કર્ણાટક વિધાનસભાની 224 સીટો પર આજે સવારે 7 વાગ્યાથી મતદાન શરૂ થઈ ચુક્યું છે. રાજ્યના 5.3 કરોડથી વધારે મતદારો છે જેમાંથી 11.71 લાખ મતદારો પહેલીવાર મતદાન કરશે. રાજ્યની 224 વિધાનસભા સીટો પર 2615 ઉમેદવારો મેદાને છે. રાજ્યમાં 2.66 કરોડ પુરૂષ અને 2.63 કરોડ મહિલાઓ જ્યારે 5.71 લાખ દિવ્યાગ મતદારો છે. 12.15 લાખ 80 વર્ષ અને તેનાથી વધારે ઉમરના સિનિયર મતદારો છે. જ્યારે 16 હજારથી વધારે શતાયુ મતદારો છે.
5.31 કરોડ મતદારો
Karnataka Elections માં મતદાન સવારે 7 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી ચાલશે. વિધાનસભાની 224 બેઠકો માટે 5,31,33,054 મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. જેમાં 2,67,28,053 પુરુષ અને 2,64,00,074 મહિલાઓ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે ચૂંટણી પંચ દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે.
- Karnataka માં મતદાન માટે ૩ લાખ ચૂંટણી કર્મચારીઓ તૈનાત કરવામાં આવ્યા છે. મતદાન માટે કુલ 75,603 બેલેટ યુનિટ, 70,300 કન્ટ્રોલ યુનિટ, 76,202 VVPAT મૂકવામાં આવ્યા છે.
ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા
Karnataka Elections ની ચૂંટણી માટે સમગ્ર રાજ્યમાં 58,545 મતદાન કેન્દ્રોની બનાવવામાં આવ્યા છે. મતદાનનું પરિણામ 13મી મેના રોજ જાહેર કરવામાં આવશે. રાજ્યમાં સ્વતંત્ર અને નિષ્પક્ષ ચૂંટણી કરાવવા માટે કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. રાજ્યની પોલીસ ઉપરાંત પેરા મિલિટરી ફોર્સ તથા પાડોશી રાજ્યોમાંથી પણ પોલીસ બોલાવવામાં આવી છે.
2615 ઉમેદવારો મેદાને
Karnataka ના ચૂંટણી જંગમાં ભારતીય જનતા પાર્ટી, કોંગ્રેસ, જનતા દળ (સેક્યુલર) સહિતના પક્ષોના કુલ 2615 ઉમેદવારો છે. જેમાંથી 2430 પુરુષો તથા 184 મહિલા ઉમેદવારોનો સમાવેશ થાય છે. જેમાંથી ભાજપે રાજ્યની તમામ 224 બેઠકો પર પોતાના ઉમેદવારો ઉતાર્યાં છે. કોંગ્રેસે 223, આમ આદમી પાર્ટી તથા જનતા દળ(એસ)એ 109-109 બેઠકો પર ઉમેદવાર ઉભા રાખ્યા છે.
કાર્યવાહી
Karnataka Elections અગાઉ કુલ 375 કરોડ રૂપિયાનું દારૂ, ડ્રગ્સ, રોકડ અને ભેટો જપ્ત કરવામાં આવી છે. 29 માર્ચે ચૂંટણી આચાર સંહિતા અમલમાં આવ્યા પછી ED એ 288 કરોડ રૂપિયાની મિલકતો ટાંચમાં લીધી છે. નાર્કોટિસ કન્ટ્રોલ બ્યુરોએ બિદાર જિલ્લામાંથી 100 કીલો ગાંજો જપ્ત કર્યો હતો. અનેક જિલ્લાઓમાંથી સાડીઓ અને ફૂડ કિટ પણ જપ્ત કરવામાં આવી છે. આ રકમ અગાઉની વિધાનસભા ચૂંટણી કરતા ૪.૫ ગણી વધારે છે તેમ ચૂંટણી પંચે એક નિવેદનમાં જણાવ્યું છે.
આ પણ વાંચો : ‘ધ કેરાલા સ્ટોરી’ દેશની સચ્ચાઇ છે અને સચ્ચાઇની લોકોને જાણ થવી જરુરી—કાજલ હિન્દુસ્તાની