મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે (CM Bhupendra Patel) ગુજરાતના આયુષ્માન કાર્ડધારકોને એક મોટી ભેટ આપી છે અને તેની લાભ મર્યાદાને ₹5 લાખથી વધારીને ₹10 લાખ સુધીની કરી દીધી છે. આજે 11 જુલાઈથી આ નિયમ ગુજરાતના તમામ આયુષ્માન કાર્ડધારક (Ayushman Cardholder) પરિવારોને લાગુ થઈ ગયો છે. આજે આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશ પટેલે (Rishikesh Patel) એક કાર્યક્રમમાં ₹10 લાખની વીમા સહાયનો પ્રારંભ કરાવ્યો હતો. આ કાર્યક્રમમાં આરોગ્ય વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી મનોજ અગ્રવાલ, કમિશનર શાહમીના હુસૈન, નેશનલ હેલ્થ મિશનના ડાયરેક્ટર ડૉ. રેમ્યા મોહન, આયુષ્માન યોજના સાથે સંકળાયેલા ડૉ. જૈન, ડૉ. આનંદ તેમજ અન્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
હવેથી રૂ. 10 લાખ સુધીની સારવાર થશે ફ્રી
અન્ય રાજ્યોમાં ઇલાજ કરાવવા પર પણ મળશે ₹10 લાખ સુધી મફત સારવારનો લાભ ગુજરાત સરકારના જન આરોગ્ય સુરક્ષા કવચને લઇને આ સૌથી મોટું પગલું છે, જે હેઠળ આયુષ્માન કાર્ડ ધરાવતો દરેક પરિવાર ગુજરાત ઉપરાંત દેશના કોઈપણ ખૂણે આવેલી હોસ્પિટલ, જો એ હોસ્પિટલ પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ એમ્પેનલ્ડ હોય, તો તેમાં ₹10 લાખ સુધી નિઃશુલ્ક ઇલાજ કરાવી શકે છે. ઉલ્લેખનીય છે કે, આયુષ્માન કાર્ડધારક પરિવારો 2471 પ્રકારની મેડિકલ પ્રોસીજર્સનો લાભ લઇ શકે છે. રાજ્યના આયુષ્માન કાર્ડધારકને આ માટે કોઈ પણ વધારાના ખર્ચનો બોજો ઉઠાવવાની જરૂર નથી. વધારાના ₹5 લાખનો સંપૂર્ણ ખર્ચ ગુજરાત સરકાર વહન કરશે.
શું કહ્યું મુખ્યમંત્રીએ?
ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકારની પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ આયુષ્માન કાર્ડધારકોને ₹5 લાખ સુધીની મફત સારવાર આપવામાં આવતી હતી, જે સહાય વધારીને હવે ₹10 લાખ કરવામાં આવી છે. આ મહત્વપૂર્ણ ઉપલક્ષ્ય પર મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું, “અમે આયુષ્માન કાર્ડધારક પરિવારોને ₹5 લાખને બદલે ₹10 લાખ સુધીનું સ્વાસ્થ્ય કવચ આપવાનો નિર્ણય કર્યો છે. આજે 11 જુલાઈથી સમગ્ર રાજ્યમાં આ નિયમ લાગુ પણ કરી દેવામાં આવ્યો છે. આ પહેલની મહત્વપૂર્ણ વાત એ પણ છે કે રાજ્યના આયુષ્માન કાર્ડધારક પરિવાર દેશની કોઈ પણ PMJAY એમ્પેનલ્ડ હોસ્પિટલમાં ₹10 લાખ સુધીની મફત સારવારની સુવિધા મેળવી શકે છે.
કેટલા આયુષ્માન કાર્ડ ઈશ્યુ થયાં?
ગુજરાત સરકારનો આરોગ્ય વિભાગ સંપૂર્ણ સતર્કતા અને ગહનતા સાથે આયુષ્માન યોજનાનો અમલ કરી રહ્યો છે. અત્યારસુધીમાં રાજ્યના 1.79 કરોડ લોકોને આયુષ્માન કાર્ડ ઇશ્યુ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત, અમે ફીડબેક મિકેનિઝમ પણ શરૂ કર્યું છે. તેના મારફતે અમે એ સુનિશ્ચિત કરીએ છીએ કે દરેક આયુષ્માન કાર્ડધારકને રાજ્યની એમ્પેનલ્ડ હોસ્પિટલો, પછી તે સરકારી હોય કે પ્રાઇવેટ, તેમાં મફત અને મુશ્કેલી રહિત સારવાર મળે.”
ગુજરાતમાં અત્યારસુધીમાં ₹10,221 કરોડના ખર્ચે 53.99 લાખ ક્લેમ સેટલ કરવામાં આવ્યા
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન આરોગ્ય સુરક્ષાના સંકલ્પને પૂર્ણ કરવાની દિશામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં આયુષ્માન ભારત PMJAY-MA યોજનાને પ્રાથમિકતા અને ખૂબ જ સઘનતા સાથે લાગુ કરી છે. રાજ્ય સરકારના આરોગ્ય વિભાગે અત્યારસુધીમાં 2848 હોસ્પિટલોને આયુષ્માન ભારત PMJAY-MA યોજના માટે એમ્પેનલ કરી લીધી છે, જેમાં રાજ્યની સરકારી હોસ્પિટલોની સંખ્યા 2027 અને પ્રાઇવેટ હોસ્પિટલોની સંખ્યા 803 છે, જ્યારે ભારત સરકાર દ્વારા સંચાલિત હોસ્પિટલોની સંખ્યા 18 છે. આયુષ્માન ભારત PMJAY-MA હેઠળ ક્લેમ સેટલમેન્ટની વાત કરીએ તો રાજ્ય સરકારે ₹10,221 કરોડના ખર્ચે રાજ્યના 53.99 લાખ ક્લેમ સેટલ કર્યા છે.
આ પણ વાંચો : GUJARAT RAIN UPDET : રાજ્યમાં ભારે મેઘની આગાહી, આ વિસ્તારોમાં થશે ગાજવીજ સાથે વરસાદ
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.