અહેવાલ -રહીમ લાખાણી -રાજકોટ
માં આદ્ય શક્તિની આરાધનાનો પાવન પર્વ એટલે નવરાત્રી, થોડા દિવસો બાદ નવરાત્રીનો પ્રારંભ થવાનો છે. ત્યારે નવરાત્રીમાં માયભક્તો નવ દિવસ માતાજીની આનંદ ઉલ્લાસ ભેર આરાધના, ભક્તિ કરતા હોય છે. ભક્તો પોતાના ઘરે તેમજ વિવિધ માંડવળી અને મંદિરોમાં માતાજીના અવનવી વેરાયટીના ગરબાનું સ્થાપન કરે છે. ત્યારે રાજકોટમાં અમેરિકન ડાયમંડ્સવાળા ગરબા અને લાઈટિંગવાળા ગરબા ધૂમ મચાવી રહ્યાં છે.અલગ અલગ ડિઝાઇન વાળા આ ગરબાઓએ બજારોમાં આકર્ષણ જમાવ્યું છે.
અલગ અલગ આભલાવાળા, લેસવાળા, લાઈટિંગવાળા, અમેરિકન ડાયમંડ્સવાળા ગરબાનું ધુમ વેચાણ થઈ રહ્યું છે.અલગ અલગ આકર્ષિત રંગો લગાવીને વિવિધ ગરબાઓ તૈયાર કરવામાં આવી રહ્યાં છે.ત્યારે અમેરિકન ડાયમંડ્સ અને લાઈટીંગવાળા ગરબા બનાવતા નિલેશભાઈ મુંગેલાએ કહ્યું કે તેમની દુકાન એસ્ટ્રોન ચોકમાં આવેલી છે.જ્યાં તેઓ પોતાના હાથે જ બનાવેલા ગરબાનું વેચાણ કરે છે.
નિલેશભાઈ પાસે અમેરિકન ડાયમંડ્સ અને લાઈટીંગવાળા ગરબાની અઢળક વેરાયટી છે.અહિંયા 150 રૂપિયાથી લઈને 4500 રૂપિયાની કિંમત સુધીના અલગ અલગ ગરબા છે.આ ગરબાનું બુકિંગ મહિલાઓ મહિના પહેલા કરાવવાનું શરૂ કરી દે છે.કારણ કે નિલેશભાઈ પાસે જે ગરબા મળે છે તે આખા ગુજરાતમાં બીજે ક્યાંય મળતા નથી.
નિલેશભાઈ દરેક ગરબાની પેટર્ન અલગ અલગ બનાવે છે. એટલે કે એક ડિઝાઈનનો ગરબો એક જ બનાવે છે.જેથી મહિલાઓ અગાઉથી જ બુકિંગ કરાવી દે છે. નવરાત્રિના એક દિવસ પહેલા તો નિલેશભાઈનો ગરબાનો સ્ટોક પુરો થઈ જાય છે.કારણ કે નિલેશભાઈના ગરબા માત્ર ગુજરાતમાં જ નહીં પણ આફ્રિકા, લંડન અને ઓસ્ટ્રેલિયા સુધી અહિંયાથી કુરિયર કરાવવામાં આવે છે.
નિલેશભાઈ છેલ્લા 7-8 વર્ષથી લાઈટિંગવાળા ગરબા બનાવે છે.જેનું વેચાણ પણ ખુબ મોટી માત્રામાં થાય છે.લાઈટીંગવાળો એક ગરબો બનાવતા નિલેશભાઈને 7 દિવસનો સમય લાગે છે.કારણ કે તેઓ ખુબ બારિકાઈથી કામ કરે છે. જેથી લોકોને પણ તેનું કામ ખુબ જ ગમે છે.
માર્કેટમાં અત્યારથી જ અલગ અલગ ડિઝાઇન વાળા ગરબા વેચાઈ જ રહ્યા છે, પરંતુ નિલેશભાઈ દ્વારા બનાવવામાં આવતા ગરબાની વાત જ અલગ છે.આ ગરબા પરના કોડિયાને પણ અલગ અલગ રીતે રંગ અને ડિઝાઈન કરવામાં આવે છે.આ રીતે તૈયાર કરેલો ગરબો દેખાવ માં ખૂબ સરસ લાગે છે. જેથી લોકો નિલેશભાઈના ગરબાનું બુકિંગ અગાઉથી જ કરાવી લે છે.
આ પણ વાંચો-RAJKOT : નવલા નોરતા આના વગર અધૂરાં, નવરાત્રી માટે અહીં મળશે અફલાતૂન ઇકો ફ્રેન્ડલી ગરબા