Ahmedabad Plane Crash : ભાવનગરનાં કાજલબેન ભાઈ સાથે ભોજન કરતા હતા અને બિલ્ડિંગ સાથે અથડાયું વિમાન
- અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં ભાવનગરની મહિલાનું મોત (Ahmedabad Plane Crash)
- તળાજાનાં દેવલી ગામે ડૉ. પ્રદીપ સોલંકી સાથે લગ્ન થયા હતા
- જે બિલ્ડિંગ સાથે પ્લેન ક્રેશ થયું તેમાં કાજલબેન લંચ કરતા હતા
- આઠ દિવસ પહેલા જ કાજલબેનની સીમંત વિધિ કરાઈ હતી
- અંતિમવિધિમાં કેન્દ્રીય મંત્રી નિમુબેન, MLA ગૌતમભાઈ જોડાયા
Ahmedabad Plane Crash : અમદાવાદની વિમાન દુર્ઘટના બાદ સમગ્ર દેશમાં શોકનો માહોલ છે. અમદાવાદથી લંડન જતું એર ઈન્ડિયાનું (Air India) વિમાન ટેક્નિકલ કારણોસર ક્રેશ થયું હતું. આ વિમાન મેઘાણીનગરમાં આવેલી બીજે મેડિકલ કોલેજની (BJ Medical College) બિલ્ડિંગ સાથે અથડાયું હતું. જ્યારે, આ ઘટના બની ત્યારે કેટલાક તબીબ અને વિદ્યાર્થીઓ મેસમાં ભોજન લઈ રહ્યા હતા, જેમાં ભાવનગરનાં (Bhavnagar) તળાજાની મહિલા પણ હતી, જેનું આ દુર્ઘટનામાં મોત નીપજ્યું છે. મૃતક મહિલા ગર્ભવતી હતા.
જે બિલ્ડિંગ સાથે પ્લેન ક્રેશ થયું તેમાં કાજલબેન લંચ કરતા હતા
પ્રાપ્ત માહિતી અનુસાર, ભાવનગર જિલ્લાનાં તળાજા તાલુકાનાં (Talaja) મહુવાનાં કાજલબેનનાં લગ્ન દેવલી ગામનાં ડૉ. પ્રદીપ સોલંકી સાથે થયા હતા. દુર્ઘટના સમયે કાજલબેન તેમનાં પતિ ડો. પ્રદીપ સોલંકી અને ભાઈ ડો. ભાવિન શેતા સાથે બીજે મેડિકલ કોલેજની જે બિલ્ડિંગ સાથે પ્લેન અથડાયું (Ahmedabad Plane Crash) હતું, તેમાં બપોરનું ભોજન લઈ રહ્યા હતા. જો કે, ન્યુરોલોજિસ્ટ પતિ ડો. પ્રદીપ લંચ પતાવીને ડ્યૂટી પર ગયા હતા. જ્યારે, કાજલબેન અને તેમનાં ભાઈ ભોજન કરી રહ્યા હતા.
આ પણ વાંચો - Ahmedabad Plane Crash : વડોદરામાં રહેતા દંપતીનું મોત, મિત્રે કહ્યું- પ્લેનમાં બેઠા પછી..!
8 દિવસ પહેલા જ કાજલબેનની સીમંત વિધિ કરાઈ હતી
દરમિયાન એર ઇન્ડિયાનું પ્લેન બિલ્ડિંગ સાથે ધડાકાભેર અથડાયું હતું. આ દુર્ઘટનામાં કાજલબેનનું મોત નીપજ્યું હતું. જ્યારે તેમનાં ભાઈ ઇજાગ્રસ્ત થયા હતા. માહિતી અનુસાર, આજે મૃતક કાજલબેનની તેમના સાસરે દેવલી મુકામે અંતિમવિધિ કરાઈ હતી, જેમાં કેન્દ્રીય મંત્રી નીમુબેન બાંભણિયા (Nimuben Bambhania), તળાજાનાં ધારાસભ્ય ગૌતમભાઈ બારૈયા (Gautambhai Baraiya) સહિતનાં નેતાઓ, અગ્રણીઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનો જોડ્યા હતા. માહિતી મુજબ, 8 દિવસ પહેલા જ કાજલબેનની સીમંત વિધિ કરાઈ હતી. કાજલબેનની અણધારી વિદાયથી પરિવારજનો પર આભ ફાટી પડ્યું છે.
આ પણ વાંચો - Ahmedabad Plane Crash : ગોઝારી વિમાન દુર્ઘટનાએ વીસનગરના 5 નાગરિકોનો ભોગ લીધો, સમગ્ર પંથક શોકગ્રસ્ત


