Gujarat First Ground Report: ગીર સોમનાથ જિલ્લામાં ભર ઉનાળે પાણીની તંગી સર્જાઈ છે. એકબાજું હાડ ગાળતી ગરમી પડી રહી છે અને બીજીબાજુ લોકોને પાણી માટે હેરાન થવું પડી રહ્યું છે. ગીર સોમનાથ જિલ્લાને સૌરાષ્ટ્રમાં લીલી નાઘેર તરીકે પણ ઓળખવામાં આવે છે. લીલી નાઘેર એટલે જ્યાં ચારેય તરફ હરિયાળી હોય તે! પરંતુ કહેવાતા લીલી નાઘેર વિસ્તારમાં દાયકા બાદ પણ ઉનાળો આવતા લોકો પીવાના પાણી માટે વલખાં મારી રહ્યા છે. ખાસ કરીને સુત્રાપાડાના 22 ગામો, વેરાવળના 10 ગામો, તાલાળાના 7 ગામો અને ગીર ગઢડાના 2 ગામોમાં પાણીદાર સરકારના રાજમાં પીવાના પાણી માટે ટેન્કર દ્વારા વ્યવસ્થા ઊભી કરવામાં આવે છે.
ગીર સોમનાથ જિલ્લાના 43 જેટલા ગામોમાં પીવાના પાણીની તંગી
જોકે ગીર સોમનાથ જિલ્લા તંત્ર દ્વારા ટેન્કર વડે પીવાના પાણીનો પ્રશ્ન હાલ પૂરતો તો હલ કરી દેવામાં આવ્યો છે. પરંતુ કહેવાતા લીલી નાઘેર વિસ્તારના કેટલાક ગામોની ગુજરાત ફર્સ્ટની ટીમે મુલાકાત લીધી હતી. ખોર, મટાણા ગામની મુલાકાત લઈને જાણવાનો પ્રયાસ કર્યો કે ખરેખર ઉનાળો આવતા આ ગામોમાં પીવાના પાણીના ધાંધિયા કેમ થાય છે? શું આ વિસ્તારમાં વરસાદ થતો નથ ? કે પછી આ કોઈ રણ પ્રદેશ છે? જ્યાં પાણી પારાયણ સર્જાય છે. ગામમાં ઉનાળો આવતા એકાદ બે વર્ષથી નહીં પણ દાયકાઓથી પીવાના પાણી વિકટ સમસ્યા ઉભી થાય છે.
વાસ્મોની યોજના છે પણ આ યોજના શોભાના ગાંઠીયા સમાન
નોંધનીય છે કે, ગામમાં વાસ્મોની યોજના છે પણ આ યોજના શોભાના ગાંઠીયા સમાન બની છે કારણ કે યોજના અંતર્ગત નળ કનેકશન તો આપ્યા પણ પાણી કયારેય આવ્યું નથી. ગામના સરપંચે પણ અનેકવાર રજૂઆતો કરી પણ બહેરા તંત્રના કાને વાત અથડાયને પાછી આવી જાય છે. વાસ્મોના અધિકારીઓ આવે અને માત્ર નજર કરીને જતા રહે છે. તેમાં કોઈ ઉકેલ લાવવાનો પ્રયત્ન કરવામાં આવતો નથી.
કાળજાળ ગરમીમાં ગ્રામજનોના પાણી વલખા
ગુજરાત ફર્સ્ટે મટાણા ગામની પણ મુલાકાત લીધી હતી. આ ગામમાં પહોંચતા જ સૌપ્રથમ અમે ગ્રામજનોને મળતા પાણીના સંપ પાસે પહોંચ્યા હતા.સૌ પ્રથમ તો સંપ જોતા એવું લાગ્યું કે આ પાણીની સંપ બે દિવસમાં જમીન દોસ્ત થઈ જશે ત્યારબાદ અમે ગામમાં ચાલતા પાણીના ટેન્કરની પરિસ્થિતિનો તાગ મેળવ્યો. પાણીનું ટેન્કર ગામમાં આવે પહોંચતા જ ગામ લોકો પાણી માટે પડાપડી કરતા જોવા મળ્યા હતા. એક તો ઉનાળાની કાળજાળ ગરમી અને ગરમીમાં ગ્રામજનો પાણી માટે રોજ બેરોજ આમતેમ વલખા મારી રહ્યા છે.