Penalty of 5 Runs : રાજકોટના નિરંજન શાહ ક્રિકેટ સ્ટેડિયમમાં ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ત્રીજી મેચનો આજે બીજો દિવસ છે. પહેલા દિવસે 5 વિકેટ ગુમાવીને 326 રન બનાવ્યા બાદ આજે ટીમ ઈન્ડિયાએ બીજા દિવસની શરૂઆત કરી હતી. દિવસની શરૂઆતમાં કુલદીપ યાદવ અને રવીન્દ્ર જાડેજાના રૂપમાં ટીમને 2 ઝટકા લાગ્યા હતા. પરંતુ તે પછી ધ્રુવ જુરેલ અને રવિચંદ્રન અશ્વિન ક્રિઝ પર રહ્યા હતા. લંચ સુધીમાં બંનેએ ટીમ ઈન્ડિયાના સ્કોરને 388 સુધી પહોંચાડ્યો અને 57 રનની ભાગીદારી કરી હતી. પરંતુ આ દરમિયાન પહેલા સેશનમાં કંઈક એવું બન્યું જેના કારણે ટીમ ઈન્ડિયાને નુકસાન થયું અને ઈંગ્લેન્ડને 5 રનનો ફાયદો થયો.
અશ્વિનની ભૂલે ઈંગ્લેન્ડને બેટિંગ પહેલા જ આપ્યા 5 રન
વાસ્તવમાં અશ્વિનને પીચની વચ્ચે દોડવા બદલ અમ્પાયરે સજા ફટકારી હતી. પરંતુ સવાલ એ છે કે શું આમાં માત્ર અશ્વિનનો જ વાંક હતો. જણાવી દઈએ કે રાજકોટ ટેસ્ટના પહેલા જ દિવસે રવિન્દ્ર જાડેજાને અમ્પાયરે ચેતવણી આપી હતી. જાડેજાને ગુરુવારે પીચની વચ્ચે દોડવા બદલ ચેતવણી મળી હતી અને શુક્રવારે અશ્વિને એ જ ભૂલનું પુનરાવર્તન કર્યું ત્યારે ફિલ્ડ અમ્પાયર જોએલ વિલ્સને ટીમને 5 રનની પેનલ્ટી આપી હતી. પરિણામે, ઇંગ્લેન્ડની ટીમ હવે 5-0 એટલે કે 5 રન અગાઉથી પોતાની ઇનિંગની શરૂઆત કરશે. મતલબ કે મહેમાનોને ભેટ તરીકે 5 રન પહેલા જ મળી ગયા છે. સમગ્ર વિવાદ 102મી ઓવરમાં થયો હતો. આ દરમિયાન સ્ટ્રાઈક પર અશ્વિન અને સ્પિનર રેહાન અહેમદ બોલિંગ પર હતો. અશ્વિને રેહાનનો બોલ કવર તરફ રમ્યો અને રન માટે ભાગવાનો પ્રયાસ કર્યો. દરમિયાન નોન-સ્ટ્રાઇકિંગ છેડે ઊભેલા તેના પાર્ટનર ધ્રુવ જુરાલે તેને પરત મોકલી દીધો હતો. અશ્વિન થોડા ડગલાં ચાલીને પાછો આવ્યો. પરંતુ તે રન લેવા માટે જે એરિયામાં દોડ્યો હતો તે ડેન્જર એરિયા ગણાય છે. અમ્પાયર જોએલ વિલ્સને આના પર નારાજગી વ્યક્ત કરી હતી. વાસ્તવમાં બેટ્સમેન રન બનાવવા માટે ડેન્જર ઝોનમાં દોડી શકતો નથી. આમ કરવાથી પિચ બગાડે છે અને આવનારા બેટ્સમેન માટે મુશ્કેલી ઊભી થાય છે.
અમ્પાયરે નિયમોનુસાર લીધો નિર્ણય
રાજકોટમાં પ્રથમ દિવસની રમત ચાલી રહી હતી ત્યારે અમ્પાયરે એક વખત રવિન્દ્ર જાડેજા અને બીજી વખત સરફરાઝ ખાનને આવું કરવા માટે રોક્યા હતા. ICCના નિયમો અનુસાર, એક ઇનિંગ દરમિયાન અમ્પાયર તરફથી આ માટે એકવાર ચેતવણી આપવામાં આવે છે, પરંતુ જો બીજી વખત કરવામાં આવે તો સજાની જોગવાઈ છે. ભારતીય ટીમના બેટ્સમેનોએ જ્યારે બીજી વખત આવું કર્યું ત્યારે તેના પર વિચાર કરવામાં આવ્યો ન હતો, પરંતુ એટલું તો નક્કી જ હતું કે જો ફરી આવું થાય છે તો તે ભારતીય ટીમ માટે મુશ્કેલ બની શકે છે. આ પછી, જ્યારે રવિચંદ્રન અશ્વિને ફરીથી આવું જ કર્યું, ત્યારે અમ્પાયરે વિરોધી ટીમને એટલે કે ઈંગ્લેન્ડને નિયમો અનુસાર 5 રન આપવાની જાહેરાત કરી. ખાસ વાત એ છે કે બેટિંગ કરનાર ટીમના ખાતામાંથી કોઈ રન કાપવામાં આવતા નથી, પરંતુ જ્યારે બીજી ટીમ બેટિંગ શરૂ કરે છે, ત્યારે ઇનિંગ્સ શરૂ થતાં જ તેના ખાતામાં 5 રન આવી જાય છે.
અશ્વિને અમ્પાયર સાથે વાત કરી
જ્યારે અમ્પાયરે પોતાની નારાજગી વ્યક્ત કરી ત્યારે અશ્વિન અમ્પાયર વિલ્સન પાસે ગયો અને તેમની સાથે વાત કરી, પરંતુ વિલ્સન તેની વાતથી સંતુષ્ટ ન થયો અને તેમણે 5 રન આપવાનો સંકેત આપ્યો. આ વાતથી અશ્વિન પણ ગુસ્સામાં જણાતો હતો. એટલે કે હવે જ્યારે ઈંગ્લેન્ડની ઈનિંગ શરૂ થશે ત્યારે કોઈ રન બનાવ્યા વિના સીધા જ તેમના ખાતામાં 5 રન જોડાઈ જશે. ઇનિંગ્સની શરૂઆત કોઇ નુકસાન વિના 5 રનથી થશે. આ પહેલા ટેસ્ટ ક્રિકેટમાં છેલ્લી વખત આવું બન્યું હતું જ્યારે રવિન્દ્ર જાડેજાએ 2016-17માં ન્યૂઝીલેન્ડ સામે ઈન્દોરમાં આવું કર્યું હતું. ત્યારથી લગભગ 7 વર્ષ વીતી ગયા, પરંતુ આવું ક્યારેય બન્યું નહીં. હવે જોવાનું એ રહે છે કે આ મેચમાં બીજું શું થાય છે. એકંદરે, એવું લાગે છે કે ઘણા વધુ રેકોર્ડ બનશે અને મેચ ખૂબ જ રોમાંચક બની શકે છે.
આ પણ વાંચો – IND vs ENG : સરફરાઝ ખાનના પિતાએ પહેરેલું જેકેટ કેમ ચર્ચામાં આવ્યું ?
આ પણ વાંચો – IND vs ENG : સરફરાજના Run Out પર રોહિત શર્મા થયો ગુસ્સે, Video
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ