અહેવાલઃ રવિ પટેલ, ગુજરાત ફર્સ્ટ
બે દિવસ પહેલા ઓડિશાના બાલાસોરમાં થયેલી ટ્રેન દુર્ઘટનાએ સમગ્ર દેશને હચમચાવી નાખ્યો હતો. શુક્રવાર, 2 જૂનની સાંજે કોરોમંડલ એક્સપ્રેસ, બેંગલુરુ-હાવડા સુપર ફાસ્ટ અને એક માલસામાન ટ્રેન વચ્ચે ભીષણ અથડામણ થઈ હતી, જેના કારણે બંને ટ્રેનોના ઘણા ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા અને પલટી ગયા હતા. આ દુખદ ઘટનામાં અત્યાર સુધીમાં 275 લોકોએ જીવ ગુમાવ્યા છે, જ્યારે એક હજારથી વધુ લોકો ઘાયલ થયા છે. આ ઘટનાથી દુઃખી થઈને પૂર્વ ભારતીય ક્રિકેટર વિરેન્દ્ર સેહવાગે પીડિતોને મદદ કરવાની જાહેરાત કરી છે.ટીમ ઈન્ડિયાના ભૂતપૂર્વ ઓપનર સેહવાગે રવિવાર, 4 જૂને પોતાની જાહેરાત સાથે દિલ જીતી લીધું હતું. સેહવાગે પીડિત પરિવારોને પોતાની રીતે મદદ કરવાની ઓફર કરી હતી. સેહવાગે ટ્વીટ કરીને કહ્યું કે તે પીડિત પરિવારોના બાળકોને પોતાની શાળામાં મફત શિક્ષણ આપવા માટે તૈયાર છે.
સેહવાગ ઇન્ટરનેશનલ સ્કૂલમાં મફત શિક્ષણ
અકસ્માતમાં જીવ ગુમાવનારા અનેક પરિવારો સાવ બરબાદ થઈ ગયા, જ્યારે કેટલાય બાળકો અનાથ પણ બન્યા. સેહવાગે માતા-પિતા ગુમાવનારા બાળકોના શિક્ષણનો બોજ ઉઠાવવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. સેહવાગે પોતાના ટ્વીટમાં લખ્યું છે કે દુઃખની આ ઘડીમાં તે ઓછામાં ઓછી આટલી મદદ કરી શકે છે. આ માટે ‘વીરુ’એ હરિયાણા સ્થિત તેમની ‘સેહવાગ ઈન્ટરનેશનલ સ્કૂલ’માં બોર્ડિંગ સુવિધા હેઠળ શિક્ષણ આપવાનો પ્રસ્તાવ મૂક્યો છે.સેહવાગે આ દુર્ઘટના દરમિયાન મદદ માટે સ્થળ પર પહોંચેલા લોકોને પણ સલામ કરી હતી, જેમણે લોકોને બહાર કાઢવા, હોસ્પિટલમાં લઈ જવા અને રક્તદાન કરવા જેવી મહત્વપૂર્ણ મદદ પૂરી પાડી હતી.
અદાણી જૂથ શાળાના શિક્ષણનો ખર્ચ પણ ઉઠાવશે
માત્ર સેહવાગ જ નહીં પરંતુ દેશના ટોચના ઉદ્યોગપતિ ગૌતમ અદાણીએ પણ આવી જ જાહેરાત કરી છે. અદાણી જૂથના વડા ગૌતમ અદાણીએ પણ રવિવારે એક ટ્વિટ દ્વારા જણાવ્યું હતું કે અદાણી જૂથ તેમના માતાપિતા ગુમાવનારા બાળકોના શાળાકીય શિક્ષણનો બોજ ઉઠાવશે.
અકસ્માતની સીબીઆઈ તપાસ
જ્યાં સુધી અકસ્માતની વાત છે તો રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે તેની સીબીઆઈ તપાસની ભલામણ કરી છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ એક દિવસ અગાઉ ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી અને દોષિતો સામે કડક કાર્યવાહીનું આશ્વાસન આપ્યું હતું. તે જ સમયે, રવિવારે મોડી સાંજે ઘટના સ્થળે બંને ડાઉન લાઇન પર ટ્રેનોની અવરજવર શરૂ થઈ હતી.