એકબાજુ દેશભરમાં ગુનાઓના પ્રમાણમાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો
છે તો બીજી તરફ હવે સુપ્રીમ કોર્ટ પણ
આરોપીઓને સજાને લઈને મેદાનમાં ઉતરી છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે હવે કડક સજા માટે
કોર્ટ દ્વારા એક માર્ગદર્શિકા બનાવવામાં આવશે. સુપ્રીમ કોર્ટ દેશની અદાલતો માટે
ફાંસીની સજા આપવા અંગે માર્ગદર્શિકા બનાવશે. કોર્ટે આ ગંભીર મામલાની સુઓ મોટુ
સંજ્ઞાન લીધી છે. જસ્ટિસ યુ યુ લલિત, જસ્ટિસ એસ
રવિન્દ્ર ભટ્ટ અને જસ્ટિસ પીએસ નરસિમ્હાની બેન્ચે મૃત્યુદંડની સજા પામેલા કેદીની
અરજી પર આ પગલું ભરવાનો નિર્ણય કર્યો છે. મૃત્યુદંડની સજાને પડકારતી ઈરફાન ઉર્ફે
ભૈયુ મેવાતીની અરજી પર કોર્ટ વિચારણા કરી રહી હતી. ટ્રાયલ કોર્ટે ઈરફાન માટે
ફાંસીની સજા નક્કી કરી હતી અને મધ્યપ્રદેશ હાઈકોર્ટે પણ તેની પુષ્ટિ કરી છે. ત્રણ
જજની બેન્ચે આ જ અરજી પર ચાલી રહેલી કાર્યવાહી દરમિયાન કહ્યું હતું કે મૃત્યુને
લાયક ગુનામાં કડક સજા નક્કી કરવા માટે આ માર્ગદર્શિકા જરૂરી છે. કોર્ટ તેને જલ્દી
તૈયાર કરશે
આ મામલે ખંડપીઠે એટર્ની જનરલ કે.કે.વેણુગોપાલને પણ આ માટે મદદ કરવા
કહ્યું છે અને નેશનલ લીગલ સર્વિસ ઓથોરિટી (NALSA)ને નોટિસ જારી કરી છે. ખંડપીઠે કહ્યું કે હવે સમય આવી ગયો છે કે
મૃત્યુદંડની સજા અંગે પણ નિયમો બનાવવા જોઈએ. એટલે કે તેને સંસ્થાકીય બનાવવું જોઈએ. કારણ કે જે દોષિતને દોષી ઠેરવવામાં આવે છે તેની પાસે પોતાનો બચાવ
કરવાના બહુ ઓછા માધ્યમો હોય છે. સુનાવણી દરમિયાન એમિકસ ક્યુરીના વરિષ્ઠ વકીલે કહ્યું હતું કે ઘણા
રાજ્યોમાં સરકારી વકીલને કેટલા કેસમાં સજા થઈ તેના આધારે પ્રમોશન આપવામાં આવે છે. તેમણે મધ્યપ્રદેશનો ઉલ્લેખ કર્યો. સુપ્રીમ કોર્ટે કહ્યું કે આ
પોલિસીને સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવે. ત્યારબાદ કોર્ટે તેની નોંધ લીધી અને
હવે આ મામલે 10 મેના રોજ સુનાવણી થશે.