Bharuch LokSabha : ભરૂચ જિલ્લા લોકસભા બેઠક (Bharuch LokSabha) ઉપર આપ અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધન થવાના અહેવાલો વચ્ચે કોંગ્રેસના નેતાઓમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. ભરુચના કોંગ્રેસ અગ્રણી ફૈઝલ પટેલે કહ્યું છે કે ગઠબંધન થાય, આ બેઠક કોણે જીતે છે તેનું પણ ધ્યાન હાઈ માન્ડે રાખવું જોઈએ. બીજી તરફ પ્રદેશ મહામંત્રી સંદીપ માંગરોલાએ કહ્યું કે ચૈતર વસાવા કોંગ્રેસના સિમ્બોલ પર ચૂંટણી લડે તો વાંધો નથી. આ બેઠક પર આપ અને કોંગ્રેસના નેતાઓ વચ્ચે ભારે ધમાચકડી જોવા મળી રહી છે.બીજી તરફ AAP-કોંગ્રેસના ગઠબંધનનો પેચ જોરદાર ફસાયો છે. આજે સાંજ સુધીમાં સત્તાવાર જાહેરાત થવાની હતી. અગાઉ જ AAP એ ભરૂચ અને ભાવનગરના ઉમેદવાર જાહેર કરી દીધા છે પણ ભરૂચ બેઠક પર સ્વ. અહમદ પટેલના પુત્રએ વાંધો ઉઠાવ્યો છે જેથી પેચ ફસાયો છે. બીજી તરફ જો કે શક્તિસિંહ ગોહિલ પણ ભાવનગર બેઠક AAP ને આપવાના મૂડમાં નહિ હોવાનું જાણવા મળે છે. ભાવનગરના બદલે ગોધરા અથવા સુરત બેઠક AAP ને મળી શકે તેમ પણ મનાઇ રહ્યું છે. હાલ AAP એ જાહેર કરેલ ભરુચ અને ભાવનગર બેઠક પર કકળાટ થઇ રહ્યો છે.
ભરુચમાં કોંગ્રેસના મુરતીયાઓ તૈયાર
ભરૂચ જિલ્લાની લોકસભાની બેઠક ઉપર ધીરે ધીરે ચૂંટણીનો રંગ જામી રહ્યો છે અને કોંગ્રેસ ઉમેદવાર ઉભા રાખશે તેવા એંધાણો વચ્ચે સ્વ.અહમદભાઈ પટેલની દીકરી મુમતાજ પટેલે પણ વિવિધ ગામોમાં પહોંચી ચૂંટણીનો પ્રચાર પ્રસાર શરૂ કર્યો હતો તો બીજી તરફ તેમના મોટાભાઈ ફૈઝલ પટેલે પણ હું તો લડીશના બેનર લગાડતા જ સમગ્ર મામલો વધુ રાજકીય રંગ પકડ્યો હતો. કોંગ્રેસમાંથી સંદીપ માંગરોલા સહિત શેરખાન પઠાણ પણ ઉમેદવારી કરી શકે અને તેઓ પણ આ બેઠક ઉપર ચૂંટણી લડી શકે તેવા એંધાણો હતા. કારણ કે શેરખાન પઠાણ વિધાનસભાની ચૂંટણી લડ્યા હતા ત્યારે તેમને સૌથી વધુ લઘુમતી મતો મળ્યા હતા હાલમાં જો ગઠબંધન નો થાય અને કોંગ્રેસ પોતાનો ઉમેદવાર ઉતારે તો આપ અને ભાજપ વચ્ચે કોંગ્રેસને ફાયદો થઈ શકે તેમ હોવાનું પણ માનવામાં આવે છે પરંતુ ગઠબંધન વચ્ચે ઉમેદવાર તો ચૈતર વસાવા જ રહેશે તેવા સ્પષ્ટ અણસાર જોવા મળી ગયા છે અને ચૈતર વસાવા એ પણ કહ્યું છે કે કોંગ્રેસને સાથે રાખીને ચૂંટણી લડીશું..
ફૈઝલ પટેલે શું કહ્યું
બીજી તરફ આપ અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધન થઇ ગયું હોવાના અહેવાલો આવતાં હવે આપના ઉમેદવાર ચૈતર વસાવા ઉમેદવાર હશે તે મનાઇ રહ્યું છે. કોંગ્રેસ અગ્રણી ફૈઝલ પટેલે કહ્યું કે ભરુચ બેઠક પર ભાજપને હરાવવા ગઠબંધન જરુરી છે અને ગઠબંધન થાય તથા આ બેઠક કોણ જીતે છે તેનું પણ ધ્યાન હાઇકમાન્ડે રાખવું જરુરી છે. તેમણે કહ્યું કે કોંગ્રેસના ઉમેદવારને લડાવવામાં આવે પણ જરુરી છે.
સંદીપ માંગરોલાએ શું કહ્યું
આ તરફ પ્રદેશ મહામંત્રી સંદીપ માંગરોલાએ કહ્યું કે આપના ચૈતર વસાવા કોંગ્રેસના સિમ્બોલ પર લડે તો વાંધો નથી. તેમણે કહ્યું કે આપના સિમ્બોલ કરતાં કોંગ્રેસનો સિમ્બોલ મતદારો માટે આકર્ષણનું કેન્દ્ર છે.
ફેસબુક પ્રોફાઇલ બદલી
આમ કોંગ્રેસ નેતાઓના સૂર વિરોધના જોવા મળી રહ્યા છે. ગઠબંધનની સત્તાવાર જાહેરાત પહેલા ભરૂચ જિલ્લા કોંગ્રેસમાં ભંગાણ પાડવાની શક્યતાઓ જોવા મળી રહી છે. પ્રદેશ મહામંત્રી સંદીપસિંહ માંગરોલા એ પોતાના ફેસબુક પર હોદ્દો અને કોંગ્રેસ પ્રોફાઇલ દુર કરતા રાજકીય ચર્ચાઓ ઉભી થઇ છે.
ભાજપમાંથી કોણ
આપ અને કોંગ્રેસના ગઠબંધન વચ્ચે ભાજપ પણ પોતાનો મજબૂત ઉમેદવારનો ચહેરો ઉતારવા માટે તનતોડ મહેનત કરી રહ્યું છે. મનસુખ વસાવા છેલ્લા 6 ટર્મથી ચૂંટાઈને આવે છે પરંતુ આ વખતે નવા ઉમેદવારની આશાઓ હોદ્દેદારોમાં ઊભી થઈ છે જેના પગલે જો ભાજપ આદિવાસી જ ઉમેદવાર ઉભા રાખવાની ઈચ્છા ધરાવે તો ભરુચ લોકસભા બેઠક ઉપર ભરૂચના એક જાણીતા ડોક્ટરનું નામ જાહેર થઈ શકે તેમ છે કારણ કે આ ડોક્ટર દેડીયાપાડામાં પણ પોતાનું એક મોટું હોસ્પિટલ ધરાવે છે અને ભરૂચમાં પણ તેઓની પકડ સારી છે.
આ પણ વાંચો—BHARUCH : જિલ્લા કોંગ્રેસ પ્રમુખે ચાર્જ આપ્યો નહીં તો નવા પ્રમુખે ચાર્જ લીધો કેવી રીતે..?
ઇનપુટ—દિનેશ મકવાણા, ભરુચ
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ