MSME CONCLAVE VGGS 2024 અન્વયે યોજાયેલ MSME CONCLAVE-2024માં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ જણાવ્યું છે કે, MSME સેક્ટર માટેના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિઝનને અનુરૂપ વાઇબ્રન્ટ સમિટની ૧૦મી એડિશનને ગાંધીનગર સુધી સિમિત નહીં રાખીને રાજ્યના જિલ્લાઓ સુધી વિસ્તારી છે. MSME CONCLAVE માં તેમણે કહ્યું કે, રાજ્યમાં જિલ્લા અને તાલુકા કક્ષાએ કાર્યરત એવા નાના ઉદ્યોગોને પ્રોત્સાહન મળે, ડેવલોપમેન્ટ અને એક્સપાન્શનનું પ્લેટફોર્મ મળે તેવી પ્રણાલી આ વર્ષની વાઇબ્રન્ટ સમિટમાં સરકારે વાઈબ્રન્ટ ગુજરાત વાઈબ્રન્ટ ડિસ્ટ્રીક્ટથી અપનાવી છે. મુખ્યમંત્રીશ્રીએ VGGS-24ના ત્રીજા દિવસે આયોજીત MSME CONCLAVE દેશભરમાંથી પધારેલા નાના-લઘુ અને સુક્ષ્મ ઉદ્યોગકારો, રોકાણકારો અને નીતિ નિર્ધારકોને સંબોધન કર્યું હતું.
તેમણે કહ્યું કે, ૨૦૦૩માં જ્યારે વાઇબ્રન્ટ સમિટની પરંપરા વડાપ્રધાનશ્રીએ શરૂ કરી ત્યારે ઘણી બધી સુવિધાઓનો અભાવ હતો. બે દાયકા પછી હવે જ્યારે અત્યાધુનિક ફેસિલિટીઝ ઉપલબ્ધ છે ત્યારે વાઇબ્રન્ટ સમિટને ગ્લોબલ પ્લેટફોર્મ બનાવવાની સાથે-સાથે રાજ્યના નાના-લઘુ ઉદ્યોગકારોને વિકસવા માટેનો સ્થાનિક મંચ-વોકલ ફોર લોકલ દ્વારા આપણે ઊભો કર્યો છે.
મુખ્યમંત્રીએ સ્પષ્ટપણે જણાવ્યું કે, રાજ્યના ઉદ્યોગો વિકાસના રાહે સફળ બને અને સારી રીતે આગળ વધે તે જોવાનું કામ સરકારનું છે, સરકાર MSMEsની પડખે સતત ઉભી છે. MSME સેક્ટર પર ફોકસ કરવાનું વડાપ્રધાનશ્રીનું વિઝન છે. રાજ્ય સરકાર અને મંત્રીમંડળની ટીમ ગુજરાત પણ MSMEs સેક્ટરના વિકાસ પર ફોકસ કરી રહી છે.
મુખ્યમંત્રીશ્રીએ વધુમાં ઉમેર્યું કે, વાઇબ્રન્ટ સમિટથી ગુજરાત દુનિયાના મંચ ઉપર પ્રસ્થાપિત થઇ ગયું છે. સૌ ઉદ્યોગકારો, સહભાગીઓના સાથ સહકારથી વાઇબ્રન્ટ સમિટની ૧૦મી એડીશન સફળ રહી છે. આવા જ ઉત્સાહથી આગામી વાઇબ્રન્ટ સુધી આપણે સૌએ પરસ્પર સહયોગથી કાર્યરત રહેવાનું છે. આપણે વાઇબ્રન્ટ છીએ અને વાઇબ્રન્ટ જ રહેવાનું છે, તેમ તેમણે ઉમેર્યું હતું.
આ અવસરે કેન્દ્રીય એમ.એસ.એમ.ઈ. મંત્રીશ્રી નારાયણ રાણેએ જણાવ્યું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકારે એમ.એસ.એમ.ઈ.ના વિકાસ માટે લીધેલા ક્રાંતિકારી નિર્ણયો હવે સાકાર થયા છે. આ પગલાં પરિણામલક્ષી સાબિત થયા છે. વર્ષ ૨૦૨૪ના રોડ મેપ માટે એમ.એસ.એમ.ઈ. સત્રનું આયોજન કરવામાં આવ્યું છે. તેમણે કહ્યું કે, એમ.એસ.એમ.ઈ.ના માધ્યમથી ગુજરાત દેશમાં સૌથી વધુ રોજગારી પૂરી પાડે છે. ટ્રાન્સપોર્ટ અને ટેક્સટાઈલ ક્ષેત્રે ગુજરાત ઉદ્યોગપતિઓની પ્રથમ પસંદગી છે. વર્ષ-૨૦૪૭ સુધીમાં વિકસિત ભારતના નિર્માણનો માર્ગ ગુજરાતમાંથી પસાર થાય છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભારત મહાસત્તા બનશે તેવો તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
ઉદ્યોગ મંત્રીશ્રી બળવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે, વર્ષ ૨૦૪૭ ના વિકસિત ભારતનો નકશો આજે ગુજરાત તૈયાર કરી રહ્યું છે, ત્યારે ઈ-કોમર્સમાં ત્રીજા ક્રમે આવી ૫ ટ્રિલિયન ઇકોનોમીનું સપનું સાકાર કરવા અથાગ પરિશ્રમ કરી રહ્યું છે. મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે નાના ઉદ્યોગોની મદદ માટે અનેક પ્રકારની વ્યવસ્થા કરી છે, જેમાં વાયબ્રન્ટ ગુજરાતને માત્ર ગાંધીનગર સુધી સીમિત ન રાખી રાજ્યના તમામ જિલ્લાઓના વેપારીઓ સુધી પહોંચાડવાના પ્રયાસો કર્યા છે. તેમણે ઉમેર્યું હતું કે, દેશની નિકાસમાં ગુજરાતના ૧૬ લાખથી વધારે નાના ઉદ્યોગકારો સવિશેષ ફાળો આપી રહ્યા છે.
વાઈબ્રન્ટ સિમિટના અંતિમ દિવસે ગૃહ અને ઉદ્યોગ રાજ્ય મંત્રીશ્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે, એમ.એસ.એમ.ઈ. ઉદ્યોગો ગુજરાતના હૃદય સમાન છે. વાઈબ્રન્ટ ગુજરાત-૨૦૨૪ પ્લેટફોર્મ તમામ વર્ગો માટે કંઈક ને કંઈક ભેટ લઈને આવ્યુ છે. વાઈબ્રન્ટ ગુજરાતની છેલ્લા ૨૦ વર્ષની યાત્રામાં સહભાગી થઈ સપના સાકાર કરવામાં બ્રાન્ડ ગુજરાત બનાવવા બદલ તેમણે આભાર વ્યક્ત કર્યો હતો. મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની તમામ સેક્ટરમાં મહત્વપૂર્ણ મદદ મળી રહી છે. છેલ્લા પાંચ વર્ષમાં તમામ પ્રોજેક્ટમાં ૬૩ % વૃદ્ધિ દર સાથે માર્જિન મની અને રોજગારીમાં મહતમ વધારો થયો છે.
વાઈબ્રન્ટ ગુજરાતથી બિઝનેસ હાઉસીસને મોટું પ્લેટફોર્મ મળ્યું છે એમ જણાવી તેમણે કહ્યું કે, લાખો બહેનોના સપના સાકાર થયાં છે. ગ્રામ્ય વિસ્તારના ઉદ્યોગોને ઈ-કોમર્સમાં કઈ રીતે આગળ લઈ જઈ શકાય તેનું સબળ માધ્યમ એમ.એસ.એમ.ઈ છે. એમ.એસ.એમ.ઈ. થી સામાજિક ક્ષેત્રે બદલાવ આવ્યો છે. વાઈબ્રન્ટ ગુજરાત-2024 માં મોટા ઉદ્યોગોના રોકાણોની સાથે સાથે એમ.એસ.એમ.ઈ માં રોકાણ કઈ રીતે વધે તે માટે પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. મંત્રીશ્રીએ ઉદ્યોગકારોને આહવાન કરતા જણાવ્યું કે, રોકાણ માટે ગુજરાત બેસ્ટ ડેસ્ટીનેશન છે.
એમ.એસ.એમ.ઈ. કેન્દ્રિય સચિવશ્રી સુભાષ ચંદ્ર લાલ દાસે જણાવ્યું કે, વિકસિત ભારતના નિર્માણ અને ગ્લોબલ ચેન્જિન્ગમાં એમ.એસ.એમ.ઈ. ખુબ મહત્વનું યોગદાન આપી રહ્યું છે. વડાપ્રધાનશ્રી દ્વારા પ્રોડકટીવીટી, ગ્રોથ અને ક્વોલિટી પર વિશેષ ભાર મુકવામાં આવી રહ્યો છે. એમ.એસ.એમ.ઈ. માં ગુજરાત સમગ્ર દેશમાં પ્રથમ સ્થાને છે. એમ.એસ.એમ.ઈ. ના વિકાસ માટે અર્થતંત્ર, નિકાસ, રોજગાર, પર્યાવરણ, ટકાઉપણું અને સશક્તિકરણ મહત્વના પાસા છે. પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના ગ્રામીણ ભારતના વિકાસમાં શ્રેષ્ઠ યોગદાન આપી રહી છે.
હેસ્ટર બાયોસાયન્સીસના સી.ઈ.ઓ. અને એમ. ડી. શ્રી રાજીવ ગાંધીએ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું કે, રાજ્ય સરકારની બિઝનેસ ફ્રેન્ડલી પોલિસીને કારણે ગુજરાતમાં ધંધા-રોજગાર કરવા ખુબ સરળ બન્યું છે. રાજ્ય સરકાર સમસ્યાઓને સંભાળીને તેનું યોગ્ય નિરાકરણ લાવવામાં અગ્રેસર રહે છે. તેઓએ ગર્વથી કહ્યું કે હું પણ ગુજરાતમાં સ્થાયી થયો છું.
FICCI ના ચેરમેનશ્રી ગિરીશ લુથરાએ જણાવ્યું કે, વાઈબ્રન્ટ ગુજરાત સિમિટની શરૂઆતથી માંડીને હાલના 10માં સંસ્કરણમાં ઉપસ્થિત રહેવાનો અવસર મળ્યો છે. તેમણે કહ્યું કે, ગુજરાતને આગળ વધારવા માઈક્રો ઇન્ડસ્ટ્રીઝ સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રીઝ બને અને સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રીઝ મિડીયમ સ્કેલ ઇન્ડસ્ટ્રીઝ બને તેવા પ્રયાસો કરીએ એમ તેમણે ઉમેર્યું હતું. પેટ્રોકેમિકલ્સ, ફાર્મા જેવા ઔદ્યોગિક ક્ષેત્રે ગુજરાત હંમેશા લીડ કરતું રહ્યું છે.
અત્રે એ ઉલ્લેખનીય છે કે, વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇન્વેટર્સ સમિટ-2024ના અંતિમ દિવસે મહાત્મા મંદિર ખાતે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં યોજાયેલા એમ.એસ.એમ.ઈ કોન્કલેવમાં મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં નેમટેકના શ્રી ઉમેશ નાયર અને ઉદ્યોગ કમિશનરશ્રી સંદીપ સાગલે વચ્ચે “રેવોલ્યુશનાઈઝિંગ લર્નિંગ એન્ડ એજયુકેશન” તથા સીડબી (SIDBI)ના શ્રી પ્રકાશકુમાર અને ગુજરાત સરકારના ઉદ્યોગ કમિશનરશ્રી સંદીપ સાગલે વચ્ચે ‘મિશન સ્વાવલંબન’ પર એમ.ઓ.યુ થયા હતા.
ઉદ્યોગ રાજ્ય મંત્રીશ્રી જગદીશ વિશ્વકર્મા, UNIDO સ્થાનિક ઓફિસના નિયામક શ્રી જેમે મોલ ડી આલ્બા, કોમ્વિઝન ઈન્ડિયાના MD અને CEO હર્જીન્દાર કૌર તલવાર, ગોદરેજ કેપિટલ લિમિટેડના નિયામક અને CEO શ્રી મનીશ શાહ, રાસ્પિયન કંપનીના CMD શ્રી પ્રીતિ પટેલ, pabiben.com ના સ્થાપક પાબીબેન રબારી, ભારતીય ઉદ્યોગ સાહસિક વિકાસ સંસ્થાના મહાનિર્દેશક ડૉ.સુનિલ શુક્લા, WUSME (વર્લ્ડ યુનિયન ઓફ સ્મોલ એન્ડ મિડિયમ એન્ટરપ્રાઇઝિસ)ના નિયામક ડૉ. જે.એસ. જુનેજા, ગુજરાતના અધિક મુખ્ય સચિવશ્રી એસ.જે.હૈદર સહિત ઉદ્યોગકારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.