દેશની વિવિધ સીમાઓ પર સૈનિકની વિવિધ બટાલિયન ફોજ રક્ષા કરી રહી છે જેના થકી દુશ્મનો આપણાં દેશમાં ઘુસી શકતા નથી. કારગીલ યુધ્ધ દરેક ભારતવાસી ભૂલી નહીં શકે જેમાં દુશ્મન દેશ પાકિસ્તાનના સૈનિકોને ભારત દેશના વીર સૈનિકોએ ધૂળ ચટાવી હતી. 26 જુલાઈ કારગિલ વિજય દિવસ તરીકે ઉજવામાં આવે છે. જમ્મુ કાશ્મીરમાં આવેલી કારગીલ હિલ ઉપર પાકિસ્તાન દ્વારા કબજો જમાવાની કોશિશકરવામાં આવી હતી ત્યારબાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ ફાટી નીકળ્યું હતું જેને ‘‘કારગિલ વોર’’ તરીકે ઓળખવામાં આવે છે. આજે ગુજરાતનો સ્થાપના દિવસ છે ત્યારે દેશની રક્ષા માટે કારગીલ યુદ્ધમાં શહીદ થનારા ગુજરાતી વીર સપૂત મુકેશ રાઠોડને ક્યારેય નહીં ભૂલી શકાય
મુકેશ રાઠોડને ઉપર જઈ મોરચો બનાવવાની વધારાની જવાબદારી સોંપાઈ હતી
કારગીલ યુદ્ધ સમયે રાજમાર્ગ ૧-અ અને કારગીલ નજીકનાં ગામો પર દુશ્મનનો સચોટ બોમ્બમારો માઝા મૂકી ચૂક્યો હતો. મુકેશ રાઠોડને ઉપર જઈ મોરચો બનાવવાની વધારાની જવાબદારી સોંપાઈ હતી. અચૂક નિશાનેબાજ મુકેશના એક હાથમાં તેમની બંદૂક અને ખભા પર મોરચો બનાવવા માટેની પ્લાસ્ટિકની ખાલી થેલીઓ હતી. સફેદ રંગની થેલીઓ હિમાલયના પર્વતોની આસપાસનાં નિતાંત અંધારામાં ચમકી રહી હતી. ૧૨ મહારનાં જવાનો ઉપર એક ફાયર બેઝ અને અગ્રીમ ચોકી સ્થાપિત કરી ચૂક્યા હતાં. ત્યાં ઝીરો પોઈન્ટ પર દુશ્મન ચોકીઓના રેતીના મોડલ બનાવી પલટનનું બ્રીફિંગ કરવામાં આવ્યું ફરી આક્રમણની યોજના તૈયાર કરાઈ અને રાત્રીના હુમલો કરવાનું નક્કી થયું. આપણી પાયોનીયર કંપની ડેલ્ટા અને ચાર્લી ના જવાનોની રાતે આક્રમણની યોજના હતી. પાયોનીયર કંપનીએ વધારાનો સામાન ઝીરો પોઈન્ટ પર મુક્યો અને પૂરતાં સ્નો ઇક્વિપમેન્ટ સાથે રાતે લગભગ ૨ -૩ કિલોમીટર ચઢાણ કર્યું.
મુકેશનાં માથા પરથી સરેરાટ કરતી એક ગોળી પસાર થઇ
દુશ્મનો બોંબ પર બોંબ વરસાવી રહ્યા હતા, મેજર અજીત વાજપેયી અને સુબેદાર પી કે મંડલની આગેવાનીમાં નાયક મુકેશ રાઠોડ અને આલ્ફા કંપનીના કુલ દસ જવાનો કંપની રીયરથી અગ્રીમ ચોકી પર દારૂગોળા અને રાશનની પુનઃપૂર્તિ કરવા રવાના થયા. એકાદ કલાકની સફર તો ખુબજ સરળ રીતે કપાઇ ગઇ પરંતુ અને બાદમાં મુકેશનાં માથા પરથી સરેરાટ કરતી એક ગોળી પસાર થઇ, હજી તેઓ દસેક ડગલાં આગળ વધ્યા હશે ત્યાં જ ઉપરથી ગોળીબાર થયાનાં ચમકારા ફરી દેખાયાં મુકેશ રાઠોડ સુબેદાર મંડલથી બે ગજ જેટલા જ દૂર હશે, મુકેશે એક ડગલું ઉપર તરફ લીધું અને જેવો પર્વતની આડશેથી તેનો ચહેરો સહેજ ઉપર થયો કે દુશ્મનની બે ગોળી તેનાં માથાને વીંધીને આરપાર નીકળી ગઈ.દુશ્મનની ગોળીથી વિંધાયેલ મુકેશનું નિષ્પ્રાણ શરીર સેંકડો ફૂટ ઊંડે ખીણમાં જઈને પડ્યું હતું.
રાત્રીનાં અંધકારમાં નીચેની ખીણમાં કશું દેખાઈ રહ્યું નહોતું
સુબેદાર મંડલે મુકેશ ને ગોળી વાગી અને તે ખાઈમાં પડ્યાનો રીપોર્ટ મેજર વાજપેયી કર્યો. રાત્રીનાં અંધકારમાં નીચેની ખીણમાં કશું દેખાઈ રહ્યું નહોતું. બે કલાક સુધી મુકેશનાં સાથી સૈનિકોએ અવાજ દઈ મુકેશને બોલાવવાની કોશિશ કરી. શું ખબર તેનામાં જીવ બચ્યો હોય તો તેનાં બચાવની કામગીરી કરી શકાય. અફસોસ ખીણમાં થી કોઈ પ્રતિક્રિયા આવી નહોતી. દેશ માટે આ ગુજરાતના આ વીર જવાને પોતાના પ્રાણોની આહુતિ આપી દીધી હતી