં તેઓ ઉંમરના અલગ-અલગ તબક્કામાં જોવા મળે છે. ચારમાંથી કોઈ પણ તસવીરમાં પીળી પાઘડી દેખાતી નથી. વર્ષ 1929માં ધ ટ્રિબ્યુને તેના ફ્રન્ટ પેજ પર ભગત સિંહની તસવીર પણ છાપી હતી, જેમાં તેમણે સફેદ પાઘડી પહેરી હતી.
ભગતસિંહના પરિવારે પણ સવાલ ઉઠાવ્યા
માત્ર ઈતિહાસકારો જ નહીં પરંતુ ભગત સિંહના પરિવાર સાથે જોડાયેલા લોકોએ પણ વાંધો ઉઠાવ્યો છે. ભગત સિંહના ભત્રીજા અને વીર ચક્ર વિજેતા શેહોનાન સિંહે સોશિયલ મીડિયા પર પોતાની એક પોસ્ટમાં આ વાતનો ઉલ્લેખ કર્યો છે. શેહોનાન સિંહનું કહેવું છે કે તેઓ તેમના તરફથી પંજાબ સરકારને ભગત સિંહની ઓરિજનલ તસવીર ભેટ કરવા ગયા હતા, જેમાં તેઓ સફેદ પાઘડીમાં જોવા મળે છે. પરંતુ તેમને કોઈ મળ્યું ન હતું, તેમજ મુખ્યમંત્રી આવાસમાં ભગત સિંહની જે તસવીર છે તે પેઇન્ટિંગ પર આધારિત છે, સાચું નથી.
Vipul Pandya
i have 22 years experince in journalism field in diffrent media instituie like etv gujarati, tv9, sandesh news and gujarat samachar and divy bhaskar news paper. crime and political news is my favoaurit subject