જમ્મુ-કાશ્મીરના બડગામમાં કાશ્મીરી પંડિત રાહુલ ભટ્ટ અને પુલવામામાં એસપીઓ રિયાઝ અહેમદની
હત્યા બાદ સુરક્ષા દળો ઘાટીમાં એક્શન મોડમાં આવી ગયા છે. જણાવવામાં આવી રહ્યું છે
કે સુરક્ષા દળોને બાંદીપોરાના બેરાર વિસ્તારમાં બે આતંકીઓ છુપાયા હોવાની માહિતી
મળી હતી. જે બાદ સુરક્ષા દળોએ વિસ્તારને કોર્ડન કરી લીધો હતો. આ ખાસ ઓપરેશનમાં એક
આતંકી માર્યો ગયો છે. બાંદીપોરાના બેરાર વિસ્તારમાં
સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થઈ હતી. પહેલાથી જ તૈયાર સુરક્ષા દળોને
બેરાર વિસ્તારમાં બે આતંકવાદીઓ છુપાયા હોવાની માહિતી મળી હતી. જે બાદ સુરક્ષા દળોએ
વિસ્તારને કોર્ડન કરીને સ્પેશિયલ ઓપરેશન શરૂ કર્યું હતું.
જમ્મુ-કાશ્મીર પોલીસે માહિતી આપી કે આ ઓપરેશનમાં એક આતંકવાદી
માર્યો ગયો છે. બાકીની શોધખોળ ચાલુ છે. આઈજીપી કાશ્મીરે જણાવ્યું હતું કે, તાજેતરમાં લશ્કર-એ-તૈયબાના બે પાકિસ્તાની આતંકવાદીઓના પ્રવેશ
અંગેના ઇનપુટ મળ્યા હતા. જેઓ તાજેતરમાં 11 મેના રોજ સાલિન્દર જંગલ વિસ્તારમાં આતંકવાદ વિરોધી ઓપરેશનમાંથી
ભાગી ગયા હતા. તેમને ટ્રેક કરવામાં આવ્યા હતા. તેઓ આજે બ્રાર બાંદીપોરામાં અટવાયા
છે. તેમની સામે ઓપરેશન ચાલી રહ્યું છે.ઉલ્લેખનીય છે કે 12 મેના રોજ બડગામમાં તહસીલદારની ઓફિસમાં ઘૂસીને ત્રણ આતંકીઓએ
કાશ્મીરી પંડિત રાહુલ ભટ્ટની હત્યા કરી નાખી હતી. આ હુમલાની જવાબદારી કાશ્મીર
ટાઈગર્સે લીધી હતી. રાહુલ ભટ્ટની હત્યાના વિરોધમાં કાશ્મીરી પંડિતો ઘાટીના ઘણા
વિસ્તારોમાં વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે.