Home » ક્રીં કુંડ: અઘોરપીઠનો એક દિવ્યાતિદિવ્ય અનુભવ!
ક્રીં કુંડ: અઘોરપીઠનો એક દિવ્યાતિદિવ્ય અનુભવ!
Vipul Pandya
i have 22 years experince in journalism field in diffrent media instituie like etv gujarati, tv9, sandesh news and gujarat samachar and divy bhaskar news paper. crime and political news is my favoaurit subject
133
કાશી પહોંચ્યાને ત્રણ દિવસ થયા હતાં. પેડલ-રિક્ષામાં બેસીને વિશ્વનાથ બાબાના દરબારમાં જતો હોઉં ત્યારે દરરોજ રાતે સવા બે વાગ્યે રસ્તામાં વિજયચૌરાહા પાસે ‘અઘોરપીઠ’ ધ્યાનમાં આવે. અંધકારથી આચ્છાદિત રસ્તા ઉપર થોડી ઘણી ચહલપહલ વચ્ચે આશ્રમ તો બંધ હોય, પરંતુ એક અજબ ખેંચાણ સતત અનુભવાય. અઘોરના પ્રતીકરૂપ ચિહ્ન – ઉર્ધ્વત્રિકોણ અને અધોત્રિકોણનું યુગ્મ – સંમોહનવિદ્યા થકી આમંત્રણ આપતું હોય, એવી અનુભૂતિ થયા રાખે. બે વખત રસ્તામાં રિક્ષા ઊભી રખાવીને થોડી મિનિટો સુધી એના પ્રવેશદ્વારને અપલક નેત્રે તાકતા રહ્યાનું પણ મને યાદ છે. વળી પાછું મંદિર અને મંગલા આરતી યાદ આવે એટલે પેડલરિક્ષા ગૌદોલિયા ચોક તરફ દોડવા માંડે.
વહેલી સવારે પરત ફરતી વેળા પણ આવી જ અનુભૂતિ થાય. ચોથે દિવસે બપોરે ચાર વાગ્યાની આસપાસ હું અઘોરપીઠ પહોંચ્યો હોઈશ. અઘોરપીઠ વાસ્તવમાં બાબા કીનારામની સાધનાસ્થળી છે, જેમનો જન્મ કાશી જનપદ સ્થિત ચન્દૌલી જિલ્લાના રામગઢ ગામમાં અકબરસિંહની પત્ની પૂજનીય મનસા દેવીને ત્યાં વિ.સં. ૧૬૮૬ના ભાદરવા મહિનાની અઘોરચતુર્દશીના રોજ થયો હતો… વિ.સં. ૨૦૭૯ પ્રમાણે જોવા જઈએ તો આજથી લગભગ ૪૦૦ વર્ષ પહેલાં! એવું કહેવાય છે કે, જન્મ પશ્ચાત્ એ શિશુએ રુદન નહોતું કર્યુ, જેના પરિણામે બ્રહ્મા-વિષ્ણુ-મહેશ સ્વયં સાધુના વેશમાં એમની કુટિરે આશિષ આપવા ગયા હતાં અને એ પછી બાળકનું પહેલું રુદન સાંભળવા મળ્યું.
પીઠના પ્રવેશદ્વાર પર કોતરાયેલાં ‘ક્રીં કુંડ’નું તાત્પર્ય શું છે, એ હજુ સુધી મને ખબર નહોતી… પરંતુ ત્યારબાદ જેટલી ઘટનાઓ મારી જાણમાં આવી, એના ઉપરથી સમજાયું કે પ્રકૃતિ વાસ્તવમાં ચુંબક છે અને તેના આકર્ષણબળ પ્રમાણે વહેવાનું શરૂ કરો એ પછી આપોઆપ જ દિશાભાન આવી જાય. બાબા કીનારામનો ગુજરાત અને એમાં પણ ખાસ તો સૌરાષ્ટ્રના જૂનાગઢ સાથે કેટલો ગાઢ સંબંધ છે, એ જાણ્યા પછી જગદમ્બિકાનું મને અઘોરપીઠ તરફ દોરી જવાનું તાત્પર્ય સમજાયું.
અઘોરપંથ સામાજિક દ્રષ્ટિએ અલગ અને અંતર્મુખી હોઈ શકે, પણ ખરા સાધક-ઉપાસક માટે અત્યંત ફળદાયી અને નિષ્પાપ હોય છે. દેવીના નિમ્નસ્વરૂપો – કર્ણપિશાચિની, સભામોહિની વગેરે – ની અહીં વાત નથી, કારણકે એ તો સમાજમાં પોતાનું પ્રભુત્વ સ્થાપિત કરીને મોહાતુર થવાની ઘટના છે! પરાપરરહસ્યને જાણવામાં એમને કોઈ રસ નથી. ગુજરાતમાં આવા કેટલાક લોકોને હું ઓળખું છું… અને તમે પણ!
અઘોરના સાર્વભૌમ સિદ્ધાંતને સ્પષ્ટ કરવા માટે ‘શિવમહિમ્ન સ્તોત્ર’નો એક અંશ જ પર્યાપ્ત છે:
अघोरान्ना परो मंत्रो नास्ति तत्वम् गुरौ: परम् ॥
નાનપણથી અઘોરપંથ અને અધ્યાત્મ તરફ આકર્ષણ ધરાવતાં બાબા કીનારામે વેદ-પુરાણો-ગ્રંથોનો અભ્યાસ કર્યો અને પુખ્ત વયે દીક્ષા લીધી. સાધના હેતુ ભગવાન દત્તાત્રેયને પોતાના ગુરુપદે સ્વીકારનાર બાબા કીનારામ જૂનાગઢ પધાર્યા અને સાધનાશિરોમણિ સમાન ગિરનાર પર એમણે મંત્રસાધનાનો આરંભ કર્યો. એવું કહેવાય છે કે ગુરુ દત્તાત્રેયએ એમને સદેહે દર્શન આપ્યા હતાં અને સાધનાસિદ્ધિ માટેનું આશ્વાસન પણ!
એ પછી (આજના બલુચિસ્તાન – પાકિસ્તાન જઈને) પાંડવોના કુળદેવી – મા હિંગળાજ – ને એમણે આહ્વાન આપ્યું. ભગવતી મહાશક્તિ હિંગળાજ એમનાથી એટલા પ્રસન્ન થયા કે બાબા કીનારામની પાછળ આવીને કાશીના ‘ક્રીં કુંડ’માં સ્થાપિત થયા. કીનારામ જીએ વિધિવત્ રીતે એમની ‘ક્રીં કુંડ’માં પ્રાણ-પ્રતિષ્ઠા કરી અને હિંગળાજ માતાના સ્થાનકની નજીકના સ્મશાનમાંથી લાવવામાં આવેલા ચિતાના લાકડાંનો ઉપયોગ કરીને અઘોરપીઠમાં પવિત્ર ધૂણી ધખાવી.
આજે ૪૦૦ વર્ષ બાદ આજે પણ અવિરતપણે આ ધૂણી ધખે છે, સાહેબ! પવિત્ર કાષ્ઠ ધૂણીમાં પધરાવતાંની સાથે જ એ આપોઆપ પ્રજ્વલિત થઈ ઉઠે છે અને કોઈ ઘી-તેલ વગર દિવસોના દિવસો સુધી એમાંથી જ્વાળા સળગતી રહે છે! દુનિયાનો એકપણ વૈજ્ઞાનિક અઘોરપીઠના આ રહસ્યને હજુ સુધી ઉકેલી શક્યો નથી.
એવું કહેવાય છે કે સમસ્ત વિશ્વમાં ફક્ત બે જ સ્થાનો પર હિંગળાજ માતા બિરાજમાન છે: (૧) પાકિસ્તાનના બલુચિસ્તાનની શક્તિપીઠ (૨) કાશીના ક્રીં કુંડમાં!
‘ક્રીં’ એ વાસ્તવમાં મહાકાલી સ્વરૂપા દેવીઓનો બીજમંત્ર છે. બાબા કીનારામના આ સ્થાનકમાં મોટેભાગે શ્રીવિદ્યાના તંત્રઉપાસકો સાથે મુલાકાત થઈ, જે મારી અંગત અનુભૂતિ હોવાથી અહીં આલેખવાનું યોગ્ય નથી જણાતું. એટલું ચોક્કસપણે કહી શકું કે જો તમે શાક્તપંથમાં સક્રિય હો તો, બાબા કીનારામની અઘોરપીઠ તમને પોતાની તરફ અત્યંત તીવ્રતા સાથે ખેંચી લાવશે. તમે એના મોહપાશમાં એવી રીતે બંધાશો કે મુલાકાત લીધા વિના આરામ નહીં મળે. કાશી જવાનું થાય ત્યારે અઘોરપીઠમાં સ્થિત બાબા કીનારામની આરસપહાણની વિશાળ તેજોમય પ્રતિમા સમક્ષ તમારું મસ્તક ન નમે તો કહેજો મને!
મારા વતન સૌરાષ્ટ્ર સાથે બાબા કીનારામનો નાતો છે, એ જાણીને જેટલું મંત્રમુગ્ધ થઈ જવાયું એટલું જ ‘ક્રીં કુંડ’ અંગે જાણીને પણ! મૃત્યુંજય નવલકથા (ભાગ-૧, મહા-અસુર શ્રેણી)માં ‘સૂર્યકુંડ’ની ઘટનાનો ઉલ્લેખ છે. સોમનાથની મુલાકાત લેનાર શ્રદ્ધાળુઓને સૂર્યકુંડની બરાબર બાજુમાં વિદ્યમાન હિંગળાજ માતાના ભૂગર્ભ મંદિર વિશે ખ્યાલ હશે! એવું કહેવાય છે કે પાંડવોએ સૂર્યકુંડમાં સ્નાન કર્યા બાદ એ ભૂગર્ભ-રહેઠાણમાં અજ્ઞાતવાસનો કેટલોક સમય પસાર કર્યો હતો!
‘મહા-અસુર શ્રેણી’ મારા માટે ફક્ત પુસ્તકોની હારમાળા નથી, પરંતુ દિવ્ય અનુભવ છે. પ્રત્યેક સ્થાન અને ત્યાં આદરેલું સંશોધન અજાણતાં જ મારી અધ્યાત્મયાત્રાનો પણ એક પડાવ સાબિત થઈ રહ્યું છે!
bhattparakh@yahoo.com
Vipul Pandya
i have 22 years experince in journalism field in diffrent media instituie like etv gujarati, tv9, sandesh news and gujarat samachar and divy bhaskar news paper. crime and political news is my favoaurit subject