અમદાવાદ (Ahmedabad)ના વેજલપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં થોડા દિવસો પહેલા પોલીસકર્મીએ કરેલા આપઘાત કેસમાં નવો વળાંક આવ્યો છે. પોલીસ કર્મીએ પૂર્વ પ્રેમીકા પોલીસકર્મીના ત્રાસ અને ધમકીઓથી કંટાળીને આપઘાત કર્યો હોવાનો ખુલાસો થતા આ મામલે વેજલપુર પોલીસે મહિલા પોલીસકર્મી સામે ગુનો નોંધી આરોપી મહિલા પોલીસકર્મીની ધરપકડ કરી છે.
હિતેષભાઇ પાસેથી નાણાં પડાવી માનસિક ત્રાસ આપી કેસ કરવાની ધમકીઓ આપી
મહિલા પોલીસકર્મીના ત્રાસ અને ધમકીઓથી કંટાળીને એન ડિવીઝન ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસકર્મી હિતેષ આલે 9 ઓક્ટોબરના રોજ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીઘો હતો. મૃતક હિતેષભાઇ આલને એસજી-2 ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતી રીંકલ અમરતભાઇ દેસાઈ સાથે પ્રેમ સંબંધ હતો. ત્રણેક વર્ષમાં રીંકલે પ્રેમ સંબંધ કેળવી અન્ય લોકો સાથે સંબંધો બાંધ્યા હોવાથી હિતેષભાઇએ તેની સાથે સંબંધો પૂરા કરી નાખ્યા હતા. રીંકલે હિતેષભાઇ પાસેથી નાણાં પડાવી માનસિક ત્રાસ આપી કેસ કરવાની ધમકીઓ આપી હિતેષભાઇની પત્નીને ફોન કરીને ઝઘડો કર્યો હતો. આ બાબતોથી કંટાળીને હિતેષભાઇએ આપઘાત કર્યો હોવાથી રીંકલ સામે દુષ્પ્રેરણાનો ગુનો નોંધી વેજલપુર પોલીસે ધરપકડ કરી છે.
જો તુ નહિ માને તો હું તારી પર બળાત્કારનો કેસ કરી ફસાવી દઇશ
હિતેષભાઇને ત્રણેક વર્ષથી રીંકલ સાથે પ્રેમ સંબંધ હતા પરંતુ રીંકલને બીજી જગ્યાએ અફેર હોવાથી હિતેષભાઇ બીજે લગ્ન કરવા તૈયાર પણ થયા હતા અને ગત તા. 7.2.2023ના રોજ તેમણે ક્રિષ્નાબેન સાથે લગ્ન કર્યા હતા. કોન્સ્ટેબલ હિતેષભાઇ અમદાવાદ એકલા રહેતા હોવાથી પત્નીને સાથે લઇ જવાનું તેમના ભાઇએ કહેતા હિતેષભાઇએ તેમને જણાવ્યું હતું કે રીંકલ સાથે સંબંધ તોડી નાખ્યા હોવા છતાંય તે હજુ છોડતી નથી અને પત્નીને લાવીશ તો તારા ઘરે આવી ઇજ્જતના ધજાગરા કરી નાખીશ તેવી ધમકીઓ આપતી હોવાની વાત કરી હતી. રીંકલે હિતેષભાઇને એવી પણ ધમકી આપી હતી કે જો તુ નહિ માને તો હું તારી પર બળાત્કારનો કેસ કરી ફસાવી દઇશ. જેથી તેની ધમકીઓને તાબે થઇને હિતેષભાઇ પત્નીને અમદાવાદ લાવતા ન હતા.
હિતેષભાઇને ગાળો ભાંડી હતી અને લાફા માર્યા
રીંકલને માત્ર હિતેષભાઇ સાથે જ નહિ પણ અન્ય કોઇ વ્યક્તિઓ સાથે પણ સંબંધ હતા. જેથી હિતેષભાઇ એ તેની સાથે સંબંધ કાપી નાખ્યા હતા. છતાંય તે ધમકીઓ આપીને હેરાન કરી કોઇ વસ્તુઓ મંગાવી હિતેષભાઇ પાસે પેમેન્ટ કરાવી આર્થિક રીતે ખંખેરી નાખતી હતી. એક દિવસ હિતેષભાઇ ટોઇંગ સ્ટેશન પર ફરજ પર હતા. ત્યારે રીંકલ ત્યાં પહોંચી હતી અને ફોનમાં બ્લોક કરવા બાબતે હિતેષભાઇને ગાળો ભાંડી હતી અને લાફા માર્યા હતા. બાદમાં ફોનનું લોક ખોલી હિતેષભાઇના પત્નીને ફોન કરીને ગાળો બોલીને 10 હજાર ટ્રાન્સફર કરાવવાનું કહીને કેસમાં ફસાવી દેવાની ધમકી આપી હતી. રીંકલના ત્રાસથી હિતેષભાઇએ એક વખત આપઘાતનો પ્રયાસ પણ કર્યો હતો. હાલ તો આ મામલે પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ પુછપરછ શરૂ કરી છે.
આ પણ વાંચો—ઔરંગાબાદમાંથી 3 કંપનીઓમાંથી 500 કરોડનું ડ્રગ્સ જપ્ત