અહેવાલઃ સંજય જોશી, અમદાવાદ
રાજકોટના ૩૦ વર્ષીય મુકેશભાઈ રાણા પત્ની અને પુત્ર સાથે બાઇક પર જઇ રહ્યા હતા આ દરમિયાન તેમને માર્ગ અકસ્માત થયો હતો, જેમાં પત્ની અને પુત્રને પણ ઇજાઓ પહોંચી હતી..મુકેશભાઇના માથાના ભાગમાં ગંભીર ઈજા હોવાથી રાજકોટથી સઘન સારવાર અર્થે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા.અહીં તબીબોના અથાગ પ્રયત્ન અને સઘન સારવારના અંતે ૨૭ મે ના રોજ તેઓને બ્રેઇનડેડ જાહેર કરાયા હતા.
તે સમયે તેમના પત્ની રાજકોટમાં સારવાર હેઠળ હતા. જેથી અમદાવાદ સિવિલ હોસ્પિટલના મેડિકલ ઓફિસર ડોક્ટર તીર્થ અને અંગદાનની સેવાકીય પ્રવૃતિ સાથે સંકળાયેલા દિલીપ દેશમુખ( દાદા )અમદાવાદથી રાજકોટ પ્રવાસ ખેડી તેમના તેમની પાસે પહોંચ્યા.જ્યાં તેમણે મુકેશભાઈના બ્રેઇનડેડ થયાનો સમગ્ર ચિતાર રજુ કરીને તેઓને અંગદાન અંગેની સમજ આપી.જે બાદ પરિવારે પણ સંમતિ આપી અને મુકેશભાઈના તમામ અંગોનુ દાન કરવાનો નિર્ણય લેવાયો.
અંગોના રીટ્રાઇવલની સમગ્ર પ્રક્રિયાના અંતે બે કિડની અને એક લીવરનુ દાન મેળવવામાં સફળતા મળી હતી .સિવિલ સુપ્રીટેન્ડન્ટ ડૉ. રાકેશ જોષીએ જણાવ્યું કે, સમગ્ર રાજ્યમાં પ્રવર્તેલી અંગદાનની જનજાગૃતિના પરિણામે આજે રાજ્યમાં અંગદાનની સેવાકીય પ્રવૃતિ વેગવંતી બની છે.અંગદાનની સેવાકીય પ્રવૃત્તિમાં સહાયક તરીકે અમારી પડખે ઉભેલા દિલીપભાઇ દેશમુખ (દાદા) નો અંગદાનના સેવાકીય કાર્યની સુવાસ રાજ્યભરમાં પહોંચાડવામાં મહત્વનો ફાળો રહેલો છે.