અહેવાલ – સાબીર ભાભોર , દાહોદ
ગરબાડાના પાટીયાઝોલ ગામ નજીક થી એક જીવલેણ અકસ્માત સર્જાયો હતો. આ ભયાવહ અકસ્માતમાં એક જ પરિવારના 6 સભ્યો એ જીવ ગુમાવ્યો છે. શ્રમિક મજૂર પરિવાર રાજકોટ જિલ્લામાં મજૂરી કામ અર્થે ગયેલો હતો . પારિવારિક કાર્યોને પગલે તેઓ પોતાના વતન આવવા માટે નીકળ્યા હતા . પરંતુ આ શ્રમિક પરિવાર પોતાના ઘરે પહોંચે એ પહેલા એક જીવલેણ અકસ્માત તેમને નડ્યો હતો જેમાં પરિવારના 6 સભ્યો એ પોતાનો જીવ ગુમાવ્યો હતો.
ટ્રકે રિક્ષાને જોશભેર ટક્કર મારી હતી
દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના ઝરીબુઝર્ગ ગામનો શ્રમિક પરિવાર રાજકોટ જિલ્લામાં મજૂરી કામ અર્થે ગયેલો હતો, ત્યારે આજે પારિવારિક કામ અર્થે પરિવારના સભ્યો પોતાના માદરે વતન ફર્યા હતા. પરંતુ વિધિની વક્રતા જુઓ કે તમામ છ સભ્યો પોતાના ગામની નજીક પહોચતા પહેલા જ કાલમુખી ટ્રકે તેમને અડફેટે લેતા બધા જ છ સભ્યો કરૂણ મોતને ભેટયા હતા. પરિવારના સભ્યો રાજકોટથી ગરબાડા પહોચ્યા હતા અને ત્યાંથી પોતાના ગામ સુધી જવા માટે તેઓ રિક્ષામાં સવાર થઈ જઈ રહ્યા હતા તે દરમિયાન ગરબાડાના પાટીયાઝોલ ગામ નજીક મધ્યપ્રદેશ તરફ થી આવી રહેલા ટ્રકે રિક્ષાને જોશભેર ટક્કર મારી હતી. ત્યારબાદ અકસ્માતની જોરદાર ટક્કરને કારણે ડ્રાઇવરે સ્ટિયરિંગ ઉપરનો કાબૂ ગુમાવતાં ટ્રક પણ નજીકના ખાડામાં પલ્ટી મારી ગઈ હતી.
એક જ પરિવારના 6 સભ્યોએ ગુમાવ્યો જીવ
અકસ્માતમાં રિક્ષામાં સવાર એક જ કુટૂંબ ના 6 સભ્યો જેમાં પતિ પત્ની અને તેના સાત વર્ષ ના બાળક સહિત એક જ કુટુંબના 6 સભ્યોના ઘટના સ્થળે કરૂણ મોત નિપજ્યાં હતા. જ્યારે રિક્ષા ચાલકને ગંભીર ઇજાઓ પહોચી હતી. ત્યાર બાદ ચાલકને 108 મારફતે સારવાર અર્થે ખસેડાયો હતો.
સમગ્ર વિસ્તારમાં અરેરાટીનો માહોલ
બનાવને પગલે દાહોદ ડીવાયએસપી સહિત ગરબાડા પોલીસ ઘટના સ્થળે પહોચી ગઈ હતી. ત્યાર બાદ મૃતદેહને પોર્સ્ટમોર્ટ્મ અર્થે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરાઇ હતી. ગોઝારી ઘટનાને પગલે હાલ સમગ્ર પંથકમાં અરેરાટી ફેલાઈ ગઈ છે. પરિવાજનોમાં એક સાથે 6 સભ્યો ગુમાવવાનો શોક અને આ અમંગળ ઘટના પ્રત્યે આક્રોશ જોવા મળ્યો હતો.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે