ભાવનગર જિલ્લાના મહુવામા ભાજપ દ્વારા તાજેતરમા મેરી મિટ્ટી મેરા દેશ કાર્યક્રમ અંતર્ગત કળશયાત્રા નીકળી હતી. જેમા ખુંટવડા પંથકમા કળશ યાત્રાનો કળશ જ રહસ્યમય રીતે ગુમ થયાની ચોમેર ચર્ચા ચાલી રહી છે. આ કળશ ગુમ થયા બાદ ભાજપના સ્થાનિક અગ્રણીઓએ તાત્કાલિક બીજો કળશ ગોઠવીને નિર્ધારીત રૂટ પર યાત્રા કાઢી હતી. આ ટોક ઓફ ધી ટાઉન બનેલી વાતમા ભાજપના આગેવાનોની બેદરકારીને લીધે આ કળશ ગુમ થયો હોવાની ગુસપુસ થઈ રહી છે.
મેરી મિટ્ટી મેરા દેશ અંતર્ગત મહુવાના ધારાસભ્ય શિવાભાઈ ગોહિલની આગેવાની હેઠળ કળશ યાત્રા નિકળી હતી. જે મહુવા શહેર તેમજ ગ્રામ્યના અલગ-અલગ વિસ્તારોમાંથી પસાર થઈ હતી. આ કળશ યાત્રા મોટા ખૂટવડા પંથકમાં પહોંચી હતી. આ કળશ યાત્રાનો કળશ અચાનક યાત્રા દરમિયાન ગુમ થયો હતો. જે તે વિસ્તારના સ્થાનિક કાર્યકરોની ગુપચુપ ચર્ચાઓમાંથી આ માહિતી સાંપડી હતી.
આ બનાવ બાદ યાત્રાના આયોજકોમાં ચિંતાસાથે દોડધામ મચી જવા પામી હતી. ત્યાર બાદ તાબડતોડ આ કળશ યાત્રા કળશની વ્યવસ્થા કરવામાં આવી હતી. ફરી રાબેતા મુજબ આ યાત્રા તેના નિશ્ચિત રુટ ઉપર આગળ વધી હતી. આ ઘટનાની ભાજપના સ્થાનિક કાર્યકરોમાં ભારે ચર્ચા થઈ હતી.
આ પણ વાંચો : Bhavnagar News : ભરતનગરમાં ચાલતા કૂટણખાનો પર્દાફાશ, મહિલા સહિત 4 ઝડપાયા