અહેવાલઃ ઉદય જાદવ, સુરત
બીપોરજોય વાવાઝોડાને લઈને સુરત જિલ્લા તંત્ર એલર્ટ મોડમાં છે. આજે મંત્રી મુકેશ પટેલે ડભારી દરિયા કિનારે આવેલા ગામોની મુલાકાત લીધી હતી, અને તંત્ર દ્વારા થતી કામગીરીનો ચિતાર મેળવ્યો હતો. મંત્રી મુકેશ પટેલે જણાવ્યું હતું કે વાવાઝોડાની સ્થિતિને લઈને સરકારે આગોતરું આયોજન કરી લીધું છે. ગતરોજ પણ ડભારીના આસપાસના ગામોની વિઝીટ કરી હતી આજે પણ વિઝીટ કરી છે. સુરત જિલ્લાના ત્રણ તાલુકાના ૪૨ ગામો એલર્ટ કરવામાં આવ્યા છે.
ડભારીના ૨૧ ગામોને અસર થઇ શકે છે
ડભારીના ૨૧ ગામોને અસર થઇ શકે છે. ત્યારે તંત્ર દ્વારા તમામ વ્યવસ્થાઓ અહી કરી લેવામાં આવી છે. ગામના ઝુપડામાં રહેતા લોકોને જો સ્થળાંતરની જરૂર પડે તો તે વ્યવસ્થા પણ કરી લેવામાં આવી છે. શેલ્ટર હોમની પણ વ્યવસ્થા કરી લેવામાં આવી છે. એનડીઆરએફની ટીમ પણ તૈનાત કરી દીધી છે.
દરિયો ખેડવા જતા લોકોને દરિયામાં ન જવા સુચના
આ ઉપરાંત ડભારી અને સુંવાલીનો બીચ પણ સહેલાણીઓ માટે બંધ કરી દેવામાં આવ્યો છે. આરોગ્યની ટીમ પણ તૈનાત કરી દીધી છે. આ ઉપરાંત દરિયો ખેડવા જતા લોકોને દરિયામાં ન જવા સુચના આપી છે તેમજ દરિયામાં જે લોકો ગયા હતા તેઓને પરત બોલાવી લેવાયા છે. હજીરાની રો-રો ફેરી પણ બંધ કરવામાં આવી છે. મુખ્યમંત્રી સહિતના તમામ મંત્રીઓ જે જગ્યાએ વાવાઝોડાની અસર થવાની છે ત્યાં પહોચી ગયા છે. બિપરજોય’ વાવાઝોડાની અસરોને ધ્યાને લઈ જિલ્લા ડિઝાસ્ટર મેનેજમેન્ટ અંતર્ગત સુરત વનવિભાગ દ્વારા જિલ્લા-તાલુકાકક્ષાએ કંટ્રોલરૂમ શરૂ કરાયા છે.વૃક્ષો પડવાની સંભાવનાને ધ્યાને લઈ સાધન-સરંજામ સાથે વનવિભાગના ૧૭૧ અધિકારી-કર્મચારીઓ સ્ટેન્ડબાય રખાયા છે.
સુરત વનવિભાગ દ્વારા તાલુકાની વિવિધ રેન્જ ઓફિસ ખાતે કંટ્રોલરૂમ શરૂ કરવામાં આવ્યા
અરબી સમુદ્રમાં સર્જાયેલુ ‘બિપરજોય’ વાવાઝોડું સૌરાષ્ટ્રના દરિયાકાંઠે ટકરાવાની સંભાવનાઓ રહેલી છે, ત્યારે તેની અસર સુરત સહિતના દક્ષિણ ગુજરાતના દરિયાકિનારા પર જોવા મળશે. વાવાઝોડામાં પવનના કારણે મોટા વૃક્ષો ધરાશાયી થવાના કારણે આપાતકાલીન પરિસ્થિતિને પહોચી વળવા માટે જિલ્લા ડિઝાસ્ટર મેનેજમેન્ટ અંતર્ગત સુરત વનવિભાગ દ્વારા તાલુકાની વિવિધ રેન્જ ઓફિસ ખાતે કંટ્રોલરૂમ શરૂ કરવામાં આવ્યા છે.
કંટ્રોલરૂમ ક્યાં કયાં ?
જેમાં સુરત ખાતે ૦૨૬૧-૨૭૩૩૮૨૫, માંડવી તાલુકામાં શ્રી એચ.જે.વાંદા (મો.૯૯૨૫૧ ૭૯૮૨૭)ની માંડવી-દક્ષિણ રેન્જમાં માંડવી રેન્જ કચેરી ખાતે (૦૨૬૧- ૨૭૩૩૮૨૫), માંડવી-ઉત્તર રેન્જ કચેરી ખાતે શ્રી આર.પી.વોધલા મો.૯૧૫૭૫ ૮૧૧૧૧ (૦૨૬૨૩-૨૨૧૮૨૬), મહુવા તાલુકાની રેન્જ કચેરી ખાતે સુ.શ્રી એ.બી.ચૌધરી-મો.૭૬૨૩૯ ૪૦૪૫૮(૦૨૬૨૫-૨૫૫૨૫૯), ડુમસની રેન્જ કચેરી ખાતે એન.એ.વરમોરા મો.૯૦૯૯૯ ૨૯૪૮૪, ઉમરપાડા રેન્જ કચેરી ખાતે શ્રી એ.જી.પટેલ મો.૯૭૨૬૯ ૭૫૨૦૩, (૦૨૯૨૯-૨૫૩૫૫૫), વડપાડા રેન્જ કચેરી ખાતે શ્રી બી.પી.વસાવા મો.૬૩૫૪૭૪૫૭૯૩ (૦૨૬૨૯-૨૫૩૫૫૫), માંગરોળના વાંકલ રેન્જ કચેરી ખાતે શ્રી એચ.બી.પટેલ મો.૯૭૨૬૦ ૮૫૨૬૬ (૦૨૬૨૯-૨૪૩૨૪૭) ખાતે કંટ્રોલરૂમ શરૂ કરવામાં આવ્યા છે. જેમાં ટ્રાન્સપોર્ટના વાહનો, યુનક્રોમ/જેકેટ, વોકીટોકી, કુહાડી, કટર દોરડા જેવા સાધન-સુવિધાઓ સાથે ૧૭૧ અધિકારી-કર્મચારીઓને સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યા છે.