ઈઝરાયેલ અને પેલેસ્ટાઈન વચ્ચે ચાલી રહેલ યુદ્ધની સ્થિતિ દિવસે દિવસે વધુ ભયાવહ રૂપ લઈ રહી છે . શનિવારથી બંને દેશો વચ્ચે ભયંકર યુદ્ધ ચાલી રહ્યું છે. હમાસ દ્વારા ઈઝરાયેલ ઉપર કરાયેલા હુમલા બાદ પેલેસ્ટાઈન-ઈઝરાયેલ વિસ્તારમાં હિંસાની નવી જ્વાળાઓ ભડકવા લાગી છે. યુદ્ધમાં અત્યાર સુધીમાં બંને પક્ષોના લગભગ 1000 લોકોના મોત થયા છે. મૃતકોમાં અમેરિકા અને નેપાળ સહિત અન્ય દેશોના નાગરિકો પણ સામેલ છે. આ દુર્ઘટના ઉપર લોકોની પ્રતિક્રિયાઓ પણ આવવા લાગી છે. સોશિયલ મીડિયા પર જ્યાં એક તરફ કેટલાક લોકો એવા છે જે ખુલ્લેઆમ ઇઝરાયલનું સમર્થન કરી રહ્યા છે, તો બીજી તરફ કેટલાક લોકો એવા પણ છે જે પેલેસ્ટાઇનનું સમર્થન કરતા જોવા મળી રહ્યા છે. હવે અભિનેત્રી સ્વરા ભાસ્કરે પણ આ યુદ્ધ ઉપર પોતાની પ્રતિક્રિયા આપી છે.
પેલેસ્ટાઈનના સમર્થનમાં આવી સ્વરા ભાસ્કર
હાલમાં જ પેલેસ્ટાઈન અને ઈઝરાયલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધ પર પોતાની પ્રતિક્રિયા આપતા સ્વરા ભાસ્કરે તેના ઈન્સ્ટાગ્રામ ઉપર એક પોસ્ટ શેર કરી હતી અને લખ્યું હતું કે – ‘જો તમને ઇઝરાયેલે પેલેસ્ટાઇન પર કરેલા હુમલાનો આઘાત ન લાગ્યો હોય, જ્યારે ઇઝરાયલીઓએ પેલેસ્ટિનિયન લોકોના ઘરો તોડી બળજબરીપૂર્વક છીનવી લીધા હતા અને પેલેસ્ટિનિયન બાળકો અને કિશોરો સુધીને બક્ષ્યા ન હતા, અને ગાઝા પર લગભગ 10 વર્ષ સુધી સતત હુમલો અને બોમ્બ ધડાકા કર્યા હતા. ત્યારે ઇઝરાયેલ પરના હુમલાનો શોક કરનારા લોકો દંભથી ભરેલા છે’ એટલું જ નહીં, અભિનેત્રીએ તેની ઇન્સ્ટા સ્ટોરી પર ઘણા લોકોની પોસ્ટ પણ શેર કરી છે.
હાલમાં જ એક ભારતીય અભિનેત્રી યુદ્ધનો ભોગ બની ચૂકી છે
બોલિવૂડની પ્રખ્યાત અભિનેત્રી નુસરત ભરૂચા આ બંને દેશો વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં હમણાં જ ખરાબ રીતે ફસાઈ ગઈ હતી. અભિનેત્રી ત્યાં ‘હૈફા ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ’માં ભાગ લેવા ગઈ હતી. આ ફિલ્મ ફેસ્ટિવલમાં નુસરત ભરૂચાની ફિલ્મ ‘અકેલી’ બતાવવામાં આવી હતી. પરંતુ આ દરમિયાન ત્યાં યુદ્ધ થયું અને નુસરત ત્યાં જ ફસાઈ ગઈ. જો કે અભિનેત્રી હવે સુરક્ષિત ભારત પરત ફરી છે.
હમાસના આતંકવાદીઓએ ઈઝરાયેલ પર રોકેટ છોડ્યા હતા
તમને જણાવી દઈએ કે શનિવારે ઈઝરાયેલમાં થયેલા આતંકી હુમલા બાદ સમગ્ર વિશ્વમાં ખળભળાટ મચી ગયો છે. હમાસના હુમલાને કારણે ઈઝરાયેલમાં સેંકડો લોકોના મોત થયા છે. હમાસે શનિવારે ઈઝરાયેલ પર 5 હજાર રોકેટ છોડ્યા હતા. આ પછી ઇઝરાયેલ અને હમાસ વચ્ચે યુદ્ધ શરૂ થયું હતું. પ્રાપ્ત થતી માહિતી અનુસાર, રવિવારે ઇઝરાયેલ ડિફેન્સ ફોર્સિસ (IDF) અને હમાસ વચ્ચે ગોળીબાર તીવ્ર થતાં સેંકડો પેલેસ્ટિનિયનો પણ માર્યા ગયા હતા અને હજારો લોકો ઘાયલ થયા હતા.
આ પણ વાંચો — Israel-Hamas યુદ્ધની ભારત પર શું થશે અસર ?
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે