રાજ્યની વિવિધ પરીક્ષાઓમાં ડમી ઉમેદવારો બેસાડવાના ઉજાગર થયેલા કૌભાંડમાં નામ જાહેર નહી કરવા બદલ યુવરાજસિંહે પૈસા ઉઘરાવ્યા હોવાના કથિત તોડકાંડમાં યુવરાજસિંહ સહિત 6 સામે ફરિયાદ નોંધાઈ છે જે મામલે યુવરાજસિંહની ગઈકાલે લાંબી પુછપરછ બાદ ધરપકડ કરવામાં આવી હતી જે પછી આજે તેમને કોર્ટમાં રજુ કરતા કોર્ટે યુવરાજસિંહના 7 દિવસના રિમાન્ડ મંજુર કર્યાં હતા.
યુવરાજસિંહનો કોરોના ટેસ્ટ કર્યાં બાદ આજે બપોરના 4.30 કલાકે તેમને કોર્ટમાં લઈ ગયા હતા. કોર્ટમાં સૌથી પહેલા ડમી કાંડના આરોપીઓનું હિયરિંગ થયું અને તે પછી યુવરાજસિંહનો વારો આવ્યો. ભાવનગર પોલીસે યુવરાજસિંહના 14 દિવસના રિમાન્ડ માંગ્યા હતા જેની સામે કોર્ટે 7 દિવસના રિમાન્ડ મંજુર કર્યાં છે. આશરે સાડા પાંચ કલાક કોર્ટમાં હિયરિંગ ચાલ્યું હતું. યુવરાજસિંહના સાત દિવસના રિમાન્ડમાં કોઈ નવા ખુલાસાઓ થાય તો નવાઈ નહી.
ભાવનગર SOG એ બે વખત સમન્સ પાઠવ્યા બાદ યુવરાજસિંહ ગઈકાલે બપોરે પોલીસ સમક્ષ હાજર થયાં હતા જ્યાં આશરે 8 કલાક જેટલી લાંબી પુછપરછ બાદ યુવરાજસિંહ સહિત 6 શખ્સો સામે ગુનો નોંધી યુવરાજસિંહની ધરપકડ કરી હતી અને આજે તેમને કોર્ટમાં રજુ કરવામાં આવ્યા હતા. પેપરલીક અને એ પછી ડમી કાંડમાં ચોંકાવનારા ખુલાસા કરી સરકાના નાકે દમ લાવી દેનારા યુવરાજસિંહના પોલીસ રિમાન્ડમાં કોઈ નવા ખુલાસા થાય તો નવાઈ નહી. આ સમગ્ર પ્રકરણ પર આખા રાજ્યની નજર છે.
આ પણ વાંચો : જીતુ વાઘાણી વિરુદ્ધના કોઇ પુરાવા યુવરાજસિંહ પાસે નથી : પોલીસ
આ પણ વાંચો : બિપીન અને ઘનશ્યામે 1 કરોડમાંથી 10 ટકા કમિશન લીધું..પોલીસનો દાવો