Surendranagar Canal: સુરેન્દ્રનગર જિલ્લામાંથી નર્મદાની મુખ્ય અને માયનોર કેનાલ પસાર થાય છે. આ કેનાલના માધ્યમથી ખેડૂતોને સિંચાઈને માટે પાણી પૂરતા પ્રમાણમાં મળી રહે છે. તેમજ અનેક ગામોના લોકોને કેનાલ મારફતે પીવાનુ પાણી મળી રહેતા કેનાલ આશિર્વાદરૂપ સાબિત થઈ છે.
- સુરેન્દ્રનગરની કેનાલમાં અનેક મોતના બનાવો
- અંદાજે 25 થી વધુ લોકો મોતને ભેટી ચૂક્યા
- 24 કલાક કાર્યરત સુરક્ષા તૈનાત કરવામાં આવે
પરંતુ બીજી બાજુ કેનાલોમાં તંત્રની બેદરકારીને કારણે અપમૃત્યુના બનાવો પણ સતત વધી રહ્યા છે. જેમાં નર્મદાની મુખ્ય તેમજ માયનોર કેનાલ ફરતે લોખંડની ફેન્સીંગ અને સિક્યુરિટીના અભાવે ડૂબી જવાથી અને આત્મહત્યાના બનાવોમાં દીનપ્રતિદિન વધારો થઈ રહ્યો છે. તેને લઈને સ્થાનિક લોકોમાં ચિંતાનો માહોલ સર્જાઈ ગયો છે.
અંદાજે 25 થી વધુ લોકો મોતને ભેટી ચૂક્યા
જિલ્લામાંથી પસાર થતી દુધરેજ નર્મદાની મુખ્ય કેનાલ, ધોળીધજા ડેમ, બાળા ગામ પાસેથી પસાર થતી કેનાલ, લખતર પાસેની કેનાલ, ધ્રાંગધ્રા તાલુકામાંથી પસાર થતી કેનાલો સહિતની કેનાલોમાં ડૂબી જવાના અને આત્મહત્યાના અનેક બનાવો બની રહ્યા છે. ત્યારે છેલ્લાં 6 મહિનામાં કેનાલ અને ડેમમાં ડૂબી જવાથી અંદાજે 25 થી વધુ લોકો મોતને ભેટી ચૂક્યા છે. લોકો માનસિક બીમારી કે જિંદગીથી કંટાળીને કેનાલ કે ડેમમાં ઝંપ લાગાવી મોતને ભેટે છે.
24 કલાક કાર્યરત સુરક્ષા તૈનાત કરવામાં આવે
તો આ કેનાલમાં ક્યારેક યુવાનો, વિદ્યાર્થીઓ, મહિલાઓ અને આધેડ સહિત બાળકોના પગ લપસી જવાથી આકસ્મિક રીતે મોત નીપજી ચૂંક્યા છે. આમ નર્મદા કેનાલ હવે આત્મહત્યા કરવા માટેનું કેન્દ્ર બની ગયું હોય તેમ લાગી રહ્યું છે. તેમ છતાંય હજુ સુધી જવાબદાર તંત્ર દ્વારા અપમૃત્યુના બનાવો રોકવા કોઈ જ પગલા લેવામાં આવ્યા નથી. આ અંગે અનેક વખત સામાજીક સંસ્થાઓ સહિત આગેવાનોએ રજૂઆતો કરવા છતાં કોઈ જ ઉકેલ આવ્યો નથી. લોકો દ્વારા માંગ ઉઠી છે કે નર્મદા અને માયનોર કેનાલની ફરતે ચેતવણીના બોર્ડ અને 24 કલાક કાર્યરત સુરક્ષા તૈનાત કરવામાં આવે.
આ પણ વાંચો: Surat Child Suicide: વાલીઓ બાળકોને ફોન આપતા પહેલા વિચાર જો, ફોનની લતમાં યુવતીએ કર્યો આપઘાત