કેરળમાં કોવિડ-19ના (Covid-19) સબ વેરિયન્ટ JN.1નો એક નવો મામલો સામે આવ્યા બાદ સ્વાસ્થ્ય વિભાગ દોડતું થયું છે. ત્યારે હવે રાજ્યના સ્વાસ્થ્ય મંત્રી વીણા જ્યોર્જે (Veena George) રવિવારે લોકોને આશ્વાસન આપ્યું છે કે ચિંતા કરવાની જરૂર નથી. રાજ્યમાં કોરોના મામલે સ્થિતિ નિયંત્રણમાં છે.
આ સાથે સ્વાસ્થ્ય મંત્રી જ્યોર્જે લોકોને સાવચેત રહેવા અને સ્વાસ્થ્ય પ્રત્યે કાળજી રાખવા પણ અપીલ કરી છે. તેમણે કહ્યું કે, કેરળની આરોગ્ય વ્યવસ્થા ઘણી સારી છે, આથી ચિંતા કરવાની જરૂર નથી. આ એક સબ વેરિયન્ટ છે. બે-ત્રણ મહિના પહેલા ભારતીયોમાં તેનો એક કેસ સામે આવ્યો હતો. જ્યારે સિંગાપોર એરપોર્ટ પર તેનો ટેસ્ટ કરવામાં આવ્યો હતો. અમે સ્થિતિ પર નજર રાખી છે. પરંતુ, તેમ છતાં આપણે સતર્ક રહેવાની જરૂર છે.
13થી 18 ડિસેમ્બર સુધી મોક ડ્રિલ
સૂત્રો મુજબ, આરટી-પીસીઆર ટેસ્ટમાં 79 વર્ષીય મહિલા પોઝિટિવ આવી હતી. જો કે, દેશમાં JN.1 સબ વેરિઅન્ટનો અન્ય કોઈ કેસ નોંધાયો નથી. કોરોનાના આ પેટા વેરિઅન્ટની ઓળખ સૌપ્રથમ લક્ઝમબર્ગમાં કરવામાં આવી હતી. જણાવી દઈએ કે, શનિવારે ભારતીય તબીબી સંશોધન પરિષદ (ICMR)ના મહાનિર્દેશક ડો. રાજીવ બહલે એક પ્રેસ કોન્ફરન્સ યોજીને આ મામલાની પુષ્ટી કરી હતી. જણાવી દઈએ કે, જાહેર આરોગ્ય અને હોસ્પિટલની તૈયારીનું મૂલ્યાંકન કરવા માટે રાજ્યોમાં આરોગ્ય સુવિધાઓને લઈને એક મોક ડ્રિલ કરવામાં આવી રહી છે. જિલ્લા કલેક્ટરોની દેખરેખમાં આ ડ્રિલ 13 ડિસેમ્બરથી શરૂ કરવામાં આવી છે, જે 18 ડિસેમ્બર સુધી ચાલુ રહેશે.
આ પણ વાંચો – PM નરેન્દ્ર મોદીનો બે દિવસીય વારાણસી પ્રવાસ, બાળકો સાથે કરી ચર્ચા, જાણો તેમના કાર્યક્રમ વિશે