ભારતીય જનતા પાર્ટીએ આગામી લોકસભા ચૂંટણી માટે 195 લોકસભા ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરવામાં આવી છે. ત્યારે આ યાદીમાં પીએમ મોદી સહિત 34 કેન્દ્રીય મંત્રીઓના નામનો સમાવેશ થાય છે. આ યાદીમાં ગુજરાતની 15 લોકસભા બેઠકો ઉપરથી મેદાનમાં ઉતારનાર ઉમેદવારોના નામની યાદી જાહેરાત કરવામાં આવી છે. આ યાદીમાં ભરૂચથી સાંસદ મનસુખ વસાવા ઉપર ભાજપે વિશ્વાસ મૂક્યો છે, અને બારડોલીમાંથી પ્રભુ વસાવાની પસંદગી કરવામાં આવી છે. ચાલો આ બંને ઉમેદવાર વિશે જાણીએ
સાંસદ મનસુખ વસાવા – ભરૂચ
મનસુખ વસાવા ભરૂચ લોકસભા બેઠક પરથી સાંસદ છે. આ બેઠક પર તેઓ સળંગ 6 ટર્મથી સાંસદ પદે ચૂંટાતા આવ્યા છે. મોટા આદિવાસી નેતા તરીકે તેમની ગણના થાય છે. તેઓ વ્યવસાયે ખેડૂત અને સમાજસેવી છે. મનસુખ વસાવાની રાજકીય સફરમાં તેઓ સૌ પ્રથમ 1996થી 1996 સુધી ગુજરાત વિધાનસભામાં સભ્ય તરીકે ચૂંટાયા હતા. પ્રથમવાર ધારાસભ્ય બનેલા મનસુખ વસાવાને નાયબ મંત્રી બનાવવામાં આવ્યા હતા. વર્ષ 1998માં ભરૂચ લોકસભાની પેટાચૂંટણીમાં ઉમેદવાર બન્યા હતા અને જીત મેળવી હતી. 1998થી અત્યાર સુધીમાં તેઓ સળંગ 6 ટર્મથી સાંસદ પદે ચૂંટાઈ આવે છે.
અગાઉ 2020માં તેમણે એકાએક ભાજપ અને સાંસદ પદેથી રાજીનામું આપતો પત્ર લખીને રાજકારણમાં ખળભળાટ મચાવી દીધો હતો. જોકે રાજકીય વિશ્લષકોના મતે મનસુખ વસાવા આવા તરકટ કરવામાં માહેર હોવાનું ચર્ચાયું હતું. તેઓ આખા બોલા સ્વભાવના છે. અનેકવાર વિવાદોમાં સપડાઈ ચૂક્યા છે. સરકારી અધિકારીઓ સાથેનું ગેરવર્તન કે જાહેર સ્ટેજ પરથી ઉતારી પાડવા જેવી હરકતોથી છેલ્લા ઘણા સમયથી વિવાદમાં રહ્યાં છે. રાજકીય પ્રતિદ્વંદીઓ સામે આકરાં વાકપ્રહાર માટે તેઓ જાણીતા છે.
સાંસદ પ્રભુ વસાવા – બારડોલી
પ્રભુભાઈ નાગરભાઈ વસાવા બારડોલીના સાંસદ છે. જેઓ મિકેનિકલ એન્જીનિયર છે. યુવાન સાંસદોમાંથી એક પ્રભુભાઈનો વ્યવસાય ખેતી છે. તેમના પત્ની શિક્ષિકા છે. પ્રભુભાઈ વસાવા 2007માં પહેલી વાર વિધાનસભા ચૂંટણી જીત્યા હતા. તેઓ બે વાર ધારાસભ્ય રહી ચુક્યા છે. જે બાદ 2014માં તેઓ પહેલી વાર લોકસભાના સાંસદ ચુંટાયા. પ્રભુભાઈ ખાદ્ય, ઉપભોક્તા અને જન વિતરણ પર બનેલી સંસદની સ્થાયી સમિતિના સભ્ય હતા. 2019માં લોકસભામાં બીજીવાર ચૂંટાયા હતા.
ખાદ્ય, ગ્રાહક બાબતો અને જાહેર વિતરણ પરની સ્થાયી સમિતિ, વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી અને પર્યાવરણ અને જંગલોની સ્થાયી સમિતિ, કેમિકલ્સ અને ફર્ટિલાઇઝર્સ પરની સ્થાયી સમિતિ, પિટિશન પર સમિતિ, કાપડ મંત્રાલયની સલાહકાર સમિતિના સભ્ય તરીકે સેવાઓ આપી હતી.
ગુજરાતમાંથી કોને કોને મળી ટિકિટ
- કચ્છથી વિનોદ ચાવડાને રિપીટ કરાયા
- બનાસકાંઠાથી ડૉ.રેખાબેન ચૌધરીને ટિકિટ
- પાટણથી ભરતસિંહ ડાભીને રિપીટ કરાયા
- ગાંધીનગરથી અમિતભાઈ શાહ લડશે ચૂંટણી
- અમદાવાદ પશ્ચિમથી દિનેશ મકવાણા લડશે
- રાજકોટથી પરષોત્તમભાઈ રૂપાલા લડશે
- પોરબંદર મનસુખભાઈ માંડવિયા લડશે ચૂંટણી
- જામનગરથી પૂનમબેન માડમને રિપીટ કરાયા
- આણંદથી મિતેષભાઈ પટેલને રિપીટ કરાયા
- ખેડાથી દેવુસિંહ ચૌહાણને રિપીટ કરાયા
- પંચમહાલમાં રાજપાલસિંહ જાદવ લડશે ચૂંટણી
- દાહોદ જશવંતસિંહ ભાભોર રિપીટ કરાયા
- ભરૂચથી મનસુખ વસાવાને રિપીટી કરાયા
- બારડોલીથી પ્રભુભાઈ વસાવા ભાજપ ઉમેદવાર
- નવસારીથી સી.આર.પાટીલને રિપીટ કરાયા
આ પણ વાંચો — LOKSABHA ELECTION : પૂનમ માડમ પર ભાજપનો ભરોસો અડિખમ, સતત ત્રીજી વખત કરાયા રિપીટ