અહેવાલઃ નામદેવ પાટીલ
સરકાર દ્વારા પાયાના પ્રાથમિક શિક્ષણને ગુણવત્તા સભર બનાવવા માટે અનેક યોજનાઓ અમલમાં મૂકી કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવી રહ્યો છે જેમાં પણ ગ્રામ વિસ્તારના બાળકો અપૂરતી સગવડના કારણે શિક્ષણથી વંચીત ન રહી જાય જેની સરકાર ખૂબ જ ચિંતા કરતી હોવાનું પદાધિકારીઓ પોતાના પ્રાસંગિક ઉદ્દબોધનમાં અચૂક બોલતાં હોય છે.પરંતુ પંચમહાલ જિલ્લામાં આજે પણ વરવી વાસ્તવિકતા અને સ્થિતિ કઈક અલગ જ જોવા મળી રહી છે.
ઓરડાઓનું નવીનીકરણ થશે કે નહીં ?
જિલ્લામાં આજેપણ કેટલીય શાળાના જર્જરિત ઓરડામાં વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે.સરકારે નવીન ઓરડા બનાવવાની જાહેરાત કરી છે અને જર્જરિત ઓરડા ડિસમેન્ટલ કરવાની પ્રક્રિયા પણ કરવામાં આવી રહી છે પણ આ તમામ ટેકનીકલ ગૂંચ વચ્ચે કેટલાય વિદ્યાર્થીઓ આજે પણ જોખમી રીતે ભય ના ઓથાર હેઠળ અભ્યાસ કરી રહ્યા છે જયારે કેટલીક શાળાઓના વિદ્યાર્થીઓ ગ્રામપંચાયત કે સમાજ ઘરમાં બેસી અભ્યાસ કરવા મજબુર બન્યા છે ત્યારે સરકાર દ્વારા આગામી ચોમાસા પૂર્વે વેકેશન દરમિયાન આવા જર્જરિત ઓરડાનું નવીનીકરણ કરવામાં આવશે કે કેમ એવું હવે તો વિદ્યાર્થીઓ અને જાગૃત વાલીઓ પૂછી રહ્યા છે.
એક જર્જરીત ઓરડાનો ઉપયોગ બિલકુલ બંધ કરી દેવાયો
ગોધરા તાલુકાની ભામૈયા પશ્ચિમ પ્રાથમિક શાળામાં ધોરણ એક થી આઠમાં 318 વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે.આ શાળામાં હાલ ઉપલબ્ધ ઓરડા પૈકી પાંચ ઓરડા જર્જરિત હાલતમાં જોવા મળી રહ્યા છે જે પૈકી એક ઓરડાનો ઉપયોગ બિલકુલ બંધ કરી દેવાયો છે જયારે અન્ય ત્રણ ઓરડાની છતમાંથી સળિયા ડોકિયાં કરવા સાથે પોપડા ખરી રહ્યા છે.વળી અહીં ચોમાસામાં પાણી ટપકતાં વિદ્યાર્થીઓના દફતર ભીનાં થઈ જવા સાથે વીજ પુરવઠો બંધ કરવો પડે છે.
જોખમી ઓરડામાં બેસી ન છૂટકે અભ્યાસ કરવાની મજબૂરી
ઉનાળામાં પંખાની સગવડ હોવા છતાં અકસ્માતના ભયથી પંખા બંધ રાખવા પડે છે.આ શાળામાં અન્ય કોઈ વૈકલ્પિક વ્યવસ્થા નહિ હોવાથી શિક્ષકો મજબુર બની જોખમી ઓરડામાં વિધાર્થીઓને ના છૂટકે બેસાડી અભ્યાસ કરાવી રહ્યા છે.
અહીં જો પાળી પધ્ધતિ કરવામાં આવે તો નાના વિદ્યાર્થીઓ જે દૂર દૂર થી અભ્યાસ માટે શાળામાં આવતાં હોય જે બંધ થઈ જવા ની સમસ્યા ઉભી થવાની શક્યતાઓ વચ્ચે શિક્ષકો પણ આ નિર્ણય લઈ શકતા નથી ત્યારે આ શાળાના સંચાલન કમિટીના સભ્ય,વાલીઓ અને વિદ્યાર્થીઓ દ્વારા વહેલી તકે શાળા ના ઓરડા નવીન બનાવવામાં આવે એવી માંગ કરી રહ્યા છે.