અહેવાલઃ આનંદ પટણી, સુરત
આફ્રિકાની બોલત્સવાના સરકાર દ્વારા રફ ખરીદનારા વેપારીઓ પાસે મુકાઇ શરત
સુરતને ડાયમંડ સિટી કહેવામાં આવે છે પરંતુ સુરતનો ડાયમંડ ઉદ્યોગ છેલ્લા કેટલાક સમયથી મંદીના માહોલ વચ્ચેથી પસાર થઈ રહ્યો છે. ત્યારે સુરતના હીરા ઉદ્યોગ માટે તેમજ ગુજરાતના રત્નકલાકાર માટે આફ્રિકાની બોત્સવાના સરકારે એક મુશ્કેલી ઊભી કરી છે. આ મુશ્કેલી એવી છે કે આફ્રિકાની બોલત્સવાના સરકાર દ્વારા રફ ખરીદનારા વેપારીઓ પાસે એવી શરત મૂકી છે કે જો કોઈ વેપારી બે કેરેટથી વધારે રફ ખરીદવા છે તો તેમને બોત્સવાનામાં પોતાના ડાયમંડના યુનિટો શરૂ કરવાના રહેશે. આફ્રિકાની આ સરકારના નિર્ણયના કારણે ગુજરાતના હીરા ઉદ્યોગ સાથે જોડાયેલા લોકોને પોતાનો ઉદ્યોગ શરૂ રાખવા માટે અને બોત્સવાના સરકારના પ્રેશરના કારણે જબરદસ્તીથી ત્યાં હીરાના યુનિટો શરૂ કરવા પડી રહ્યા છે.
વિદેશમાં કારખાના શરૂ થવાથી આ કલા ચોરી થવાનો ભય
મહત્વની વાત છે કે, આ બાબતે કેટલાક વેપારી દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુધી પણ રજૂઆત કરવામાં આવી છે કે, સારી ક્વોલિટીના હીરા બોત્સવાનામાંથી જોઈતા હોય તો ત્યાં સરકાર દ્વારા હીરાના યુનિટો શરૂ કરવાની ફરજ પાડવામાં આવી રહી છે અને જો આવું થશે અને ત્યાં હીરાના કારખાનાઓનું પ્રમાણ વધી જશે. તો હીરાના કટિંગ અને પોલીસિંગની કળા વિદેશોમાં પણ પહોંચી જશે. કારણકે હીરો ઘસવો તે એક આવડત છે અને વિદેશમાં કારખાના શરૂ થવાથી આ કલા ચોરી થવાનો ભય છે.
બોત્સવાનામાં 25 જેટલા હીરા વેપારીઓના યુનિટો, 300 જેટલા રત્ન કલાકારો
હાલ આફ્રિકાના બોત્સવાનામાં 25 જેટલા વેપારી દ્વારા પોતાના યુનિટી શરૂ પણ કરવામાં આવ્યા છે અને આ એવા વેપારી છે કે જે બે કેરેટથી મોટી સાઇઝની રફ હીરાનું કટીંગ અને પોલીશિંગ કરે છે. મહત્વની વાત કહી શકાય કે હાલ આફ્રિકાના બોત્સવાનામાં જે 25 જેટલા હીરા વેપારીઓના યુનિટો શરૂ થયા છે તેમાં અંદાજે 300 જેટલા રત્ન કલાકારો કામ કરી રહ્યા છે અને એક શરત અનુસાર આ રત્નકલાકારોને બોત્સવાના સ્થાનિક લોકોને પણ હીરાની કટીંગ પોલીસી શીખવાડવી પડશે.
1000 કરતા વધારે હીરાના વેપારીઓ અલગ-અલગ દેશ સાથે હીરાનો વેપાર કરે છે
મહત્વની વાત છે કે સુરતના 1000 કરતા વધારે હીરાના વેપારીઓ અલગ-અલગ દેશ સાથે હીરાનો વેપાર કરે છે. આફ્રિકાના બોત્સવાના, રશિયા, ઓસ્ટ્રેલિયા સહિતના દેશોમાં વેપાર કરે છે. એક અંદાજ અનુસાર 1000થી વધારે સુરતના રત્ન કલાકારો વિદેશમાં કામ કરી રહ્યા છે અને આ કંપનીઓ દ્વારા વિદેશમાં જતા રત્ન કલાકારોને ડબલ પગાર પણ આપવામાં આવે છે આ ઉપરાંત જે તે દેશમાં રહેવાની સુવિધા પણ કરી આપવામાં આવે છે. પ્લેનની ટિકિટમાં જવાનો ખર્ચો પણ કંપની દ્વારા જ આપવામાં આવે છે. આ સુવિધા રત્ન કલાકારોને આપવામાં આવતી હોવાથી કેટલાક રત્ન કલાકારો વિદેશ જવા રાજી પણ થાય છે પરંતુ મોટાભાગના કલાકારો ગુજરાત અને સુરતમાં રહીને હીરા ઘસવાનું પસંદ કરે છે.