અહેવાલઃ વિશ્વાસ ભોજાણી, ગોંડલ
સૌરાષ્ટ્રનું અગ્રીમ ગણાતું ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં વિવિધ જણસીની મબલખ આવક જોવા મળતી હોય છે ત્યારે માર્કેટિંગ યાર્ડના સત્તાધીશો દ્વારા બિપોરજોય નામના વાવાઝોડા ને કારણે તા.13 ને મંગળવારથી યાર્ડમાં તમામ જણસીની આવક બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. તેમજ તા. 14 અને 15 બે દીવસ માર્કેટિંગ યાર્ડનું તમામ કામકાજ બંધ રાખવામાં આવેલો હતો. પરંતુ બિપરજોય વાવાઝોડું ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે જેના પગલે યાર્ડ ના સત્તાધીશો દ્વારા વધુ એક દિવસ એટલે કે આવતીકાલ 16 જૂનના યાર્ડ માં જણસીની આવક બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. યાર્ડના સત્તાધીશો દ્વારા આગામી જાહેરાત ન થાય ત્યાં સુધી ખેડૂતોએ જણસી ભરીને આવવું નહીં તેવી જાહેરાત કરવામાં આવી છે.
બિપરજોય વાવાઝોડાની અસર જોવા મળી
બિપોરજોય વાવાઝોડાની અસર ગોંડલ શહેર તેમજ પંથકમાં જોવા મળી હતી. શહેરમાં સવારથી વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું.સવાર થી ભારે પવન સાથે ધોધમાર વરસાદી ઝાપટા પડી રહ્યા છે. ગ્રામ્ય વિસ્તારમાં મેઁગણી, કોલીથડ, હડમતાળા સહિત આસપાસના ગામોમાં પણ ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો. ભારે પવન ને કારણે શહેર તેમજ ગ્રામ્ય માં વૃક્ષો ધરાશાયી થવા પામ્યા હતા.