મધ્યપ્રદેશ, છત્તીસગઢમાં ભારતીય જનતા પાર્ટી (BJP)એ નવા મુખ્યમંત્રીની જાહેરાત કરીને સૌ કોઈને ચોંકાવી દીધા છે. મધ્યપ્રદેશમાં જાણીતા ચહેરા અને પાર્ટીના ટોચના નેતાઓને સાઇડલાઇન કરી બીજેપીએ રાજ્યના મુખ્યમંત્રીની જવાબદારી મોહન યાદવને સોંપી છે. જ્યારે છત્તીસગઢમાં પણ વિષ્ણુદેવ સાયને મુખ્યમંત્રી બનાવ્યા છે. ત્યારે હવે સવાલ છે કે પાર્ટી રાજસ્થાનમાં કોને મુખ્યમંત્રી બનાવશે. રાજસ્થાનમાં પણ બીજેપી મધ્યપ્રદેશ અને છત્તીસગઢની જેમ સૌ કોઈ ચોંકાવશે કે પછી જાણીતા ચહેરા વસુંધરા રાજેને ફરીવાર રાજ્યની જવાબદારી સોંપશે. જો કે, આ સસ્પેન્સ પરથી આજે પડદો ઊઠી શકે છે.
આજે રાજસ્થાનમાં ધારાસભ્ય દળની બેઠક
જણાવી દઈએ કે, આજે એટલે કે 12 ડિસેમ્બરના રોજ રાજસ્થાનમાં ધારાસભ્ય દળની બેઠક થવાની છે, જેમાં કેન્દ્ર દ્વારા નિમણૂક નિરીક્ષક હાજરી આપશે. આ નિરીક્ષકોમાં રાજનાથ સિંહ, વિનોદ તાવડે અને સરોજ પાંડેય સામેલ છે. આ બેઠકમાં મુખ્યમંત્રી ચહેરા અંગે ચર્ચા કરવામાં આવશે અને નામની પસંદગી બાદ બીજેપી હાઇકમાનની મંજૂરી પછી નવા સીએમની જાહેરાત કરવામાં આવશે. રાજસ્થાનમાં સીએમ કોન બનશે તે અંગે ચર્ચાનો માહોલ હાલ પણ યથાવત છે. જો કે, બીજેપી તેની જાહેરાતથી સૌ કોઈને ચોંકાવવા માટે જાણીતી છે.
મુખ્યમંત્રી રેસમાં આ નામો પર ચર્ચા
રાજસ્થાનમાં મુખ્યમંત્રીની રેસમાં ઘણા જાણીતા અને નવા નામ સામેલ છે. કેટલાક લોકોનું માનવું છે કે, રાજસ્થાનમાં હિન્દુત્વના પોસ્ટર બોય બનેલા બાબા બાલકનાથને સત્તા સોંપવામાં આવી શકે છે, અથવા તો ગજેન્દ્ર શેખાવતને નવી જવાબદારી સોંપવામાં આવી શકે. ઉપરાંત, સીપી જોષી, દિયા કુમારી, રાજવર્ધન સિંહ રાઠોડનું નામ પણ સીએમની રેસમાં સામેલ છે. જ્યારે વસુંધરા રાજેના નામ લઈને પણ ચર્ચાનો માહોલ યથાવત છે. કેટલાક લોકોનું માનવું છે કે બીજેપી એકવાર ફરી વસુંધરા રાજેને રાજ્યની જવાબદારી સોંપી શકે છે. જો કે, તાજેતરમાં વસુંધરા રાજે એ દિલ્હીની મુલાકાત પણ કરી હતી અને પાર્ટી અધ્યક્ષ જેપી નડ્ડા સાથે મુલાકાત કરી હતી. ઉપરાંત, વસંધરા રાજેએ રાજ્યમાં નવા ચૂંટાયેલા ધારાસભ્યો સાથે પણ મુકાલાત કરી હતી, જેને તેમના શક્તિ પ્રદર્શન તરીકે જોવામાં આવ્યું હતું. જો કે, આજે રાજસ્થાનના નવા સીએમ કોણ હશે તે સસ્પેન્સ પરથી પડદો ઊઠી શકે છે.
આ પણ વાંચો – યાદવને મધ્યપ્રદેશના ‘મોહન’ બનાવીને ભાજપે યુપી-બિહારમાં મેળવી લીધી સફળતા