World Lion Day : ગુજરાતના આ વિસ્તારમાં આવેલું છે વિશ્વનું એકમાત્ર સિંહ સ્મારક, Video
- અમરેલીના રાજુલા તાલુકામાં આવેલું છે સિંહ સ્મારક
- વિશ્વનું એકમાત્ર સિંહ સ્મારક
- પંથકના લોકો માટે સિંહ પૂજનીય છે
- અહીંના લોકોને સિંહ પ્રત્યે છે અનોખી આસ્થા
- સિંહ પ્રેમીઓએ એક સિંહણ સ્મૃતિ સ્મારક બનાવ્યુ છે
- આ સ્મારક પર સિંહની પૂજા અને આરતી કરવામાં આવે છે
- ટ્રેન અકસ્માતમાં બે સિંહણના થયા હતા મોત
World Lion Day : તમે ભગવાનના મંદિરો તો અનેક જોયા હશે. પરંતુ સિંહનું મંદિર હોય તેવું ક્યાંય જોયું છે. તમને આશ્ચર્ય થશે કે સિંહનું સ્મારક કંઈ રીતે હોઈ શકે. પરંતુ આ હકીકત છે કે વિશ્વનું એકમાત્ર સિંહ સ્મારક અમરેલી જિલ્લાના રાજુલા તાલુકામાં આવેલું છે. જેમ ભગવાન માટે આસ્થા, પ્રેમ અને વિશ્વાસ હોવાથી આપણે તેમને પૂજીએ છીએ, તેમ રાજુલા પંથકમાં પણ લોકો માટે સિંહ પૂજનીય છે. અહીંના લોકોને સિંહ પ્રત્યે અનોખી આસ્થા છે. રવિવારે વિશ્વ સિંહ દિવસ નિમિત્તે સમગ્ર વિસ્તારમાં ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે આ દિવસે ગુજરાતમાં આવેલા એક સિંહના સ્મારક વિશેની વાત કરીશું.
અમરેલી જિલ્લાના રાજુલા તાલુકામાં આવેલા ભેરાઈ ગામ પાસે સિંહ પ્રેમીઓએ એક સિંહણ સ્મૃતિ સ્મારક બનાવ્યુ છે. દર વર્ષે વિશ્વ સિંહ દિવસ નિમિત્તે આ સ્મારક પર સિંહની પૂજા અને આરતી કરવામાં આવે છે જેમ હનુમાન ચાલીસા થાય તેમ જ સિંહ ચાલીસાનું પઠન થાય છે. ગીરના સિંહની સૌથી વધુ વસ્તી ધરાવતા આ વિસ્તારના લોકો માટે સિંહ પ્રાણથી પણ પ્રિય છે. આ વિસ્તાર બૃહદગીર તરીકે ઓળખાય છે. સિંહ પ્રેમીઓનું કહેવું છે કે, વિશ્વનું આ એકમાત્ર સિંહ સ્મારક છે. જ્યાં અપાર શ્રદ્ધા સાથે સિંહની પૂજા થાય છે. અમરેલી જિલ્લાના લોકો પહેલાંથી જ સિંહને ખૂબ પ્રેમ કરે છે, પરંતુ સ્મારક બનાવવા પાછળની કહાની ખૂબ દર્દથી ભરેલી છે. સિંહ પ્રેમીઓને વર્ષ 2014 માં સ્મારક બનાવવાનો વિચાર આવ્યો હતો. કારણ કે વર્ષ 2014માં એવી ઘટના ઘટી હતી કે જેનાથી સિંહ પ્રેમીઓને ખૂબ ઠેસ પહોંચી હતી. ભેરાઈ ગામ નજીક ટ્રેન અકસ્માતમાં બે સિંહણના મોત થયા હતા.
અકસ્માતમાં મોતની રાજ્યમાં આ પહેલી ઘટના હતી એવું સિંહ પ્રેમીઓનું કહેવું છે. જે બાદ સિંહ પ્રેમીઓ અને પર્યાવરણ પ્રેમીઓએ આગળ આવ્યા અને લોકભાગીદારીથી અહીં સિંહણ સ્મૃતિ સ્મારક બનાવ્યું. ગામના જ એક વ્યક્તિએ જમીનનું દાન આપીને સ્મારક બનાવવામાં વિશેષ યોગદાન આપ્યું ત્યારે વિશ્વ સિંહ દિવસે અહીં મોટી સંખ્યામાં સ્થાનિકો, સિંહ પ્રેમીઓ અને વનવિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહે છે. અને સિંહ ચાલીસા સહિતના કાર્યક્રમો યોજવામાં આવે છે. સિંહ સ્મારકની વાત સાંભળી અહીં બહારથી પણ લોકો આવી રહ્યા છે. જેના કારણે આ વિસ્તારના લોકો ગૌરવ અનુભવી રહ્યા છે. સિંહણના આ સ્મારક પર લોકો માનતા પુરી કરવા પણ આવે છે.
આ પણ વાંચો : Lion Temple : એક એવું સ્થાન જ્યાં થાય છે સિંહની પૂજા, પણ કેમ ? જાણો કરુણ કહાની!


