VADODARA : વડોદરા પાસે વાઘોડિયામાં વાડામાં રાખેલી ગાય-ભેંસ માટે મુકેલુ પશુદાણ મરધા ચરવા આવી જતા બોલાચાલી થઇ હતી. જે બાદ વાત વણસતા મારામારી થઇ હતી. અને આખરમાં ધમકી પણ આપવામાં આવી હતી. આ સમગ્ર મામલો હાલ પોલીસ મથકે પહોંચ્યો છે. અને ત્રણ સામે વાઘોડિયા પોલીસ મથક (WAGHODIA POLICE STATION) માં ફરિયાદ નોંધાવવા પામી છે. જે બાદ પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળી રહ્યું છે.
તમે મને કેમ કહો છો
વાઘોડિયા પોલીસ મથકમાં નિર્મલભાઇ જયેશભાઇ ભટ્ટ (રહે. વ્હારા ઉંડુ ફળિયુ, વાઘોડિયા) એ નોંધાવેલી ફરિયાદ અનુસાર, 30 એપ્રિલના રોજ સાંજે તેમના ઘરની પાછળ બાંધેલી ગાય-ભેંસોનું દુધ કાઢવાની તૈયારી કરી રહ્યા હતા. ગાય-ભેંસો માટે તગારામાં ખાવા માટેનું દાણ મુકવામાં આવ્યું હતું. દરમિયાન ઘર પાછળ રહેતા મંગીબહેનના ઘરના મરઘા દાણ ખાવા આવતા ગાય-ભેંસો દુધ કાઢવા દેતી ન્હતી. જેથી તેમણે મંગીબેનને કહ્યું કે, તમારા ઘરના મરધા અમારી ગાયને મુકેલ દાણ ચારો ખાવા આવે છે. જે બાદ તેમણે, તમે મને કેમ કહો છો, જણાવીને બેફામ બોલવાનું શરૂ કરી દીધું હતું.
જાનથી મારી નાંખીશુ
પછી તેમના પુત્ર મેરૂભાઇ જેસીંગભાઇ રાઠોડિયા અને સંજયભાઇ જેસીંગભાઇ રાઠોડિયાએ ફેંટ પકડીને ઝપાઝપી કરી હતી. વાત વધુ વણસતા સંજયભાઇએ હાથમાં લાકડીની ઝાપટ મારી દીધી હતી. બાદમાં ત્યાંથી લોહી નિકળવાનું શરૂ થઇ ગયું હતું. તેવામાં બુમાબુમ થતા કાકાનો દિકરો યશ ભટ્ટ ત્યાં આવી ગયો હતો. અને માર મારતા છોડાવ્યા હતા. દરમિયાન બંને ભાઇઓએ માતાને ધમકી આપી કે, તને જાનથી મારી નાંખીશુ. આ ઘટનામાં ઇજાગ્રસ્તને લોહી નિકળતા સારવાર અર્થે પારૂલ સેવાશ્રમમાં લાવવામાં આવ્યા હતા. જ્યાં તબિયત સુધારા પર હોવાનું જાણવા મળી રહ્યું છે.
વધુ કાર્યવાહી હાથ ધરાઇ
સમગ્ર ઘટનાને લઇને મંગીબેન જેસીંગભાઇ રાઠોડીયા, મેરૂભાઇ જેસીંગભાઇ રાઠોડિયા અને સંજયભાઇ જેસીંગભાઇ રાઠોડિયા (તમામ રહે. વ્યારા, વાઘોડિયા) સામે ફરિયાદ નોંધાવવા પામી છે. જે બાદ પોલીસે તમામ આરોપીઓ સામે વધુ કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચો — VADODARA : નિંદ્રાધીન સસરાને જમાઇએ લાકડાના ફાચરા વડે લોહીલુહાણ કરી મુક્યા