VADODARA : વડોદરામાં બંધ કંપનીના સંચાલક જોડે રૂ. 2 કરોડની ઠગાઇનો કિસ્સો વડોરા ક્રાઇમ બ્રાન્ચ (VADODARA CRIME BRANCH) માં પહોંચ્યો છે. આ મામલે ત્રણ શખ્સો સામે ફરિયાદ નોંધવામાં આવી છે. સંચાલક જેના ભરોસે કંપની મુકીને વિદેશમાં રહેતા હતા. તેમણે જ મળીને મોટી ઠગાઇ આચરી હોવાનું ફરિયાદમાં જાણવા મળી રહ્યું છે.
અલગ અલગ લોકોને ભાડે આપવામાં આવ્યા
વડોદરા ક્રાઇમ બ્રાન્ચમાં નરેશભાઇ પુરષોત્તમભાઇ પટેલ (ઉં. 73) (હાલ રહે. લંડન) એ નોંધાવેલી ફરિયાદ અનુસાર, મકરપુરા જીઆઇડીસીમાં તેમના નામનો પ્લોટ હતો. જેના પર સુપરકોર ગુજરાત નામની કંપની ચાલતી હતી. કંપની ઓટો સ્પેરપાર્ટસ બનાવવાનું કામ કરે છે. જેનું વિદેશમાં પણ વેચાણ થાય છે. વર્ષ 2017 થી કંપનીનું સંચાલન પુત્રીઓને સોંપવામાં આવ્યું છે. વર્ષ 2020 માં કંપનીનો પ્લોટ વધુ મોટો હોવાથી તેમાં શેડ બનાવીને 5 અલગ અલગ લોકોને ભાડે આપવામાં આવ્યા હતા. જેનું માસીક ભાડુ ઉઘરાવવાનું કાામ કંપનીના મેનેજર મુકેશ ઉપાધ્યાયને સોંપવામાં આવ્યું હતું.
2021 માં કંપની સંપુર્ણપણે બંધ
ફરિયાદીનો વિદેશ પ્રવાસ વધુ હોવાથી કંપનીની માલ-સામાનની ખરીદી, પ્રોડક્શન વેચાણ અંગેની કામગીરી માટે પાવર ઓફ એટર્ની કૌશિકભાઇ પરીખને કરી આપી હતી. બાદમાં કોરોના કાળ બાદ ધંધો બરાબર ચાલતો ન હોવાના કારણે વર્ષ 2021 માં કંપની સંપુર્ણપણે બંધ કરી દીધી હતી. તમામ નોકરી કરનારાઓને છુટ્ટા કરી દેવામાં આવ્યા હતા. જેની કાર્યવાહી લેબર ઓફિસમાં જઇને પણ પૂર્ણ કરવામાં આવી હતી.
રૂ. 9 કરોડના મશીન વેચ્યા
બાદમાં કંપનીના ઇમેલ પરથી દિકરીને મેલ આવ્યો, જેમાં જણાવાયું કે, કંપનીમાં કુલ 74 મશીનો છે. જેનું વેચાણ કરવાની જવાબદારી અભય પરીખને સોંપવામાં આવી હતી. વર્ષ 2021 માં ત્રણ મહિનામાં રૂ. 6.85 કરોડના મશીનોનું વેચાણ થયું હતું. જેના પૈસા જમા થયા હતા. અને તે મંજુસી સાથે કરવામાં આવ્યું હતું. દરમિયાન તેઓ નવેમ્બર 2022 માં ભારત આવ્યા હતા. તેમની જાણ મુજબ કંપની બંધ કરી ત્યારે 74 મશીનો હતા. પૈકી 5 મશીનોનું વેચાણ કરવામાં આવ્યું હતુ. તેવી સ્થિતીમાં 50 જેટલા મશીનો હોવાની જગ્યાએ માત્ર 19 મશીનો કંપનીમાં પડેલા મળ્યા હતા. જેના વેચાણના કોઇ રૂપિયા જમા કરાવવામાં આવ્યા ન્હતા. જે બાદ મેનેજરમે પુછતા તેણે રૂ. 9 કરોડના મશીન વેચ્યા હોવાનું જણાવ્યું હતું. પરંતુ તેના પૈસા જમા કરાવવામાં આવ્યા ન્હતા. દરમિયાન કંપનીના સીસીટીવી પણ બંધ કરી દેવામાં આવ્યા હતા.
પૈસાની જરૂરીયાત જણાઇ
બાદમાં કંપનીમાં રાખેલા શેડ અંગેનો હિસાબ માંગતા મુકેશ ઉપાધ્યાય અને અભય પરીખે ઉડાઉ જવાબ આપ્યો હતો. બાદમાં કર્મચારીઓના પીએફના નાણાં અને જીઆઇડીસીનો વેરો ભરવા બાબતે પણ પૈસાની જરૂરીયાત જણાઇ હતી. આમ, તેમણે જેમના પર ભરોસો મુક્યો તે તમામે મળીને રૂ. 2 કરોડનો ચુનો ચોપડ્યો હોવાનું સ્પષ્ટ થયું હતું. આખરે કૌશિકભાઇ જનાર્ધનભાઇ પરીખ, અભય કૌશિકભાઇ પરીખ (બંને રહે. સેવક નગર, ગૌતમનગરની પાછળ, વડોદરા) તથા મુકેશ ચંદ્રભુષણ ઉપાધ્યાય (રહે. પારૂલનગર, સેવાસી રોડ) સામે વડોદરા ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.
આ પણ વાંચો — VADODARA : પાણી ભરવા આવશો તો જીવતા નહી રહેવા દઇએ