અહેવાલ–કૌશિક છાયા, કચ્છ
ચર્ચાસ્પદ બનેલા મુન્દ્રામાં પોલીસ કર્મચારીઓ દ્વારા રૂ. 3.75 કરોડની લાંચ માંગવાના તોડ કાંડ મામલે આજે વધુ એક સ્ફોટક થયો છે. જેમાં ગાંધીધામ નિવાસી અને તોડકાંડના ફરિયાદી અનિલ પંડિત સહિત અન્ય પાંચ સહ આરોપીઓ સામે ખોટા દસ્તાવેજ ઊભા કરી, ગેર પ્રવુતિ આચરવા અને ષડયંત્ર આચરવા સહિતની વિવિધ કલમો તળે આ કેસની તપાસ કરતા અધિકારી અંજારના ડીવાયએસપી એમ પી ચૌધરીએ મુન્દ્રા પોલીસ મથકે ફોજદારી નોંધાવી છે.
વિદેશથી આયાત કરેલી સોપારીના જથ્થાના ખોટા બિલ બનાવ્યા
ગાંધીધામ નિવાસી અને તોડકાંડના ફરિયાદી અનિલ પંડિતે આપેલી અરજીના અનુસંધાને તોડકાંડમાં સામેલ ચાર પોલીસ કર્મી સાથે સ્થાનિકના બે મળતીયાઓ સામે લાંચ લેવા બદલ ગુનો નોંધાયો હતો. જેની તપાસ અંજાર ડીવાયએસપી ચૌધરીને સોંપાઈ હતી. અરજીના આધારે કરાયેલી તપાસ દરમિયાન સામે આવ્યું કે આ કેસના ફરિયાદી અનિલ પંડિત તેની સાથેના નાગપુર મહારાષ્ટ્રના આરોપી મોહિત મખીજા, હિમાંશુ ભદ્રા, મેહુલ ભદ્રા, સુરેખા શેઠ અને મુંબઈના દિનેશ માસ્તર સહિતના આરોપીઓ દાણચોરી કરેલી વિદેશથી આયાત કરેલી સોપારીનો જથ્થો ખોટા બિલ બનાવી સરકારી તિજોરીને હાની પહોંચાડી ભારતમાં વેપારીઓનો સંપર્ક કરી વેંચાણ કરતા હોવાની ઇપિકો કલમ તળે ગુનો રજીસ્ટર કરવામાં આવ્યો છે. કસ્ટમ કે DRI ના બદલે સુનિયોજિત ચાલતા ષડયંત્રનો પોલીસ વિભાગે પર્દાફાશ કર્યો છે.
પતાવટ માટે રૂ. પાંચ કરોડની લાંચની માંગણી કરી હતી
ગાંધીધામના અનિલ પંડિતે મંગાવેલી સોપારી ભરેલી ચાર ટ્રક મુન્દ્રા સાયબર ક્રાઇમ પોલીસે અટકાવી તેના મહેતાજીનું અપહરણ કરી પતાવટ માટે રૂ. પાંચ કરોડની લાંચ ની માંગણી કરી હતી, જે અંતર્ગત નક્કી થયેલી રૂ. 3.75 કરોડની રકમ સપ્તાહ દરમિયાન ચૂકવાઇ ગઈ હતી. આ ઘટનાના બે માસ બાદ તા. 27ના ગાંધીધામના અનિલ પંડિતે રેન્જ આઇજી સમક્ષ ન્યાયની માગ કરતી લેખિત અરજી આપી હતી. જે અનુસંધાને તપાસ કરતા કસૂરવાર જણાયેલ ચાર પોલીસ કર્મી અને બે વચેટિયા સામે પોલીસે કાર્યવાહી કરી હતી.
સરકારને છેતરવાનો કારસો
આ મામલે તા. 10 ઓકટોબરના લાંચિયા પોલીસકર્મીઓ વિરૂદ્ધ અનિલ પંડિતની ફરિયાદ લેવાઈ હતી. જોકે તોડકાંડના બે માસ બાદ અરજીકર્તા સામે શંકાની દૃષ્ટિએ અંજાર ડીવાયએસપી ચૌધરીને તપાસ સોંપવામાં આવ્યા બાદ સમગ્ર મામલો ખુલીને સામે આવ્યો છે. લાંચ કાંડના ફરિયાદી અને તેના ભાગીદાર વેપારીઓ દ્વારા ખોટા દસ્તાવેજના આધારે સોપારીની દાણચોરી કરી સરકારને છેતરવાનો કારસો કરવામાં આવ્યો હતો
આ પણ વાંચો—–ACBને કેમ પોણા ચાર કરોડના તોડકાંડની તપાસ નથી સોંપાતી ?