રાહુલ ગાંધીના નિવેદન મુદ્દે હવે રાજકારણ ગરમાયું છે. રાહુલ ગાંધીના રાજા રજવાડાના ઉપર વિવાદિત નિવેદન બાદ હવે ભાજપ અને કોંગ્રેસના એકબીજા ઉપર વાર પાલટવારનો સિલસિલો શરૂ થઈ ગયો છે. રાહુલ ગાંધીના આ વિવાદિત નિવેદન બાદ ક્ષત્રિય સમાજ પણ હવે મેદાને આવતો જોવા મળી રહ્યો છે. શક્તિસિંહ ગોહિલ અને સી આર પાટીલ બાદ હવે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કોંગ્રેસ અને રાહુલ ગાંધી ઉપર આકરા પ્રહાર કર્યા છે. વધુમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પ્રિયંકા ગાંધીને પણ આડે હાથ લીધી હતી.
કોંગ્રેસની સરકારના શાસનમાં આદિવાસી વિસ્તારમાં રસ્તા અને પાણી નહોતું – ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી
રાહુલ ગાંધીના રાજા-રજવાડાઓ સંદર્ભેના નિવેદનનો મામલો વધુને વધુ વકરતો જાય છે. ભાજપ-કોંગ્રેસના નેતાઓ સહિત ક્ષત્રિય સમાજ પણ હવે આ મુદ્દે સામે આવીને પોતાના વિચારો મૂકી રહ્યો છે. હવે આ મુદ્દે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પ્રિયંકા ગાંધી ( Priyanka Gandhi ) અને રાહુલ ગાંધી ઉપર વાક પ્રહાર કર્યા છે. તેમણે પોતાની વાત મીડિયા સમક્ષ મુકતા સૌ પ્રથમ પ્રિયંકા ગાંધી ( Priyanka Gandhi ) ઉપર પ્રહાર કરતાં કહ્યું હતું કે, પ્રિયંકા ગાંધીએ ( Priyanka Gandhi ) ચૂંટણીલક્ષી આદિવાસી લોકોના હિતની જે વાત કરી હતી, પરંતુ તેઓ ભૂલી ગયા કે પ્રધાનમંત્રીના નેતુત્વમાં આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવવામાં આવ્યા છે. તેમનો વિરોધ પણ કોંગ્રેસ પાર્ટી દ્વારા જ કરવામાં આવ્યો હતો. આદિવાસી પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ બનવા જઇ રહ્યા હતા તે વેળાએ તેમણે વિરોધ કર્યો હતો.
વધુમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ઉમેર્યું હતું કે, કોંગ્રેસની સરકારના શાસનમાં આદિવાસી વિસ્તારમાં રસ્તા અને પાણી નહોતું, આજે મોદીના શાસનમાં ઘરે ઘરે પાણી પોહચ્યું છે, રોડ રસ્તાઓ બન્યા છે, આજે આદિવાસી દીકરીએ રમત ગમત ક્ષેત્રે દેશભરમાં ડંકો વગાડ્યો છે. ત્યારે બીજી તરફ કોંગ્રેસ દ્વારા આદિવાસી સમાજને વિકાસથી દૂર રાખવાનો કારસો કરવામાં આવ્યો છે.
દેશને લૂંટવાનું કાર્ય કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યું – ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પ્રિયંકા ગાંધી બાદ રાહુલ ગાંધી ઉપર પણ આકરા પ્રહાર કર્યા હતા. તેમણે રાહુલ ગાંધી વિશે વાત કરતાં જણાવ્યું કે, રાહુલ ગાંધીના નિવેદનના કારણે દેશભરના ક્ષત્રિય સમાજમાં દુઃખની લાગણી જોવા મળી રહી છે. જે રાજાઓએ પોતાના રજવાડાઓને એક કરવા બલિદાન આપ્યું,ત્યાં કોંગ્રેસે તેમને બદનામ કરવાનું બાકી રાખ્યું નથી. દેશને લૂંટવાનું કાર્ય કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યું છે. રાહુલ ગાંધીના નિવેદન બદલ સમગ્ર ક્ષત્રિય સમાજમાં રોષની લાગણી છે.
રૂપાલાએ આપેલ નિવેદન એક ભૂલ છે – ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી
વધુમાં તેમણે કહ્યું હતું કે, રૂપાલાએ આપેલ નિવેદન એક ભૂલ છે અને આ નિવેદન બદલ ક્ષત્રિય સમાજ રૂપાલાને માફી આપે તેવી માંગ છે.
સીઆર પાટીલે પણ આ મામલે માફી માંગી છે. કોઈ સમાજના હૃદયમાં દુઃખની લાગણી ન હોય તે માટે માફી માંગવી જોઈએ. પરંતુ રાહુલ ગાંધીના નિવેદન સામે પણ નજર નાખવી જઈએ. ક્ષત્રિય સમાજ અને ભાજપ સિક્કાની એકબાજુ છે, અમારી અનેક બેઠક તેમના સાથે થઈ છે અને પોઝીટીવ રિસ્પોન્સ મળ્યો છે. વધુમાં તેમણે આ બાબતે ઉમેર્યું હતું કે, સમાજ અને ભાજપ વચ્ચે કોઈ વહેમ ન રહે તેનું ધ્યાન રાખવુ જઈએ.
શક્તિસિંહ ગોહિલને હું વિનંતી કરું છું – ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી
શક્તિસિંહ ગોહિલ અંગે પણ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પોતાનું નિવેદન આપ્યું હતું અને કહ્યું હતું કે, શક્તિસિંહ ગોહિલને હું વિનંતી કરું છું કે આપણે સૌ સમાજને એક કરીને આગળ વધવું જોઈએ. ચૂંટણી માટે અનેક મુદાઓ છે જેમાં સમાજની રાજનીતિ ન હોવી જઈએ. આપણા રાજ્યને આગળ વધારવા પીએમ મોદીએ ઘણા પ્રયાસ કર્યા છે. આ ચૂંટણીમાં દેશભરના નાગરિકોએ ભાજપને ફરી એક વખત લાવવા મન બનાવી લીધું છે.
આ પણ વાંચો : ક્ષત્રિયો પર નિવેદન મુદ્દે PM Modi એ કર્યા આકરા વાક્ પ્રહારો, જાણો કોંગ્રેસના શહેજાદાને શું કહ્યું?