ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં આરોપી તથ્ય પટેલના પિતા પ્રજ્ઞેશ પટેલની પોલીસે અટકાયત કરી છે, તથ્ય પટેલના પિતાએ ઘટના સ્થળ પર પોલીસ અને સ્થાનિક લોકો સાથે માથાકૂટ કરી હતી. પ્રજ્ઞેશ પટેલ સાથે અન્ય ચાર લોકોની પણ અટકાયત કરવામાં આવી છે. જેમાં ધ્વની, માલવિકા, સાન અને આર્યનનો સમાવેશ થાય છે. આ ચારેય લોકો તથ્ય સાથે ગાડીમાં સવાર હતા.
મહત્વપૂર્ણ છે કે અમદાવાદના સરખેજ-ગાંધીનગર (SG) હાઈવે પર આવેલા ઈસ્કોન ફ્લાયઓવર પર રોડ અકસ્માત નિહાળતા લોકો એક જેગુઆરની અડફેટે આવી ગયા હતા. આ અકસ્માતમાં 9 લોકોના મોત થયા છે. જ્યારે અન્ય 13 લોકો ઘાયલ થયા છે. અકસ્માત જોવા આવેલા લોકોને જગુઆર કારે ટક્કર મારી હતી. જેમા બે પોલીસ કર્મચારીઓ સહિત 9 લોકોના મોત થયા છે. આ અકસ્માતમાં અનેક લોકો ઘાયલ પણ થયા છે. ઘાયલોને સોલા સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. સૂત્રોની માનીએ તો જેગુઆર ચલાવનાર તથ્ય પટેલ પાસે ડ્રાઈવિંગ લાઈસન્સ નથી. જોકે, આ વાત પર કેટલી સચ્ચાઈ છે તે જલ્દી જ સામે આવી શકે છે.
આરોપી તથ્ય પટેલનો પિતા પ્રજ્ઞેશ પટેલ પણ ગુનાહિત ભુતકાળ ધરાવે છે. તેની સામે ગેંગરેપનો ગુનો નોંધાયો હતો. તથ્ય પટેલ ગોતામાં ગોકુલ ફાર્મ હાઉસ સામે આલિશાન બંગલામાં રહે છે અને આ બંગલાનું નામ હરે શાંતિ છે. જો કે પૈસાના નશામાં ધૂત રહેલા આ નબીરાએ 9 નિર્દોષ લોકોના પરિવારનો માળો પીંખી નાખ્યો છે. તથ્ય અકસ્માત બાદ હોસ્પિટલમાં દાખલ થઇ ગયો છે પણ તેનો પરિવાર બંગલામાંથી રફૂચક્કર થઇ ગયો છે. તથ્ય કોલેજના બીજા વર્ષમાં ભણે છે.
અકસ્માત બાદ તથ્ય પટેલ સામે ગુનો નોંધાયો છે. એસ.જી 2 ટ્રાફિક પોલીસના પીઆઇ વી.બી.દેસાઇ આ કેસમાં ખુદ ફરિયાદી બન્યા છે અને આરોપી સામે IPC 304 ,279. 337 338 mv act 177, 184 મુજબનો ગુનો નોંધાયો છે. પોલીસ ટૂંક સમયમાં જ આરોપી તથ્યની ધરપકડ કરશે. કલમો મુજબ આઇપીસી 304 સાપરાધ માનવ વધ અને 279 મુજબ બેજવાબદારીપૂર્વક વાહન ચલાવવું અને 184 મુજબ વાહન ઓવર સ્પીડે ચલાવવું તથા કલમ 337, 338 મુજબ લોકોના જીવન સાથે ચેડાં કરવાનો સમાવેશ થાય છે