મણિપુરમાં 3 મેથી વંશીય હિંસાની આગમાં સળગી રહ્યું છે. મેઇતેઇ અને કુકી સમુદાયના લોકો એકબીજાના જીવના દુશ્મન બની ગયા છે. એક જ રાજ્યના બે જિલ્લાઓને બફર ઝોનમાં વહેંચવામાં આવ્યા છે. બંને પક્ષના લોકો એકબીજા પર બંદૂકો તાકીને ઉભા છે. શાળા-કોલેજો બંધ છે. લોકો ભયના કારણે ઘરોમાં કેદ છે. કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર રાજ્યમાં શાંતિ સ્થાપવા માટે સતત પ્રયાસો કરી રહી છે. દરમિયાન એવા સમાચાર છે કે કેન્દ્ર સરકાર આજે કુકી સમાજના આગેવાનો સાથે વાતચીત કરશે.
ગૃહમંત્રી અમિત શાહે કુકી સમુદાયના લોકો સાથે વાત કરી છે
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે તાજેતરમાં સંસદમાં જણાવ્યું હતું કે, મણિપુરમાં શાંતિ પુનઃસ્થાપિત કરવા માટે કુકી સમુદાયની પાંચ સભ્યોની ટીમને મળ્યા છે. આ પહેલા અમિત શાહ પણ હિંસાગ્રસ્ત રાજ્યની મુલાકાત લઈ ચુક્યા છે.
મણિપુરની સમસ્યા શાંતિથી જ ઉકેલાશેઃ પીએમ મોદી
મણિપુરમાં ચાલી રહેલી હિંસાનો ઉલ્લેખ કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે કહ્યું હતું કે, ત્યાં માતા-પુત્રીના સન્માન સાથે ખિલવાડ થઇ રહ્યો છે. મણિપુરના લોકોને શાંતિ માટે અપીલ કરતાં તેમણે કહ્યું કે આખો દેશ મણિપુરની સાથે છે અને શાંતિથી જ ઉકેલ આવશે. 77 માં સ્વતંત્રતા દિવસના અવસરે લાલ કિલ્લા પરથી રાષ્ટ્રને સંબોધતા મોદીએ કહ્યું હતું કે, “પૂર્વોત્તરમાં અને ભારતના કેટલાક અન્ય ભાગોમાં પણ… પરંતુ ખાસ કરીને મણિપુરમાં, હિંસાનો સમયગાળો હતો. અનેક લોકોએ જીવ ગુમાવવો પડ્યો હતો. મા-દીકરીઓના સન્માન સાથે ખિલવાડ કરાયો છે. મોદીએ કહ્યું કે છેલ્લા કેટલાક દિવસોથી ત્યાંથી સતત શાંતિના સમાચાર આવી રહ્યા છે.
આખો દેશ મણિપુરની સાથે છેઃ પીએમ મોદી
પીએમ મોદીએ કહ્યું, આખો દેશ મણિપુરની જનતાની સાથે છે. મણિપુરના લોકોએ છેલ્લા કેટલાક દિવસોથી જે શાંતિ જાળવી રાખી છે, તે શાંતિ જળવાઈ રહે. વડાપ્રધાને કહ્યું કે, શાંતિથી જ ઉકેલનો માર્ગ મળશે. તેમણે કહ્યું કે રાજ્ય અને કેન્દ્ર સરકારો સાથે મળીને ત્યાંની સમસ્યાઓના ઉકેલ માટે ઘણા પ્રયાસો કરી રહી છે અને ભવિષ્યમાં પણ કરતી રહેશે.
CBI હિંસાની તપાસ માટે 29 મહિલાઓ સાથે 53 અધિકારીઓને નિયુક્ત
સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI) એ બુધવારે મણિપુર હિંસા કેસની તપાસ માટે વિવિધ રેન્કની 29 મહિલા અધિકારીઓ સહિત 53 અધિકારીઓની નિયુક્તિ કરી હતી. મહિલા અધિકારીઓ લવલી કટિયાર અને નિર્મલા દેવી સહિત ત્રણ ડેપ્યુટી ઈન્સ્પેક્ટર જનરલ રેન્કના અધિકારીઓ રાજ્યમાં હિંસાના કેસોની તપાસ માટે તેમની સંબંધિત ટીમોનું નેતૃત્વ કરશે. તેમણે કહ્યું કે તમામ અધિકારીઓ સંયુક્ત નિયામક ઘનશ્યામ ઉપાધ્યાયને રિપોર્ટ કરશે જેઓ વિવિધ કેસોમાં તપાસની દેખરેખ રાખશે.
હાઈકોર્ટે રાજ્ય સરકારને મોબાઈલ ઈન્ટરનેટ સેવાઓ પુનઃસ્થાપિત કરવાનો માર્ગ શોધવા કહ્યું હતું
મણિપુર હાઈકોર્ટે રાજ્ય સરકારને લોકોને મોબાઈલ ઈન્ટરનેટ સેવાઓ પૂરી પાડવાના રસ્તા શોધવા કહ્યું છે. કોર્ટ રાજ્યમાં મોબાઈલ ઈન્ટરનેટ સેવાઓ પુનઃસ્થાપિત કરવાની માંગ કરતી અરજીઓની બેચની સુનાવણી કરી રહી છે. રાજ્યમાં 3 મેના રોજ હિંસા ફાટી નીકળ્યા બાદ ઈન્ટરનેટ સેવાઓ સ્થગિત કરવામાં આવી હતી.
આ પણ વાંચો : Himachal News : ચોપર્સે છેલ્લા 48 કલાકમાં 50 થી વધુ ઉડાન ભરી, 780 થી વધુ લોકોને બચાવ્યા