અહેવાલઃ ભાવેશ ઠાકર, ગીર-સોમનાથ
પાકિસ્તાનની જેલમાં મોતને ભેટેલા ગીર સોમનાથના નાનાવાડા ગામના યુવાન માછીમાર જગદીશભાઈ બાંભણિયાનો મૃતદેહ સવા મહિને ભારત પહોંચ્યો. મૃતદેહ માદરે વતન નાનાવાડા પહોંચતા પરિવારજનોમાં કાળો કલ્પાંત મચ્યો હતો. જ્યારે ગામમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. 18 માસ પાક જેલમાં બંધ રહ્યા બાદ આખરે પુત્ર તો ન આવ્યો, પરંતુ તેનો મૃતદેહ વતન આવ્યો.
.ગીર સોમનાથ જીલ્લાના કોડીનાર તાલુકાના નાનાવાડા ગામના જગદીશ ભાઈ મંગળભાઈ બાંભણિયા (ઉ .વ.35) નામના માછીમારનું પાકિસ્તાન કરાચીની લાડી જેલમા મોત થતા મૃતદેહ આજે માદરે વતન નાનાવાડા લાવવામાં આવ્યો હતો. 45 દિવસ પહેલા આ માછીમારને હાર્ટ એટેક આવવાના કારણે મોત થયા હોવાનું જાણવા મળ્યું છે. આજે ફિશરીઝ વિભાગના અધિકારી દ્વારા મૃતદેહ નાનાવાડા ગામે તેમના પરિવારને સોંપવામાં આવ્યો છે. જગદીશભાઈ આજથી 18 માસ પહેલા પોરબંદરની મહા કેદારનાથ GJ 25 MM 5524 બોટ સાથે ફિશિંગ કરતા હતા ત્યારે પાક મરીન બોટ સાથે અન્ય ખલાસીઓ પણ ઉઠાવી ગઈ હતી. પરંતુ તેનું ગત 6/8/2023ના રોજ હાર્ટ એટેક થી મોત થયું હતું.જગદીશભાઈ ત્રીજી વખત પાક મરીનના હાથે ઝડપાયા હતા. બે વખત તે મુક્ત થઈ માદરે વતન આવ્યા હતા પરંતુ ત્રીજી વખત તે ફરી પકડાયા હતા અને તે હાલમાંજ 100 ભારતીય માછીમારો મુક્ત થવાના છે જેમાં તે પણ મુક્ત થવાના હતા પરંતુ તેનું મોત નિપજ્યું અને 45 દિવસ વીત્યા બાદ તેનો મૃતદેહ માદરે વતન આવતા ગામમાં શોક નું મોજું ફરી વળ્યુ હતુ.
મૃતક માછીમાર પરિવાર અને ગામના આગેવાનોએ મૃતદેહ માદરે વતન પહોંચતા સરકારનો આભાર માન્યો. જ્યારે પરિવારજનો એ સરકારને અપીલ કરી હતી કે હજુ પાકિસ્તાનમાં અનેક માછીમારો જેલમાં બંધ છે જેમાંથી મોટાભાગના ગંભીર બીમારીથી પીડાઇ રહ્યા છે, જીવન મરણ વચ્ચે ઝઝુમી રહ્યા છે. ત્યારે આ તમામ માછીમારો વહેલી તકે માદરે વતન સદેહે પહોંચે તે માટે સરકાર યોગ્ય પગલા લે