અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 146 માં યાત્રા યોજાઇ રહી છે. જેના માટે પ્રશાસને લગભગ તમામ તૈયારીઓ કરી લીધી છે. આજે ભગવાન જગન્નાથજી સરસપુર મોસાળમાંથી પરત ફરશે અને દર વર્ષની જેમ આ વર્ષે પણ તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવશે અને બાદ ભગવાની પરંપરાગત રીતે નેત્રોત્સવ વિધિ યોજાશે જેમાં ભાજપ પ્રદેશ પ્રમુખ સી. આર. પાટિલ. પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સહિત સાધુ સંતો ઉપસ્થિત રહેશે.
દર વર્ષે અષાઢી બીજના દિવસે જગન્નાથપુરી અને અમદાવાદ સહિતના દેશના વિવિધ સ્થળો પર ભગવાન જગન્નાથજીની રથયાત્રા યોજાય છે અને ભગવાન જગન્નાથ બહેન સુભદ્રા અને ભાઇ બલરામ સાથે નગરચર્યાએ નીકળે છે. આ વર્ષે 20 જૂને રથયાત્રા યોજાશે.
શું હોય છે નેત્રોત્સવવિધિ ?
નાથ જ્યારે નગરચર્યાએ નીકળે છે તે અગાઉ 15 દિવસ પહેલા ભગવાન પોતાના મોસાળમાં રહેવા જાય છે. મામાના ઘરે આગતા સ્વાગતા એટલી દમદાર હોય છે કે શું ખાવુ ને શું નખાવુ ? મોસાળમાં ભાણેજને અનેક મિષ્ઠાન્ન અને જાંબુ ખવડાવવામાં આવે છે આથી તેમને આંખો આવી જાય છે. જેથી ભગવાન જ્યારે નિજ મંદિર ફરે છે ત્યારે નેત્રોત્સવ વિધી કરવામાં આવે છે. આ વિધિ બાદ તેમની આંખો પર પાટા બાંધી દેવામાં આવે છે. આથી ભગવાનને આંખોને ઠંડક મળે તેવા દ્રવ્યોથી નેત્રોત્સવ વિધિ કરવામાં આવે છે.
અષાઢી બીજે ખોલવામાં આવશે પાટા
ભગવાન જગન્નાથને અષાઢી બીજના દિવસે સવારે 4 વાગ્યે આંખેથી પાટા ખોલવામાં આવશે. ત્યાર પછી ધ્વજારોહણની વિધિ કરવામાં આવશે જે બાદ મંગળાઆરતી થશે. મહત્વનું છે કે રથયાત્રામાં ધોળી દાળ અને કાલી રોટીનું ખાસ મહત્વ હોય છે. ધોળી દાળ અને કાલી રોટીનો ભંડારો કરવામાં આવશે જેમાં લાખોની સંખ્યામાં ભાવિકો લાભ લેશે.
આ પણ વાંચો : ગુજરાતમાં ચોમાસું કેવું રહેશે, અંબાલાલ પટેલે કરી ભર’પૂર’ આગાહી