બોલિવૂડ સુપરસ્ટાર શાહરૂખ ખાનનો પુત્ર આર્યન ખાન બે વર્ષ પહેલા એક મોટા વિવાદમાં ફસાયો હતો. નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોએ તેની ક્રુઝ પર ડ્રગ્સના કેસમાં ધરપકડ કરી હતી. જોકે, બાદમાં તેને આ કેસમાંથી મુક્ત કરવામાં આવ્યો હતો. આ સમગ્ર મામલાની તપાસમાં સામેલ ટીમનું નેતૃત્વ કરી રહેલા સમીર વાનખેડે સામે હવે ભ્રષ્ટાચારનો કેસ નોંધવામાં આવ્યો છે. ક્રૂઝ પર ડ્રગ્સ કેસમાં શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનની ધરપકડની દેશમાં ખૂબ જ ચર્ચા થઈ હતી. બે વર્ષ પહેલા, જ્યારે આ મામલો સમાચારોમાંથી બહાર આવ્યો અને જાહેર ચર્ચાનો ભાગ બન્યો, ત્યારે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB)ના અધિકારી સમીર વાનખેડેનું નામ પણ દરેકના હોઠ પર આવ્યું. આર્યન ખાન કેસ સમયે સમીર વાનખેડે NCBની મુંબઈ વિંગના ડિરેક્ટર હતા.
સીબીઆઈ કેસના એક સાક્ષી પ્રભાકર સેલે આ ખુલાસો કર્યો
નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB)ના અધિકારી સમીર વાનખેડે ફરી એકવાર સમાચારોમાં છે. સીબીઆઈએ વાનખેડે વિરુદ્ધ ભ્રષ્ટાચારનો કેસ નોંધ્યો છે. આ કેસમાં સમીર વાનખેડેની સાથે અન્ય ઘણા અધિકારીઓ અને ખાનગી લોકોના નામ પણ છે. સમીર વિરુદ્ધ નોંધાયેલા આ કેસમાં હવે એક ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે. સીબીઆઈના જણાવ્યા અનુસાર, સમીર વાનખેડે અને તેની તપાસ ટીમના સભ્યો કોર્ડેલિયા ક્રુઝ શિપ પર ડ્રગના દરોડામાં પકડાયેલા લોકોના પરિવાર પાસેથી 25 કરોડ રૂપિયા વસૂલવા માગતા હતા. સીબીઆઈ કેસના એક સાક્ષી પ્રભાકર સેલે ખુલાસો કર્યો હતો કે તેના બોસ કે.પી. ગોસાવીએ કહ્યું હતું કે તેણે આર્યનને છોડવા માટે 25 કરોડ રૂપિયા માંગ્યા છે, જેમાંથી અડધી રકમ સમીર વાનખેડેને આપવામાં આવશે અને બાકીની રકમ તે પોતાની પાસે રાખશે.આ ખુલાસા બાદ, એનસીબીએ વાનખેડે અને તેની ટીમ સામે વિજિલન્સ તપાસ શરૂ કરી અને તેની ટીમ તપાસ કરી રહી હતી તે તમામ કેસો તેમની પાસેથી પાછા લઇ લીધા છે. વિજિલન્સ તપાસમાં વાનખેડે અને તેની ટીમ તરફથી ભ્રષ્ટાચાર સંબંધિત ગેરરીતિઓ સામે આવી હતી.જે બાદ રિપોર્ટમાં તમામ અધિકારીઓ સામે CCS નિયમો હેઠળ કાર્યવાહી કરવાની સલાહ આપવામાં આવી હતી.
50 લાખની લાંચ એડવાન્સ પેટે મળી હતી
સીબીઆઈએ તેના નિવેદનમાં જણાવ્યું હતું કે આ કેસ સાથે સંકળાયેલા તમામ લોકોએ કથિત રીતે સમીર વાનખેડેના નિર્દેશ પર ક્રુઝ કેસના આરોપીઓને ડ્રગ્સ રાખવાનો આરોપ લગાવવાની ધમકી આપી હતી. નિવેદનમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે આ તમામ લોકો 25 કરોડ રૂપિયા વસૂલવાના કાવતરામાં સામેલ હતા અને 50 લાખ રૂપિયા એડવાન્સમાં પણ લાંચ તરીકે લીધા હતા. આ મામલામાં દિલ્હી, રાંચી, મુંબઈ, લખનૌ અને ચેન્નાઈ સહિત 29 સ્થળોએ સર્ચ કરવામાં આવ્યું હતું. આ સર્ચમાં આરોપોને સમર્થન આપવા માટે ઘણા દસ્તાવેજો, વસ્તુઓ અને રોકડ મળી આવી છે.