અહેવાલ : નામદેવ પાટીલ, પંચમહાલ
સુપ્રસિદ્ધ યાત્રાધામ અને શક્તિપીઠ પાવાગઢ ખાતે દર્શનાર્થે આવતા માઇ ભક્તોને સેવા છેલ્લા ત્રણ દિવસથી નિયમિત નહીં મળતી હોવા થી માઇ ભક્તોમાં નારાજગી જોવા મળી રહી છે .રાજ્ય અને રાજ્ય બહારથી માતાજીના ચરણોમાં શીશ ઝુકાવી આશીર્વાદ મેળવવાના ભાવ સાથે આવતા દર્શનાર્થીઓ પૈકી કેટલાય વયો વૃદ્ધ અને અશક્ત ભક્તો હાલ દર્શન કર્યા વિના વીલે મોડે પરત ફરતા જોવા મળી રહ્યા છે .અહીં કેટલાક દર્શનાર્થીઓના કરાયેલા આક્ષેપ મુજબ જિલ્લા પંચાયત દ્વારા ડિમોલેશન કામગીરી દરમિયાન ઉષા બ્રેકોનું દબાણ પણ દૂર કરાયું હતું ત્યારબાદ આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે અને રોપ વે સંચાલકો દ્વારા વાતાવરણનું બહાનું આગળ ધરી માઇ ભક્તોને હેરાન પરેશાન કરવામાં આવતા હોવાનો આક્ષેપ પણ કરવામાં આવી રહ્યો છે.
સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે રોપ વે સેવા સતત બંધ રહેતાં પાવાગઢ ખાતે આવતા યાત્રાળુઓને પારાવાર મુશ્કેલીઓ વેઠવી પડી રહી છે. વાતાવરણ ચોખ્ખું હોવા છતાં રોપ વે સંચાલકો વાતાવરણ નું કારણ દર્શાવી છેલ્લા ત્રણ દિવસથી મનમાની કરી રહ્યા હોવાના સ્થાનિકો તેમજ યાત્રાળુઓ આક્ષેપ કરી રહ્યા છે. રોપ વે સેવા બંધ રહેવાના કારણે ગુજરાત અને અન્ય રાજ્યમાંથી આવેલા વયોવૃદ્ધ માઈ ભક્તો દર્શન કર્યા વિના નિરાશ વદને પરત ફરતા જોવા મળી રહ્યા છે. ત્યારે ભક્તોમાં રોપ વે સેવા રેગ્યુલર શરૂ કરવા ઉગ્ર માંગ ઉઠી છે. સમગ્ર મામલે રોપ વે સેવાનો સંચાલન કરતી ઉષા બ્રેકોના અધિકારી સાથે વાત કરતા રોપ વે સંચાલકો કેમેરા સામે કઈપણ બોલવા ઇન્કાર કરી ટુંક સમયમાં રોપ વે શરૂ કરવામાં આવશે તેમ જણાવી રહ્યા છે.
જોકે કંપની દ્વારા આવા જવાબ છેલ્લા ત્રણ દિવસથી આપવામાં આવતા અનેક પ્રશ્નો સર્જાયા છે. છેલ્લા ત્રણ દિવસથી રોપવે સેવા બંધ હોવાના કારણે જગતજનની ના દર્શન કર્યા વિના પરત ફરી રહેલા માઈ ભક્તો ભાવુક બની સરકાર ને રોપ વે સેવા શરૂ કરવા માટે આજીજી કરી રહ્યા છે. તો બીજી તરફ રોપવે સેવા સંચાલન કરતી કમ્પની દ્વારા રોપ વે સેવા બંધ રાખવા માટે કોઈ પણ પ્રકારની જાહેરાત નહિ કરતા યાત્રાળુઓમાં ભારે રોષ પણ જોવા મળી રહ્યો છે.
ઉલ્લેખનિય છે કે પંચમહાલ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સુપ્રસિદ્ધ શક્તિપીઠ એવા યાત્રાધામ પાવાગઢ ખાતે તમામ પ્રકારના દબાણોને દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં પાવાગઢ માચી ખાતે આવેલ હોટેલ, સહિત નાના મોટી દુકાનો સાથે યાત્રાધામ પાવાગઢ ખાતે રો પ વે ની સેવા આપતી ઉષા બ્રેકો કંપની દ્વારા પણ કરવામાં આવેલ દબાણો પર વહીવટી તંત્રે બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું છે અને કંપની દ્વારા બનાવવામાં આવેલા ગેટ સહિત ગાર્ડનને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યો છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પાવાગઢમાં દબાણો જમીનોદોસ્ત કરવાના મેગા ડિમોલિશનની ચાલી રહેલ કામગીરી રોપવે સેવા સુધી પોહચતાં રોપવે સેવાના સંચાલકો દ્વારા શનિવાર થી હવામાન ખરાબ છે ના વાહિયાત કારણ રજૂ કરી યાત્રાળુઓ માટે રોપ વે સેવાની સુવિધા બંધ કરી હોવાના આક્ષેપ કરવામાં આવી રહ્યા છે. ત્યારે આ રોપવે સેવા બંધ કરી દેતા સમગ્ર દેશભરમાંથી આવતા માઈ ભક્તોને પારાવાર મુશ્કેલીઓ વેઠવી પડી રહી છે.
તો બીજી તરફ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પાવાગઢ માચી થી રેવાપથ ની આસપાસના પણ દબાણો દૂર કરવામાં આવતા પાવાગઢ માચી થી પગપાળા નિજ મંદિર સુધી જતા યાત્રાળુઓ – પદયાત્રીઓને પ્રાથમિક સુવિધા પણ ન મળતા પદયાત્રીઓ પારાવાર મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. પાવાગઢ માચી થી નીજ મંદિર સુધી ચાલતા જવાના માર્ગ ઉપર પીવાના પાણીની સુવિધા તેમ જ પગથિયાઓમાં અસહ્ય ગંદકીને લઈને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે ત્યારે પદયાત્રીઓ સરકાર પાસે સાફ-સફાઈ તેમજ પીવાના પાણીની વ્યવસ્થા કરવા માટેની માગ કરી રહ્યા છે.
શક્તિપીઠ પાવાગઢ ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રાધામ પૈકીનું એક યાત્રાધામ છે જેની સાથે માત્ર ગુજરાત જ નહીં દેશભરના અનેક શ્રદ્ધાળુઓની આસ્થા સંકળાયેલી છે .વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા 500 વર્ષ બાદ મંદિરના શિખર ઉપર ધ્વજા રોહણ કર્યા બાદ અહીં ભક્તોની અવર જવરમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે .બીજી તરફ પ્રવાસન વિભાગ દ્વારા પણ મંદિર નો સતત વિકાસ કરવા ઉપરાંત દર્શનાર્થે આવતા માઇ ભક્તોને અગવડતા ના પડે એ માટે કરોડો રૂપિયા નો ખર્ચ કરી આયોજન કરવામાં આવી રહ્યા છે
છેલ્લા ત્રણ દિવસથી માઇ ભક્તોને પડી રહેલી પારાવાર મુશ્કેલી સરકારની ભક્તોને યોગ્ય સુવિધા પૂરી પાડવાની નેમ ઉપર કલંક સમી જોવા મળી રહી છે .અહીં આવતા સિનિયર સિટીઝન અને અશક્ત દર્શનાર્થીઓ માટે ઉષા બ્રેકો કંપની દ્વારા ચલાવવામાં આવતી રોપ વે સેવાની અપેક્ષાએ મંદિર સુધી પહોંચવાની આશા રાખી આવતા હોય છે પરંતુ છેલ્લા ત્રણ દિવસથી રોપ વે સંચાલકોની ભક્તોએ કરેલા આક્ષેપ મુજબ મન માની ચાલી રહી છે અને જેથી જ હાલ અશક્ત, દિવ્યાંગ અને વયોવૃદ્ધ ભક્તો માતાજીના દર્શને જઈ શકતા નથી અને કલાકો અને દિવસોથી રાહ જોયા બાદ વિલા મોઢે પરત ફરતા જોવા મળી રહ્યા છે. ત્યારે તંત્ર અને સરકારના પ્રવાસન વિભાગ દ્વારા ઉષા બ્રેકો સંચાલકોને રોપ વે સેવા બંધ રાખવા અંગે ચોક્કસ જાણકારી મેળવી માઇ ભક્તોને પડતી અગવડતા ને દૂર કરવા માં આવે એવી વિનંતી અને આજીજી કરવામાં ભક્તો દ્વારા આવી રહી છે.
આ પણ વાંચો – PADRA : ગણપતપુરા નર્મદા કેનાલમાં હત્યા કરી ફેંકી દેવામાં આવેલ દંપતીની હત્યાનો ભેદ ઉકેલાયો